ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર અચાનક કાયદાકીય અવરોધ આવ્યો છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર આવતીકાલે, 10 એપ્રિલ 2026ના રોજ સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ મહત્ત્વની સુનાવણી થવાની છે.
આ અરજીમાં રાજ્ય સરકાર દ્વારા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં અપાયેલી 27% OBC અનામતને પડકારવામાં આવી છે. અરજદારે માંગ કરી છે કે અનામતની આ નીતિ અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા અટકાવવી જોઈએ.
મુખ્ય ત્રણ મુદ્દા જે કોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યા છે
1. ટ્રિપલ ટેસ્ટનું પાલન : સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશ મુજબ અનામત આપતા પહેલા ટ્રિપલ ટેસ્ટ (સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાતપણું)નું યોગ્ય પાલન થયું છે કે નહીં?
2. 50% અનામતની મર્યાદા: SC, ST અને OBC અનામત મળીને કુલ 50%ની મર્યાદા વટાવી રહી છે કે નહીં?
3. ઝવેરી કમિશનનો અહેવાલ: જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે બેઠકોની ફાળવણી કેટલી તર્કસંગત અને બંધારણીય છે?
ચૂંટણી પર અસર
રાજ્ય ચૂંટણી આયોગે એપ્રિલ 2026ના અંતમાં 15 મહાનગરપાલિકાઓ સહિત અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો સુપ્રીમ કોર્ટ આ મામલે સ્ટે (Stay) આપે છે તો આ ચૂંટણીઓ લાંબા સમય માટે મુલતવી રહી શકે છે.
ખાસ વાત એ છે કે (PESA) વિસ્તારોમાં અનામત હજુ પણ માત્ર 10% જ રાખવામાં આવી છે, જે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
હાલમાં રાજ્યના તમામ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોની નજર સુપ્રીમ કોર્ટના આવતીકાલના નિર્ણય પર ટકેલી છે. કારણ કે આ ચુકાદો માત્ર અનામતની નીતિને જ નહીં, પરંતુ આગામી સ્થાનિક ચૂંટણીઓનું સમગ્ર ગણિત પણ બદલી શકે છે.
આ પણ વાંચો – COP33ની મેજબાનીમાંથી કેન્દ્ર પાછું હટ્યું; શું પીએમ મોદીની છબી કારણભૂત? કોંગ્રેસનો હુમલો
