વાવ-થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ભયાનક અને ક્રૂર ઘટના સામે આવી છે. મૈત્રી કરાર કરી અમદાવાદમાં સાથે રહેતા યુવક-યુવતીને યુવતીના પરિવારે શોધી કાઢ્યા બાદ યુવક પર અસહ્ય અત્યાચાર કરવામાં આવ્યો છે. યુવકની હાલત ગંભીર હોવાથી તેને પાલનપુર ખસેડવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ અનુસાર, બીજી એપ્રિલ 2026ની રાત્રે યુવતીના પરિવારના સભ્યોએ કાવતરું રચી અમદાવાદમાં યુવક-યુવતીના રૂમનો દરવાજો ખોલાવ્યો. આરોપીઓએ યુવક પાસે રહેલા રોકડા, દસ્તાવેજો અને દાગીના લૂંટી લીધા બાદ બંનેને અપહરણ કરી લીધા. રસ્તામાં યુવતીને અલગ કારમાં બેસાડી અલગ કરી દેવામાં આવી, જ્યારે યુવકને અવાવરુ જગ્યાએ લઈ જવામાં આવ્યો.

યુવક પર કરવામાં આવેલો અત્યાચાર અત્યંત ક્રૂર અને માનવતા વિરુદ્ધ છે. આરોપીઓએ યુવકના કપડાં ઉતારી નાખ્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં ટ્યુબ લગાવી અને ઈન્જેક્શનની સોય ભોંકી અસહ્ય પીડા આપી. તેના મોઢા અને આંખ પર કોઈ પ્રવાહીનો ફુવારો મારવામાં આવ્યો. જ્યારે યુવકે બૂમાબૂમ કરી ત્યારે નાક પર મુક્કો મારીને તેને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો.
આટલું પણ ન અટકતા આરોપીઓ યુવકને એક વાડીમાં લઈ ગયા. ત્યાં છરા વડે તેની પીઠ, કાન અને હાથ પર ઘા કર્યા. ત્યારબાદ પાઈપ અને પટ્ટા વડે આડેધડ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવકની હાલત અત્યંત નાજુક જણાતા તેને પ્રથમ થરાદ સિવિલ હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે પાલનપુર રીફર કરવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને થરાદ પોલીસ સ્ટેશને કુલ 24 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં 12 નામજોગ અને 12 અજાણ્યા આરોપીઓ સામે અપહરણ, લૂંટ, આતંક મચાવવો અને જીવલેણ હુમલો જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો છે. આ ઘટનાથી આખા પંથકમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે ઝડપી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો – ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય : ન્યાય આપવામાં AI પર સંપૂર્ણ પ્રતિબંધ!
