નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી (GDP) ગ્રોથ રેટ ૭.૮% નોંધાતાં દેશમાં વિકાસના આંકડાઓ પર રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. એક તરફ પીએમ મોદીએ આ આંકડાઓને દેશની મજબૂતી ગણાવી છે, તો બીજી તરફ કોંગ્રેસે તેને માત્ર ‘પ્રચાર’ ગણાવી જનતાની વાસ્તવિક આર્થિક સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો છે.
કોંગ્રેસનો પ્રહાર : સામાન્ય જનતા ‘3 U’ થી પરેશાન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે, જ્યારે અર્થતંત્રની વાત આવે છે ત્યારે સરકાર માત્ર પ્રચાર પર ધ્યાન આપે છે. તેમણે દાવો કર્યો કે દેશનો સામાન્ય નાગરિક હાલમાં ‘3 U’ ની ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે:
અનપ્રિસિડેન્ટેડ બેરોજગારી (Unprecedented): છેલ્લા ૫૦ વર્ષમાં બેરોજગારી સૌથી ઉચ્ચ સ્તરે છે. દેશના ૪૦% ગ્રેજ્યુએટ યુવાનો આજે રોજગાર વિહોણા ભટકી રહ્યા છે.
અનબિયરેબલ મોંઘવારી (Unbearable): રિટેલ ફુગાવો ૧૯ મહિનાની ટોચે પહોંચી ગયો છે. ખાંડ, ડુંગળી, ટામેટાં, દાળ અને દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગઈ છે.
અનબ્રાઇડલ્ડ અસમાનતા (Unbridled): દેશની ૪૦% સંપત્તિ માત્ર ૧% અમીરો પાસે કેન્દ્રિત થઈ છે. વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધીમાં સરકારે મોટા કોર્પોરેટ ગૃહોના રૂ. ૧૬ લાખ કરોડથી વધુના દેવા માંડી વાળ્યા છે.
પીએમ મોદીનો વળતો જવાબ : નિરાશા ફેલાવનારાઓને જનતાનો જડબાતોડ જવાબ
કોંગ્રેસના આ આક્ષેપો સામે વડાપ્રધાન મોદીએ ૭.૮% ના જીડીપી ગ્રોથને દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ અને મોટી સિદ્ધિ ગણાવી હતી.
વૈશ્વિક પડકારો વચ્ચે વિકાસ: પીએમએ સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને સપ્લાય ચેઇનની વિક્ષેપિત પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.
વિપક્ષ પર નિશાન: તેમણે કહ્યું કે કેટલાક લોકો દેશમાં સતત નિરાશા ફેલાવવાનું કામ કરી રહ્યા છે, પરંતુ ભારતની જનતાની મહેનત અને મજબૂત ઇચ્છાશક્તિને કારણે દેશે આ આર્થિક સફળતા મેળવી છે.
આ પણ વાંચો – રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
