ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્યભરની આશ્રમ શાળાઓની ખરાબ સ્થિતિ અને વ્યવસ્થાપન અંગે મહત્ત્વની સુનાવણી થઈ હતી. કોર્ટે સરકારની કામગીરી પર સીધા સવાલો કરતાં કહ્યું કે, “તમે આશ્રમ શાળાઓ માટે અલગ અને ચોક્કસ નિયમો કેમ નથી ઘડતા? નિયમો હશે તો જ તમામ શાળાઓ તેનું પાલન કરશે.”
હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, આશ્રમ શાળાઓને માત્ર નામ પૂરતી ન રાખવી જોઈએ, પરંતુ તેને સુવિધા સજ્જ રહેણાંક શાળા (રેસિડેન્શિયલ સ્કૂલ) બનાવવી જોઈએ. કોર્ટે સરકારને અરીસો બતાવતાં કહ્યું કે, “તમે ત્યારે જ સફળ ગણાશો જ્યારે પછાત વિસ્તારનો કોઈ વિદ્યાર્થી ભણી-ગણીને IAS અથવા IPS અધિકારી બને.”
કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો સરકાર આ શાળાઓ પર નિયંત્રણ રાખવા માંગે છે તો વિદ્યાર્થીઓને યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને પૂરતું પોષણ આપવાની જવાબદારી પણ સરકારની જ છે.
અરજદાર તરફની રજૂઆત
સિનિયર એડવોકેટે કોર્ટ સમક્ષ પાયાની મુશ્કેલીઓ રજૂ કરી. તેમણે જણાવ્યું કે, આશ્રમ શાળાઓમાં શિક્ષકો અને બિન-શિક્ષક સ્ટાફની ભારે અછત છે. વર્ષોથી આ શાળાઓનું કોઈ યોગ્ય નિરીક્ષણ થતું નથી. વિદ્યાર્થીઓને પૂરતું મધ્યાહન ભોજન પણ નથી મળતું.
એડવોકેટે કહ્યું, “જો છેવાડાના વિસ્તારના બાળકોને પોષ્ટિક ભોજન અને સારી સુવિધાઓ મળે તો જ તેમના વાલીઓ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કરશે.”
બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ હાઈકોર્ટે સરકાર તેમજ અરજદારને ૩ સપ્તાહમાં વિસ્તૃત જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ જવાબમાં આશ્રમ શાળાઓનું માળખું કેવું હોવું જોઈએ અને તેમાં કઈ કઈ પાયાની સુવિધાઓ ઉમેરવી જરૂરી છે તેની સ્પષ્ટતા કરવાની રહેશે.
આ પણ વાંચો – સાળંગપુર ધામમાં અંબાણી પરિવારનું મહાદાન : ₹15 કરોડની અત્યાધુનિક ગૌશાળા બનાવશે
