ગાંધીનગર : ગુજરાતમાં રાંધણ ગેસ (એલપીજી સિલિન્ડર)ની અછત અને વધતા ભાવોને લઈને વિધાનસભા પરિસરમાં ભારે હોબાળો સર્જાયો છે. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોએ માથે ખાલી ગેસ સિલિન્ડર અને લાકડાના બંડલ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, નેતા ડૉ. તુષાર ચૌધરી અને અંદાજે 12 જેટલા કોંગ્રેસ ધારાસભ્યોએ ભાગ લીધો હતો.
કોંગ્રેસના આરોપ મુજબ, રાજ્યમાં એલપીજી સિલિન્ડરની તીવ્ર અછત છે, જેના કારણે સામાન્ય લોકો, ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં રસોઈ માટે લાકડા પર આધારિત રહેવું પડી રહ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા: “ગેસ આપો, લાકડું નહીં ચાલે”, “સરકાર જવાબ આપો” અને “મહિલાઓના રસોડાને બચાવો”. પ્રદર્શન દરમિયાન પોલીસ અને ધારાસભ્યો વચ્ચે હળવો સંઘર્ષ પણ જોવા મળ્યો હતો.
જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા આક્ષેપ કરતાં કહ્યું કે, “ગુજરાતમાં ‘ગુજરાત મોડલ’ના નામે વિકાસના દાવા થાય છે, પરંતુ આજે સામાન્ય મહિલાઓને રસોઈ માટે ગેસ મળતો નથી. આદિવાસી અને ગરીબ વિસ્તારોમાં લાકડા શોધવા પડે છે, જેનાથી આરોગ્ય અને પર્યાવરણને નુકસાન થાય છે. ભાજપ સરકારે કેન્દ્ર સાથે મળીને ગેસના ભાવ વધાર્યા અને સપ્લાય ચેઈનને અવગણી છે. આ અછત માત્ર અછત નથી, આ લોકો પ્રત્યે અસંવેદનશીલતા છે.”
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, US-ઇઝરાયેલ-ઇરાન વિવાદ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાને કારણે ગેસ સપ્લાય અસરગ્રસ્ત થયો છે, પરંતુ રાજ્ય સરકારે કોઈ પગલાં લીધાં નથી. સુરત અને અન્ય શહેરોમાં કોમર્શિયલ ગેસની અછત વધુ ગંભીર છે, જ્યારે ઘરેલુ સિલિન્ડર પણ એજન્સીઓ બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર તરફથી આ અંગે હજુ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ મંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં જણાવ્યું હતું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને જલ્દી સુધારો થશે. કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ગેસ સપ્લાય વધારે, સબસિડી પુનઃસ્થાપિત કરે અને અછતના કારણોની તપાસ કરાવે.
આ પણ વાંચો – વંચિત વર્ગના વિદ્યાર્થીઓની છાત્રવૃત્તિ માટે કરોડો રૂપિયા ખર્ચ થયા જ નહીં : સરકારે સંસદમાં આપી માહિતી
