મુંબઈ: મુંબઈના પાયધૂની વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રાત્રિના ભોજન બાદ સર્જાયેલી ફૂડ પોઈઝનિંગની અસરને કારણે એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. મૃતકોમાં 40 વર્ષીય અબ્દુલ્લા ડોકાડિયા, તેમની પત્ની નસરીન (35), અને તેમની બે પુત્રીઓ આયશા (16) તથા ઝૈનબ (13) નો સમાવેશ થાય છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, 25 એપ્રિલની રાત્રે આ પરિવારે મહેમાનો સાથે મળીને બિરયાની ખાધી હતી. મહેમાનોના ગયા બાદ રાત્રે આશરે 1:00 થી 1:30 વાગ્યાની આસપાસ પરિવારના આ ચાર સભ્યોએ ઘરમાં રાખેલું તરબૂચ ખાધું હતું. વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ તમામને અચાનક ઉલટી-દસ્ત થવા લાગ્યા હતા. તેમને તાત્કાલિક જે.જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકા ગાળામાં જ ચારેય સભ્યોના એક પછી એક મોત નિપજ્યા હતા.
શંકાની સોય તરબૂચ તરફ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે જે મહેમાનો માત્ર બિરયાની ખાઈને ગયા હતા તેમને કોઈ તકલીફ થઈ નથી. આથી પોલીસ અને તબીબોને શંકા છે કે મોત પાછળ તરબૂચ જવાબદાર હોઈ શકે છે. હાલમાં ખોરાક અને તરબૂચના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
તરબૂચ કેવી રીતે ઝેરી બની શકે?
ન્યુટ્રિશન એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, તરબૂચમાં પાણી અને કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોય છે. જો તે દૂષિત થાય તો તેમાં બેક્ટેરિયા ખૂબ ઝડપથી ફેલાય છે. ઘણીવાર તરબૂચને વધુ લાલ અને મીઠું બનાવવા માટે ઈન્જેક્શન દ્વારા કેમિકલ કે દૂષિત પાણી ભેળવવામાં આવતું હોય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
કયા બેક્ટેરિયા છે ખતરનાક?
તબીબોના મતે તરબૂચમાં સેલ્મોનેલા, લિસ્ટરિયા અથવા ઈ.કોલાઈ જેવા બેક્ટેરિયા પેદા થઈ શકે છે. તેનાથી ગંભીર ડિહાઈડ્રેશન અને શરીરમાં સેપ્સિસ (ચેપ) ફેલાવવાનું જોખમ રહે છે. જો સમયસર સારવાર ન મળે તો આ સ્થિતિ જાનલેવા બની શકે છે, ખાસ કરીને બાળકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે.
સુરક્ષિત રહેવા માટે શું કરવું?
હંમેશા તાજું અને સારી ગુણવત્તાનું તરબૂચ ખરીદવું.
કાપેલું તરબૂચ લાંબો સમય બહાર ન રાખવું, તેને ફ્રીજમાં રાખવું અને જલ્દી ખાઈ લેવું.
રસ્તા પર મળતા કાપેલા ફળો ખાવાનું ટાળવું.
જો ફળનો સ્વાદ કે ગંધ વિચિત્ર લાગે તો તેને તરત જ ફેંકી દેવું.
જો ઉલટી-દસ્ત જેવા ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર ડોક્ટરનો સંપર્ક કરવો.
આ કરુણ ઘટના આપણને યાદ અપાવે છે કે ખાવા-પીવાની બાબતમાં સ્વચ્છતા અને સાવચેતી કેટલી અનિવાર્ય છે.
આ પણ વાંચો – ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ: હવે કાપડ, હીરા અને ઝવેરાતની થશે જકાતમુક્ત નિકાસ
