અમદાવાદ પોલીસ બેડામાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર)ની બદલીનો ગંજીફો આખરે ચીપાઈ ગયો છે. કમિશનરેટે કુલ 67 પીઆઈની બદલી અને પોસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે 55 PIને બહારથી લાવીને નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
આ વખતની બદલીમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે કમિશનર કચેરીએ સ્પષ્ટ અને કડક વલણ અપનાવ્યું છે. અગાઉની બદલીઓમાં વચેટિયાઓ અને રાજકીય વગદાર નેતાઓની ભલામણોનો રાફડો ફાટતો હતો, પરંતુ આ વખતે કોઈપણ ભલામણ કરનારને સીધા જ “સોરી” કહી દેવામાં આવ્યું છે. કોઈ વહીવટદાર કે વચેટિયાની ગોઠવણ આ વખતે ચાલી નથી.
પીઆઈઓને પોસ્ટિંગ આપવા માટે આ વખતે ખાસ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. અધિકારીએ અત્યાર સુધી કેવી કામગીરી કરી છે, મળેલા રિવોર્ડ્સ, સર્વિસ દરમિયાનની વર્તણૂક અને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ, આ બધું ધ્યાનમાં લઈને જ નિષ્પક્ષ રીતે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
જે અધિકારીઓ અગાઉ વિવાદમાં આવ્યા હોય અથવા જેમની કામગીરી નબળી રહી હોય તેમને મહત્વના પોલીસ સ્ટેશનોને બદલે કંટ્રોલ રૂમ, ટ્રાફિક વિભાગ જેવા સાઇડ પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ નારોલ, નરોડા, વટવા, બોડકદેવ અને નવરંગપુરા જેવા મહત્વના અને સંવેદનશીલ પોલીસ સ્ટેશનો પર જે અત્યાર સુધી ઇન્ચાર્જ પીઆઈથી ચાલતા હતા, ત્યાં હવે કાયમી પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.
પ્રમાણિક અધિકારીઓમાં ખુશી
સામાન્ય રીતે વચેટિયાઓ પોતાની પસંદગીના PIને ચોક્કસ સ્ટેશનમાં મુકાવતા અને પછી તે PIએ તેમની મરજી મુજબ કામ કરવું પડતું. આનાથી પોલીસનું મનોબળ તૂટતું હતું. પરંતુ આ વખતે યોગ્યતા અને પ્રમાણિકતા આધારિત પોસ્ટિંગ મળતા પ્રમાણિક અને કાર્યક્ષમ પીઆઈઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ માને છે કે હવે કામ કરવાનું વાતાવરણ સુધરશે.
આ બદલીને અમદાવાદ પોલીસમાં સ્વચ્છ અને વ્યવસ્થિત વહીવટની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.
જૂઓ નીચે પ્રમાણે સંપૂર્ણ લિસ્ટ


આ પણ વાંચો – ખાખી છોડી ખાદી પહેરવાની તૈયારી: આઈજી મનોજ નિનામાનું સ્વૈચ્છિક રાજીનામું
