- પાસપોર્ટ, આધાર કે વોટર ID નાગરિકતાનો પુરાવો નથી! સરકારના નિવેદનથી ભડકેલા લોકોએ પૂછ્યું- તો આખરે પુરાવો છે શું?
નવી દિલ્હી: ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ એક ‘યાત્રા દસ્તાવેજ’ છે અને તે નાગરિકતાનો નક્કર પુરાવો નથી. વિદેશ મંત્રાલય (MEA) ના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો આ માત્ર યાત્રા માટેનો દસ્તાવેજ છે, તો શું તે વિદેશીઓને પણ આપવામાં આવે છે? શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેથી લઈને દિગ્ગજ લેખક જાવેદ અખ્તરે આ અંગે સરકારની આકરી ટીકા કરી છે. સામાન્ય નાગરિકો પણ પૂછી રહ્યા છે કે જો આ નાગરિકતાનો પુરાવો જ નથી, તો પાસપોર્ટ બનાવતી વખતે પોલીસ આટલું કડક વેરિફિકેશન કેમ કરે છે?
વિદેશ મંત્રાલયનું (MEA) નિવેદન શું હતું?
તાજેતરમાં 14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે વિદેશ મંત્રાલયે દેશમાં પાસપોર્ટ સેવાઓના વિસ્તરણ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાસપોર્ટ આંતરરાષ્ટ્રીય યાત્રાને સરળ બનાવવા માટે જારી કરાયેલ એક સરકારી દસ્તાવેજ છે, પરંતુ તે પોતાની રીતે નાગરિકતાનો ઠોસ પુરાવો નથી. મંત્રાલયનું કહેવું છે કે પાસપોર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશ યાત્રાની મંજૂરી આપવાનો છે, વ્યક્તિની નાગરિકતા નક્કી કરવાનો નહીં.
વિપક્ષ અને દિગ્ગજોના આકરા પ્રત્યાઘાત
સરકારના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તીખા સવાલો પૂછવાના શરૂ કરી દીધા હતા:
આદિત્ય ઠાકરેનો કટાક્ષ: શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ પૂછ્યું કે MEA હજુ કેટલું વાહિયાત સાબિત થશે? તેમણે X (ટ્વિટર) પર 3 સવાલો કર્યા: (૧) પાસપોર્ટ આપતા પહેલા પોલીસ કઈ બાબતની તપાસ કરે છે? (૨) શું આપણો દેશ બિન-ભારતીયોને પણ યાત્રા દસ્તાવેજ તરીકે પાસપોર્ટ આપે છે? (૩) શું આ જાહેરાતથી અન્ય દેશોના મનમાં શંકા ઊભી નહીં થાય?
જાવેદ અખ્તરનો સવાલ: જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે આ નિવેદનને વાહિયાત ગણાવતા પૂછ્યું કે, “શું તેઓ નાગરિકતાની ખાતરી કર્યા વિના જ અમુક લોકોને આ દસ્તાવેજ આપી રહ્યા છે? કારણ કે તેમને પૂરી ખાતરી નથી કે તેઓ ભારતીય છે? આ વાત એકદમ બેતુકી છે.”
પત્રકારોની પ્રતિક્રિયા: વરિષ્ઠ પત્રકારોએ નોંધ્યું કે આધાર કાર્ડ નાગરિકતા માટે ઓળખપત્ર નથી, પાસપોર્ટ પણ નાગરિકતા માટે નથી, પરંતુ આ બંને દસ્તાવેજોના આધારે દેશમાં દરેક અન્ય દસ્તાવેજ બની શકે છે. આ એક અજબ સિસ્ટમની ગજબ કહાની છે.
સરકાર અને કાયદાકીય તર્ક શું કહે છે?
કાયદાકીય નિષ્ણાતોના મતે, કોઈપણ વ્યક્તિને પાસપોર્ટ જારી કરતા પહેલા તેની નાગરિકતાની સઘન તપાસ ચોક્કસપણે કરવામાં આવે છે. પરંતુ કાયદાની નજરમાં પાસપોર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકતા સાબિત કરવાનો નહીં, પરંતુ યાત્રાની પરવાનગી આપવાનો છે. રસપ્રદ વાત એ છે કે ભારતીય પાસપોર્ટના પાછળના ભાગે સ્પષ્ટ લખેલું હોય છે કે તે ‘ભારત સરકારની સંપત્તિ’ છે અને આદેશ મળવા પર તેને પરત ખેંચી શકાય છે.
અગાઉ, સુપ્રીમ કોર્ટે પણ એક સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે આધાર કાર્ડ નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નથી, તે માત્ર ઓળખનો દસ્તાવેજ છે. એ જ રીતે, વોટર આઈડી (ચૂંટણી કાર્ડ) પણ મુખ્યત્વે ઓળખ અને રહેઠાણનો દસ્તાવેજ છે, જે માત્ર મતદાનનો અધિકાર આપે છે.
તો નાગરિકતા કેવી રીતે નક્કી થાય છે?
ભારતીય નાગરિકતા કાયદા અનુસાર
26 જાન્યુઆરી 1950 થી 1 જુલાઈ 1987: આ સમયગાળા વચ્ચે ભારતમાં જન્મેલ કોઈપણ વ્યક્તિ જન્મથી જ ભારતીય નાગરિક ગણાય છે (માતા-પિતા વિદેશી હોય તો પણ).
1 જુલાઈ 1987 પછી: આ સમયગાળા પછી જન્મેલા વ્યક્તિને ત્યારે જ નાગરિકતા મળશે જ્યારે તેના માતા-પિતામાંથી ઓછામાં ઓછો એક ભારતીય નાગરિક હોય.
3 ડિસેમ્બર 2004 પછી: આ તારીખ પછી જન્મેલી વ્યક્તિ માટે બંને માતા-પિતા ભારતીય હોવા જોઈએ, અથવા એક ભારતીય નાગરિક હોય અને બીજો ગેરકાયદેસર પ્રવાસી (Illegal Migrant) ન હોવો જોઈએ.
મુખ્ય મૂંઝવણ ક્યાં છે?
વિવાદનું મુખ્ય કારણ એ છે કે સરકાર એક તરફ કહે છે કે પાસપોર્ટ માત્ર ભારતીય નાગરિકોને જ અપાય છે (જેના માટે કડક પોલીસ વેરિફિકેશન થાય છે), અને બીજી તરફ તેને નાગરિકતાનો અંતિમ પુરાવો માનવાનો ઇનકાર કરે છે. સામાન્ય માણસના મનમાં હવે એ સવાલ છે કે જો પાસપોર્ટ, આધાર અને વોટર આઈડી નાગરિકતાના પુરાવા નથી, તો આખરે ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે કયા દસ્તાવેજ પર ભરોસો કરવો?
આ પણ વાંચો – ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે PM મોદીને આમંત્રણ, 4થી 9 જુલાઈ સુધી ચાલશે કાર્યક્રમ
