સાળંગપુર ધામમાં ભક્તિ અને સેવાનો અલૌકિક સંગમ જોવા મળ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના 31મા જન્મદિવસના શુભ અવસરે અંબાણી પરિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના આંગણે ₹10 કરોડની ગૌ-સેવા અર્પણ કરી છે.
આ અવસરે અંબાણી પરિવારે સાળંગપુર ધામમાં અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટનું કુલ અંદાજિત ખર્ચ ₹15 કરોડ છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
આ ગૌશાળા સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં બનાવવામાં આવી રહી છે. વિશ્વની પ્રસિદ્ધ સ્વીડિશ કંપની DeLaval (130 વર્ષ જૂની)ની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર મુખ્ય યજમાન તરીકે જોડાયો છે. આ ગૌશાળામાં અંબાણી પરિવાર સિવાય અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં. અંબાણી પરિવાર આ ગૌશાળાને ‘અવિસ્મરણીય સંભારણું’ તરીકે વિકસાવવા માંગે છે.
કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીના આશીર્વાદ
સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજીએ આ અવસરે આશીર્વાદ આપતાં કહ્યું કે, “દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. પૂજ્ય માતૃશ્રી કોકિલાબા, શ્રી મુકેશભાઈ, શ્રીમતી નીતાબેન, શ્રી આકાશભાઈ-શ્લોકાબેન, શ્રીમતી ઈશાબેન-આણંદભાઈ તથા શ્રી અનંતભાઈ-રાધિકાબેન સહિત સમગ્ર પરિવાર પર દાદાની કૃપા કાયમ વર્ષતી રહે.”
અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ મારુતિયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ અને સેવા આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
આ પણ વાંચો – અમદાવાદ પોલીસમાં મોટી બદલી : જેપી જાડેજાને મણિનગર તો જેબી અગ્રવાલને નારોલની જવાબદારી
