- માત્ર એક બકરીની ચોરીએ લીધા 48 જીવ : પાકિસ્તાનના સિંધમાં બે સમુદાયો વચ્ચેના 9 વર્ષના લોહીયાળ જંગનો અંત
શિકારપુર (પાકિસ્તાન): ઉત્તરી સિંધના શિકારપુર જિલ્લામાં ‘જુનેજો’ અને ‘કલ્હોડા’ સમુદાયો વચ્ચે છેલ્લા નવ વર્ષથી ચાલી રહેલી હિંસક દુશ્મનાવટનો આખરે અંત આવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ ભયાનક લડાઈની શરૂઆત માત્ર એક બકરીની ચોરીના સામાન્ય આક્ષેપથી થઈ હતી, જેણે જોતજોતામાં 48 લોકોનો ભોગ લીધો.
બકરી ચોરીથી હથિયારો સુધીની સફર
આ વિવાદની શરૂઆત નવ વર્ષ પહેલા થઈ હતી જ્યારે કલ્હોડા સમુદાયના એક વ્યક્તિ પર બકરી ચોરીનો આરોપ લાગ્યો હતો. સમાધાન માટે પંચાયત (જિરગા) બોલાવવામાં આવી, પરંતુ બકરીના માલિકે એક શખ્સને માફ કરવાનો ઇનકાર કર્યો. આ નાની વાત જોતજોતામાં સશસ્ત્ર સંઘર્ષમાં ફેરવાઈ ગઈ. બંને સમુદાયોએ એકબીજાના વિસ્તારોને ‘નો-ગો ઝોન’ જાહેર કરી દીધા અને શાળાઓ પણ વેરાન બની ગઈ.

આધુનિક હથિયારો અને લાખોનો ખર્ચ
બીબીસીના અહેવાલ મુજબ, આ વિસ્તારોમાં સ્થિતિ એટલી ગંભીર હતી કે ગામડાઓમાં RPG મોર્ટાર, LMG અને SMG જેવા આધુનિક હથિયારોની હાજરી જોવા મળી હતી. ગામના લોકોએ માટીની બોરીઓથી મોરચા બનાવ્યા હતા અને 24 કલાક ચોકી પહેરો દેવામાં આવતો હતો. હફીઝ કલ્હોડાના જણાવ્યા મુજબ, જ્યારે વિવાદ ચરમસીમા પર હતો ત્યારે સુરક્ષા અને હથિયારો પાછળ મહિનાનો ખર્ચ 50 લાખ પાકિસ્તાની રૂપિયાથી પણ વધી જતો હતો.
જિર્ગા દ્વારા સમાધાન અને 15 કરોડનો દંડ
પાકિસ્તાનની નબળી ન્યાયિક પ્રક્રિયાને કારણે લોકોએ સ્થાનિક પરંપરાગત ન્યાય પ્રણાલી ‘જિરગા પર નિર્ભર રહેવું પડ્યું. તાજેતરમાં યોજાયેલા આ જિર્ગામાં બંને પક્ષો પર એકબીજાના જાન-માલના નુકસાન બદલ કુલ 14 કરોડ 91 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ એવી શરત રાખવામાં આવી છે કે ભવિષ્યમાં જે પક્ષ હુમલો કરશે તેને ભારે દંડ ભોગવવો પડશે.
કાયદાકીય મર્યાદાઓ પર સવાલ
જોકે, સત્તાવાર અદાલતો હોવા છતાં ‘જિર્ગા’ જેવી ખાનગી અદાલતો દ્વારા હત્યા જેવા ગંભીર ગુનાઓના ફેંસલા કરવામાં આવતા હોવાથી કાયદાકીય નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે. સિંધ હાઈકોર્ટે 10 વર્ષ પહેલા જિર્ગા પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમ છતાં વહીવટી તંત્રની હાજરીમાં આ સમાધાન થયું છે.
હાલમાં સમાધાન બાદ આ વિસ્તારોમાં શાંતિ સ્થપાઈ છે અને લોકો હવે ભય વગર ખેતી અને વ્યવસાય કરવાના સપના જોઈ રહ્યા છે.
આ પણ વાંચો- અનિલ અંબાણી પર ઈડીની કાર્યવાહી: સાણંદમાં MICA કોલેજ અને જમીન સહિતની મિલકતો જપ્ત
