અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા Anil Ambani સામે ચાલી રહેલા રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCOM) બેંક ફ્રોડ કેસમાં ગુજરાતના સાણંદને સીધી અસર કરતી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ₹3,034.90 કરોડની મિલકતો પ્રોવિઝનલ એટેચ કરી છે, જેમાં સાણંદ સ્થિત મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન્સ, અમદાવાદ (MICA) અને તેની સંકળાયેલી જમીનનો સમાવેશ થાય છે.
ઈડીના પ્રેસ રિલીઝ મુજબ, પ્રમોટર ગ્રૂપ સાથે જોડાયેલી આ સંપત્તિઓને મની લોન્ડરિંગ અને બેંક લોનના ગેરવપરાશના આરોપોને આધારે જપ્ત કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રકારની સંપત્તિઓનો ઉપયોગ લોન સામે આપેલી વ્યક્તિગત ગેરંટીમાંથી બચવા માટે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં RCOM અને તેની સંકળાયેલી કંપનીઓએ દેશ-વિદેશની બેંકો પાસેથી લીધેલી મોટી લોનમાં ગેરરીતિના આક્ષેપ છે. કુલ બાકી લોનનો આંકડો અંદાજે ₹40,185 કરોડ સુધી પહોંચે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને LIC જેવી સંસ્થાઓની ફરિયાદોના આધારે CBI દ્વારા FIR નોંધાઈ હતી, જેના આધારે ઈડી તપાસ કરી રહી છે.
સાણંદમાં આવેલી MICA અને તેની જમીન સિવાય, મુંબઈના ઉષા કિરણ બિલ્ડિંગમાં ફ્લેટ, ખંડાલાનું ફાર્મહાઉસ તેમજ RiseE ટ્રસ્ટ હેઠળ રાખવામાં આવેલા રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 7.71 કરોડ શેર પણ એટેચ કરવામાં આવ્યા છે.
આ તાજી કાર્યવાહી સાથે અનિલ અંબાણી ગ્રૂપ વિરુદ્ધ કુલ એટેચમેન્ટનો આંકડો ₹19,344 કરોડથી વધુ થઈ ગયો છે. ઈડીના જણાવ્યા મુજબ, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સંપત્તિઓમાંથી પ્રાપ્ત થતી રકમ પીડિત બેંકોને પરત કરવામાં આવશે.
હાલ તપાસ ચાલુ છે અને આગળ વધુ સંપત્તિઓ સામે આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાચો – દિલ્હી : ભાજપા સરકાર બન્યાના એક વર્ષ પછી પણ મહિલાઓને ન મળ્યા મોદીની ગેરંટીના ૨,૫૦૦ રૂપિયા
