ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે પોલીસ બેડામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિકમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા 2006 બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે.
રાજ્ય સરકારે આ રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે, જેના કારણે વહીવટી તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સૂત્રોના અનુસાર, IPS મનોજ નિનામા સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે ભાજપ પાસે ટિકિટ માગી છે. શામળાજીના વતની આ અધિકારી હવે ‘ખાખી’ છોડીને ‘ખાદી’ ધારણ કરવા તરફ ડગ માંડી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, મનોજ નિનામા આગામી સમયમાં સક્રિય રાજકારણમાં જોડાઈ શકે છે. તેઓ અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઓડ બેઠક પરથી ભાજપની ટિકિટ માટે દાવેદારી નોંધાવી શકે છે. આવતીકાલ સુધીમાં ભાજપની યાદીમાં તેમનું નામ આવી શકે તેવી પ્રબળ શક્યતા છે.
જો તેઓ સ્થાનિક ચૂંટણીમાં વિજય મેળવે તો ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને મહત્ત્વના દાવેદાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અરવલ્લી વિસ્તારમાં તેમનો પ્રભાવ જોતાં તેમના રાજકીય પ્રવેશથી સ્થાનિક સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે.
IPS મનોજ નિનામાની પ્રતિક્રિયા
રાજીનામા બાદ મનોજ નિનામાએ કહ્યું, “42 વર્ષની લાંબી નોકરી પછી મેં રાજીનામું આપ્યું છે. સમાજનું મારા પર ઋણ છે, તેને જવાબદારી સમજીને હું આગળ વધી રહ્યો છું. હજુ સુધી કોઈ રાજકીય પક્ષે મારો સંપર્ક કર્યો નથી. જિલ્લો નવો છે, તેની જવાબદારીઓ હું નિભાવીશ.”
જણાવી દઈએ કે મનોજ નિનામા 2006 બેચના IPS અધિકારી છે અને હાલમાં ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી તરીકે ફરજ બજાવતા હતા. તેમના લાંબા અનુભવને કારણે પોલીસ વર્તુળોમાં તેમની ઓળખાણ છે. હવે તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરીને નવી કારકિર્દી શરૂ કરવા માંગે છે.
આ પણ વાંચો – મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ-LPGનો કેટલો પુરવઠો ? સરકારે આપી માહિતી
