પ્રજાના ટેક્સના પૈસા ધૂળધાણી: માત્ર ૪ વોર્ડમાં છારું અને માટીના નામે ૬૮ લાખનું બિલ, સાતેય ઝોનમાં દર વર્ષે ૫ કરોડનો ભ્રષ્ટાચાર ?
અમદાવાદ: સામાન્ય રીતે લોકો ‘ધૂળધાણી થવી’ કહેવતનો ઉપયોગ બરબાદી દર્શાવવા કરે છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ભ્રષ્ટ બાબુઓ અને કોન્ટ્રાક્ટરો માટે આ જ ‘ધૂળ’ અને ‘ઢેફાં’ કરોડો રૂપિયા કમાવવાનું સાધન બની ગયા છે. વિકાસના નામે સત્તાનો દુરુપયોગ કરીને પ્રજાના પરસેવાની કમાણી કેવી રીતે વેડફાય છે, તેનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. AMC દ્વારા માત્ર એક ઝોનના ૪ વોર્ડમાં વૃક્ષારોપણ અને વોકવેના નામે માટી અને ઈંટનો ભૂકો (છારું) ખરીદવા અધધ… ૬૮ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ મંજૂર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
માત્ર ૪ વોર્ડમાં ૬૮ લાખનો ખેલ!
કોર્પોરેશન દ્વારા રસ્તા પરના ડિવાઈડર, ફૂટપાથની માર્જિનની જગ્યાઓ અને ખાલી પ્લોટમાં છોડવા રોપવા માટે આ માટી ખરીદવામાં આવે છે. હાલ દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ, જોધપુર, વેજલપુર અને મક્તમપુરા એમ માત્ર ૪ વોર્ડમાં વૃક્ષો વાવવા માટે રૂ. ૩૯ કરોડની માટી અને ઓક્સિજન પાર્કમાં વોકવે પર પાથરવા માટે રૂ. ૨૯ કરોડના ખર્ચે ઈંટોનો ભૂકો (છારું) ખરીદવાનું આયોજન કરાયું છે.
ખાલી પ્લોટ કે જ્યાં કુદરતી રીતે જ જાતે વૃક્ષો ઊગી નીકળતા હોય છે, ત્યાં નવેસરથી ખાડા ખોદીને રોપા વાવવાના નામે મ્યુનિસિપલ તંત્ર ધૂળ અને ઢેફાં ખરીદવા પાછળ લાખો રૂપિયાનું આંધણ કરી રહ્યું છે.
નર્સરીની ‘ફ્રી માટી’ અને AMC નું બમણું બિલ
આ ગોટાળાની સૌથી હાસ્યાસ્પદ બાબત એ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નર્સરીમાંથી જે છોડ બ્લેક બેગમાં ખરીદવામાં આવે છે, તેની સાથે પહેલેથી જ પૂરતા પ્રમાણમાં ખાતરવાળી માટી આવે જ છે. તેમ છતાં અલગથી માટી ખરીદવાના લાખો રૂપિયાના બિલો પાસ કરવામાં આવી રહ્યા છે. જો એક ઝોનના ચાર વોર્ડનો ખર્ચ ૬૮ લાખ થતો હોય તો શહેરના સાતેય ઝોન અને ૪૮ વોર્ડમાં ધૂળ-માટીના નામે દર વર્ષે રૂ. ૪ થી ૫ કરોડ ઉડાડી દેવામાં આવે છે.
તંત્રની પોલ ખોલતા ૪ વેધક સવાલો
‘મિશન ટ્રી’ પૂરું તો માટી કોના માટે? સત્તાધીશો પોતે જ દાવા કરે છે કે ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત ૯૦% વૃક્ષારોપણ પૂરું કરી દેવાયું છે. તો પછી હવે આ ૩૯ લાખની માટી ખરીદીને ક્યાં નાંખવામાં આવશે?
ચોમાસું વીત્યા પછી વૃક્ષારોપણ કોણ કરે? વૃક્ષો વાવવાની શ્રેષ્ઠ ઋતુ ચોમાસું હવે લગભગ વીતી જવા આવ્યું છે, ત્યારે છેક શિયાળાની શરૂઆતમાં આટલા મોટા જથ્થામાં ધૂળ-માટી ખરીદવાનો તર્ક શું છે? શું આ માત્ર કોન્ટ્રાક્ટરને કમાવી આપવાની સ્કીમ છે?
ડબલ ખર્ચ શા માટે? જ્યારે નર્સરીમાંથી આવતા પ્લાન્ટની બ્લેક બેગમાં ઓરિજિનલ માટી મોજૂદ જ હોય છે, તો પછી વધારાની ધૂળ ખરીદીને પ્રજાના પૈસાનું બમણું નુકસાન કેમ કરવામાં આવી રહ્યું છે?
દર વર્ષે ૫ કરોડનો હિસાબ ક્યાં છે? જો દર વર્ષે કોર્પોરેશન ૪ થી ૫ કરોડની ધૂળ ખરીદે છે, તો શહેરમાં એ ધૂળ જાય છે ક્યાં? ડિવાઈડરો અને ખાલી પ્લોટોમાં માટી નખાયા પછી તેની કોઈ ઓડિટ કે ક્વોલિટી ચેક થાય છે ખરી?
કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત
આ સમગ્ર પ્રકરણ સ્પષ્ટ ઈશારો કરે છે કે વૃક્ષારોપણ જેવી પર્યાવરણની પવિત્ર કામગીરીમાં પણ ભ્રષ્ટાચારની ઊધઈ લાગી ચૂકી છે. જે માટી પ્રકૃતિનું સર્જન કરવા માટે વપરાવી જોઈએ, તેનાથી કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ બાબુઓના ખિસ્સા ભરવામાં આવી રહ્યા છે. જો આ ૬૮ લાખના ટેન્ડરની તટસ્થ અને ઊંડી તપાસ થાય તો ધૂળની નીચે દબાયેલા ભ્રષ્ટાચારના મોટા પથ્થરો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો – સામાન્ય માણસને હપ્તા માટે ફાંસો, અબજોપતિઓને જલસા! ૨૨,૦૦૦ કરોડના દેવા સામે સુભાષ ચંદ્રા માત્ર ૬.૫ કરોડ ભરીને છૂટ્યા
