ચંદીગઢ: પંજાબમાં છેલ્લા એક દાયકાથી જે મુદ્દો રાજકારણના કેન્દ્રમાં રહ્યો છે, તે ‘બેઅદબી’ (ધાર્મિક ગ્રંથનું અપમાન) રોકવા માટે આખરે ભગવંત માન સરકારે કડક કાયદો લાગુ કરી દીધો છે. રાજ્યપાલની મંજૂરી બાદ ‘જગત જ્યોત શ્રી ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર (સુધારા) અધિનિયમ, 2026’ હવે સમગ્ર રાજ્યમાં અમલી બન્યો છે.
અગાઉની સરકારોના ત્રણ નિષ્ફળ પ્રયાસો બાદ, આ વખતે પંજાબ સરકારે કેન્દ્રીય કાયદામાં ફેરફાર કરવાને બદલે રાજ્યના પોતાના કાયદામાં સુધારો કરવાની સ્માર્ટ વ્યૂહરચના અપનાવી છે, જેથી રાષ્ટ્રપતિ પાસે બિલ અટવાય નહીં.
નવા કાયદામાં કેટલી સજાની જોગવાઈ?
આ નવા સુધારા મુજબ, ગુરુ ગ્રંથ સાહિબની બેઅદબીને ગંભીર ગુનો ગણવામાં આવ્યો છે.
સામાન્ય બેઅદબી: જો કોઈ વ્યક્તિ ધર્મગ્રંથને નુકસાન પહોંચાડે, ચોરી કરે કે ડિજિટલ માધ્યમથી અપમાન કરે, તો તેને 7 થી 20 વર્ષની જેલ અને 2 થી 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
શાંતિ ભંગ કરવાના ઈરાદે ગુનો: જો ગુનો સમાજમાં તણાવ પેદા કરવાના ઈરાદે કર્યો હોય, તો 10 વર્ષથી લઈને આજીવન કેદ અને 25 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
બિન-જામીનપાત્ર ગુનો: આ હેઠળના તમામ ગુનાઓ બિન-જામીનપાત્ર હશે અને તેની તપાસ DSP રેન્કથી નીચેનો અધિકારી કરી શકશે નહીં.
ડિજિટલ બેઅદબી પર પણ લગામ
વર્તમાન સમયને જોતા કાયદામાં પહેલીવાર સોશિયલ મીડિયા અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા કરવામાં આવતા અપમાનજનક કન્ટેન્ટને પણ સામેલ કરવામાં આવ્યું છે. જો કોઈ ઈલેક્ટ્રોનિક માધ્યમથી ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરશે, તો તેના પર પણ આ જ કડક કલમો લાગુ થશે.
માનસિક અસ્થિરતાનું બહાનું હવે નહીં ચાલે
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, અગાઉના કેસોમાં આરોપીઓ ઘણીવાર ‘માનસિક અસ્થિરતા’નું બહાનું બનાવીને બચી જતા હતા. નવા કાયદામાં હવે ‘કસ્ટોડિયન’ (સંરક્ષક) ની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જે સંસ્થા કે વ્યક્તિ પાસે ધર્મગ્રંથની દેખરેખની જવાબદારી હશે, તેણે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે.
શા માટે આ કાયદો અલગ છે?
પંજાબમાં 2015ની બેઅદબીની ઘટનાઓ બાદ રાજકારણ ગરમાયું હતું. અગાઉ 2016 અને 2018માં પણ આવા કાયદા લાવવાના પ્રયાસ થયા હતા, પરંતુ તે કેન્દ્ર સરકાર કે રાષ્ટ્રપતિ સ્તરે અટકી ગયા હતા. આ વખતે સરકારે 2008ના જૂના રેગ્યુલેટરી કાયદામાં સુધારો કરીને તેને સીધો સજા આપતો કાયદો બનાવી દીધો છે. શીખ સંસ્થાઓના મતે ગુરુ ગ્રંથ સાહિબ ‘જીવંત ગુરુ’ છે, તેથી તેમના માટે આ વિશેષ કાયદો ખૂબ જ જરૂરી હતો.
આ પણ વાંચો – ભારત વિશે ટ્રમ્પના આપત્તિજનક નિવેદન પર ઈરાનનો વીડિયો વાયરલ
