ગાંધીનગર : “કુપોષણ મુક્ત ગુજરાત”ના નારા વચ્ચે પણ રાજ્યમાં બાળકોની પોષણ સ્થિતિ ચિંતાજનક રહી છે. વિધાનસભામાં સરકારી આંકડા સામે આવ્યા છે કે માત્ર 20 જિલ્લામાં જ 2.57 લાખ બાળકો કુપોષણના શિકાર છે. આમાં 2.11 લાખ બાળકો ઓછું વજન ધરાવે છે અને 45,634 બાળકો અતિ કુપોષિત છે. આદિવાસી વિસ્તારો તો દૂર, શહેરી અને વિકસિત જિલ્લાઓમાં પણ આ સમસ્યા વધી રહી છે.
રાજ્ય સરકાર આંગણવાડી કેન્દ્રો, સુપોષિત આહાર અને અનેક યોજનાઓ દ્વારા લાખો કરોડનો ખર્ચ કરી રહી છે. છતાં વિધાનસભામાં ચર્ચા દરમિયાન સામે આવ્યું કે ભાવનગર, વડોદરા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ખેડા, દાહોદ, ભરૂચ, બનાસકાંઠા અને કચ્છ જેવા જિલ્લાઓમાં કુપોષણના કેસ વધુ છે. આમાં છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં તો વર્ષ 2024-25 અને 2025-26માં કરોડો રૂપિયા ખર્ચ થયા છતાં કુપોષિત બાળકોની સંખ્યા વધી છે.
વિપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રશ્ન ઉઠાવ્યો કે 2004ના હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ પછી 21 વર્ષ થયાં હજુ પણ ગુજરાત આ સમસ્યા પર કાબૂ મેળવી શક્યું નથી. તેમણે કહ્યું કે યોજનાઓનો અમલ નબળો છે અને મળતિયા પોષિત થઈ રહ્યા છે.
આ ચર્ચા દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી મનિષા વકીલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “પહેલાં બાળકો પેટને ગમે તેવું ખાતાં હતાં, હવે તેઓ જીભ અને નાકને ગમે તેવું (સ્વાદ અને સુગંધવાળું) ખાય છે. આ ખોટી આદતને કારણે જરૂરી પોષક તત્વો શરીરમાં પહોંચતા નથી.” આ વાતે વિપક્ષ તેમજ સમાજમાં ભારે ચર્ચા થઈ રહી છે.
સરકારે દાવો કર્યો છે કે કુપોષણનો દર ઘટી રહ્યો છે, પરંતુ વિસ્તારોમાં આંકડા અને ખર્ચની વાસ્તવિક સ્થિતિ આ દાવાને પડકારે છે. ગુજરાતને સાચા અર્થમાં કુપોષણ મુક્ત બનાવવા માટે યોજનાઓના અમલમાં સુધારો અને મોનિટરિંગની જરૂર છે.
આ પણ વાંચો – કોવિડ પછી ફરી એક વખત બેરોજગારીનો ડર : LPG ગેસ કટોકટીમાં સુરત છોડી રહ્યા છે હજારો મજૂરો
