વિશાલ મિસ્ત્રી રાજપીપળા : હાલમાં ઈરાન અને ઇઝરાઇલ વચ્ચેના યુદ્ધમાં દુબઇ, યુ.એ.ઈ સહિતના અન્ય ખાડી દેશો પર પણ ઈરાન દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.આ દેશોમાં નોકરી ધંધા અર્થે ગયેલા ઘણા ગુજરાતીઓ પણ ફસાયા હોવાની માહિતીઓ બહાર આવી છે.ત્યારે નર્મદા જિલ્લાના સેલંબાના યુવાન-યુવતી દુબઈમાં ફસાયા હોવાની માહિતી નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને મળતા એમણે આ બાબતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફોન કર્યો અને યુવાન હેમખેમ પરત ફરતા યુવાનના પરિવારે રાહતના શ્વાસ લીધા હતા.
3 માર્ચના રોજ નર્મદા જિલ્લાના સેલંબા ગામના પવનભાઈ અગ્રવાલે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવનો સંપર્ક કરી જણાવ્યું કે પરિવારના નિધિ અગ્રવાલ તથા પાર્થ અગ્રવાલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં મુશ્કેલીમાં ફસાયા છે.આ માહિતી મળતાં જ નીલ રાવ દ્વારા સંબંધિત તંત્ર સાથે સંકલન કરીને તેમની સુરક્ષિત વાપસી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી.નીલ રાવે તુરંત ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે માહિતગાર કયા.
જે બાદ હર્ષ સંઘવી દ્વારા આ સમગ્ર પ્રક્રિયામાં ભારત સરકારના વિદેશ મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને માહિતગાર કરાયા હતા.અંતે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને સહકારથી નિધિ અગ્રવાલ તથા પાર્થ અગ્રવાલ સેલંબા ખાતે હેમખેમ પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ બાબતે નીલ રાવે જણાવ્યું હતું કે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સહકારથી આ કાર્ય ઝડપથી શક્ય બન્યું છે.ગુજરાતીઓની સલામતીની વાત હોય તો હર્ષ સંઘવી તાત્કાલિક મદદ માટે ખડેપગે હાજર હોય છે તે આજે ફરી એક વખત સાબિત થયું છે.
આ પણ વાંચો – ટ્રમ્પે ઈરાનને ‘નિઃશર્ત સમર્પણ’ની માંગ કરી
