નવી દિલ્હી/ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર જમીન કૌભાંડના આક્ષેપોને લઈને કોંગ્રેસે દિલ્હીમાં મોટો રાજકીય ધડાકો કર્યો છે. કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે ઉજ્જૈનમાં 500 કરોડ રૂપિયાની કિંમતની જમીન મુખ્યમંત્રીના સાંસ્કૃતિક સલાહકારના ટ્રસ્ટને માત્ર 1 રૂપિયામાં આપી દેવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસે ભાજપના એ બચાવને પણ ફગાવી દીધો છે કે ‘ઓબીસી (OBC) મુખ્યમંત્રી હોવાને કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.’ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે ભાજપ જમીન કૌભાંડના મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે જ્ઞાતિવાદની વાત કરી રહી છે, અને આ તો માત્ર શરૂઆત છે, આગામી સમયમાં વધુ પડદાં ખૂલશે.
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ના રિપોર્ટથી શરૂ થયો વિવાદ
મુખ્યમંત્રી મોહન યાદવ પર જમીન કૌભાંડને લઈને ત્યારે ગંભીર આક્ષેપો લાગ્યા જ્યારે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ની તપાસમાં દાવો કરવામાં આવ્યો કે મુખ્યમંત્રી બન્યા પછી મોહન યાદવ, તેમના પરિવાર અને તેમની સાથે જોડાયેલી રિયલ એસ્ટેટ કંપનીઓએ ઉજ્જૈન અને આસપાસના વિસ્તારોમાં ૧૩૭ પ્લોટ ખરીદ્યા છે, જેનું કુલ ક્ષેત્રફળ લગભગ ૧૬૮ એકર થાય છે. આ મામલાને લઈને જ મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારી અને રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ બુધવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના ચોંકાવનારા આક્ષેપો
દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જીતુ પટવારીએ જણાવ્યું કે, 1 રૂપિયામાં 500 કરોડની જમીન – મધ્યપ્રદેશ સરકારે ઉજ્જૈનમાં 500 કરોડ રૂપિયાની જમીન એક ટ્રસ્ટને માત્ર 1 રૂપિયામાં ફાળવી દીધી. આ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રામ જી છે, જે મુખ્યમંત્રી મોહન યાદવના સાંસ્કૃતિક સલાહકાર છે.
સત્તા મળ્યા બાદ જમીનોની ખરીદી: સીએમ બન્યા બાદ મોહન યાદવના પરિવારે ઉજ્જૈનમાં સેંકડો એકર જમીન ખરીદી છે. આ 168 એકર જમીનમાંથી 111 એકર જમીન એ વિસ્તારમાં છે જ્યાં ભવિષ્યમાં સિંહસ્થ કુંભ યોજાવાનો છે.
માસ્ટર પ્લાન અને ટેક્સ ચોરી: 2035 ના માસ્ટર પ્લાનવાળા ક્ષેત્રમાં પણ પરિવારે જમીનો ખરીદી છે. આટલી મોટી જમીન ખરીદવા માટે પૈસા ક્યાંથી આવ્યા? તેનો પૂરો હિસાબ જનતા સામે આવવો જોઈએ. આ સાથે ટેક્સ ચોરીના પણ આક્ષેપો લગાવાયા છે.
કોંગ્રેસ નેતા પવન ખેડાએ મહારાષ્ટ્રના આદર્શ કૌભાંડનો દાખલો આપતા કહ્યું, “આદર્શ કૌભાંડમાં અશોક ચવ્હાણના સાસુના નામે ફ્લેટ હોવાથી રાજીનામું લેવાયું હતું, પરંતુ અહીં મીડિયામાં સન્નાટો છે. અયોધ્યામાં ચંદાની ચોરી અને મહાકાલમાં જમીનની લૂંટ- આ ભાજપનું નવું મોડલ છે.” કોંગ્રેસે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે.
BJP ની સ્પષ્ટતા: “OBC મુખ્યમંત્રીને નિશાન બનાવાઈ રહ્યા છે”
ભાજપે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ હેમંત ખંડેલવાલે સ્પષ્ટતા કરતા કહ્યું, “મોહન યાદવે 2023 ના નામાંકન પત્રમાં 17 એકર જમીન દર્શાવી હતી. આજે પણ લગભગ એટલી જ છે. પહેલા 68 એકર હતી, જે હવે ઘટીને 65 એકર રહી ગઈ છે. આ તમામ જમીન માસ્ટર પ્લાન લાગુ થતા પહેલાની છે.”
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ એક ઓબીસી મુખ્યમંત્રીને નિશાન બનાવી રહી છે. ઉમા ભારતી, શિવરાજ સિંહ ચૌહાણ અને હવે મોહન યાદવ- જ્યારે પણ પછાત વર્ગના મુખ્યમંત્રી બન્યા, કોંગ્રેસે તેમને નબળા પાડવાનો પ્રયાસ કર્યો છે.
જીતુ પટવારીનો પલટવાર અને કોંગ્રેસના 5 અણિયાળા સવાલો
ભાજપની આ સ્પષ્ટતા પર જીતુ પટવારીએ કહ્યું, “ભાજપ જ્ઞાતિનો મુદ્દો ઉઠાવીને ધ્યાન ભટકાવી રહી છે. ઓબીસી હોવાથી ભ્રષ્ટાચાર કરવાની છૂટ નથી મળી જતી.” કોંગ્રેસે ભાજપના આ જવાબ બાદ કેટલાક સીધા સવાલો ઊભા કર્યા છે.
500 કરોડની જમીન માત્ર 1 રૂપિયામાં કેમ આપવામાં આવી?
જો ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ ખોટો છે તો FIR કેમ નોંધવામાં નથી આવી?
ભાજપ પ્રદેશ અધ્યક્ષને જમીન પર સવાલ પૂછવામાં આવ્યો તો જ્ઞાતિનો જવાબ કેમ આપ્યો?
મુખ્યમંત્રી બન્યા બાદ મોહન યાદવના પરિવાર દ્વારા ઝડપથી જે જમીન ખરીદવામાં આવી, તેના માટે પૈસા ક્યાંથી આવ્યા?
જો બધું જ પારદર્શક છે તો શું ભાજપ સ્વતંત્ર ન્યાયિક તપાસ કરાવશે? અને ખરીદેલી જમીન પર શ્વેતપત્ર (White Paper) બહાર પાડશે?
હાલમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો આ જમીન વિવાદ રાજ્યના રાજકારણમાં ગરમાયો છે. કોંગ્રેસ તેને મોટો ભ્રષ્ટાચાર ગણાવી રહી છે, જ્યારે ભાજપ તેને OBC મુખ્યમંત્રી વિરુદ્ધનું કાવતરું ગણાવી રહી છે. આગામી સમયમાં આ મામલે કોઈ તપાસ થાય છે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
