નવી દિલ્હી : ભારત અને ઈરાનના રાજદ્વારી સંબંધો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને મંગળવારે ઔપચારિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના રાજકીય અંતિમ સંસ્કાર અને દફનવિધિમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવ્યું છે. ખામેનેઈની આ અંતિમ યાત્રા ૪ જુલાઈથી શરૂ થશે અને ૯ જુલાઈના રોજ તેમની દફનવિધિ સાથે પૂર્ણ થશે.
‘નોટ વર્બેલ’ દ્વારા અપાયું ઔપચારિક આમંત્રણ
ઈરાની સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીના નામે મોકલવામાં આવેલું આ ઔપચારિક આમંત્રણ એક ‘નોટ વર્બેલ’ (કૂટનીતિક પત્ર) દ્વારા ભારતના વિદેશ મંત્રાલય (MEA) ને સોંપવામાં આવ્યું છે. એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું કે, “ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નેતા આયતુલ્લા સૈયદ અલી ખામેનેઈના અનેક દિવસો સુધી ચાલનારા આ રાજકીય અંતિમ સંસ્કાર અને દફનવિધિમાં ઉપસ્થિત રહેવા માટે ઔપચારિક આમંત્રણ આપ્યું છે.”
ભારતનું વલણ: હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નહીં
મંગળવારે આ નિમંત્રણ મળ્યું હોવા છતાં, ભારત સરકાર તરફથી હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે વડાપ્રધાન મોદી આ આમંત્રણ સ્વીકારશે કે કેમ. આ સાથે જ જો પીએમ મોદી ઈરાન ન જાય તો, ભારતીય પ્રતિનિધિમંડળમાં કોણ સામેલ થશે અને ઈરાન કોણ જશે, તે અંગે પણ સરકાર તરફથી કોઈ જ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
હુમલો અને ભારતનો શોક સંદેશ
નોંધનીય છે કે, ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ ખામેનેઈનું મૃત્યુ થયું હતું. ભારતે આ હુમલાની ઘટનાની જાહેરમાં કોઈ જ નિંદા કરી ન હતી, જે ભારતનું તટસ્થ વલણ દર્શાવે છે. જોકે, 5 માર્ચના રોજ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસમાં જઈને શોક-પુસ્તિકા (Condolence book) પર હસ્તાક્ષર કર્યા હતા. ખામેનેઈના મૃત્યુ બાદ ભારત સરકાર તરફથી ઈરાન પ્રત્યેનો આ પહેલો અને સત્તાવાર શોક સંદેશ હતો.
આ પણ વાંચો – ક્રાઇમ બ્રાંચે કુખ્યાત ડ્રગ્સ માફિયા આમિર ખાન પઠાણને કસ્ટડીમાં લઈને કેમ છોડી દીધો?
