જસદણ: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આજે એક અત્યંત દુ:ખદ દુર્ઘટના સામે આવી છે. જસદણ પાસે આવેલા બાખલવડ ગામના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. રજાના દિવસે ઘરે કહ્યા વિના ન્હાવા ગયેલા શ્રમિક પરિવારના આ ચારેય બાળકોને પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ કાળનો કોળિયો બની ગયા હતા.
ઘરે કહ્યા વિના ન્હાવા ગયા અને સર્જાઈ દુર્ઘટના
જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર મિત્રો રજાનો દિવસ હોવાથી મોજ-મસ્તી કરવા માટે આલણસાગર તળાવે પહોંચ્યા હતા. બાળકોએ ઘરે કોઈને જાણ કરી નહોતી. તળાવમાં ઉતર્યા બાદ પાણી વધુ ઊંડું હોવાથી ચારેય મિત્રો એકપછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબા સમય સુધી તળાવની પાળ પર બાળકોની સાયકલો અને કપડાં બિનવારસી હાલતમાં પડી રહેલા જોઈ સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી. તપાસ કરતા બાળકો ડૂબ્યા હોવાની આશંકા જતા તંત્રને જાણ કરવામાં આવી હતી.
તરવૈયાઓએ કલાકોની જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી શોધખોળ બાદ ચારેય બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.
મૃતકોની ઓળખ
રાજવીર સામતભાઈ રાઠોડ (ઉંમર 15 વર્ષ)
કિશન મનસુખભાઈ રાઠોડ (ઉંમર 15 વર્ષ)
રામુ ભાયાભાઈ રાઠોડ (ઉંમર 14 વર્ષ)
કાળુ ભરતભાઈ રાઠોડ (ઉંમર 10 વર્ષ)
પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન
જ્યારે આ ચારેય માસૂમોના મૃતદેહ જસદણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર વાલીઓ અને સગા-સંબંધીઓના હૈયાફાટ રુદનથી પથ્થર હૃદયના માનવી પણ પીગળી જાય તેવું ગમગીન વાતાવરણ સર્જાયું હતું. એકસાથે ચાર-ચાર આશાસ્પદ બાળકોના મોતથી સમગ્ર જસદણ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જસદણ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો – મુંબઈમાં ભયાનક દુર્ઘટના: રાત્રે બિરયાની અને તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત
