રાજકોટ: રાજકોટના બહુચર્ચિત મોટામવા ગામના સરપંચ મયુર શિંગાળા હત્યા કેસમાં એક મહત્વનો ન્યાયિક ચુકાદો આવ્યો છે. હત્યાના ગુનામાં આરોપીનું નામ ન ખોલવા માટે લાંચ લેતા ઝડપાયેલા રાજકોટ તાલુકા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ (PI) સી.પી. ગોસાઈને ખાસ અદાલતે બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ૭૨ વર્ષની વયે નિવૃત્ત પોલીસ અધિકારીને જેલની સજા થતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.
શું હતો સમગ્ર મામલો?
ઘટનાની વિગત મુજબ, 18 નવેમ્બર 2009ના રોજ મોટામવા ગામના સરપંચ મયુર શિંગાળાની કરુણ હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન નામચીન રમેશ રાણા મકવાણાનું નામ ખુલવાની શક્યતા હતી. તત્કાલીન પીઆઈ ચંદુલાલ પુજગર ગોસાઈએ રમેશ રાણાનું નામ આ ગુનામાં ન લાવવા માટે 15 લાખ રૂપિયાની મસમોટી લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ આ સોદો 3.50 લાખ રૂપિયામાં નક્કી થયો હતો.
ACB ની ટ્રેપ અને ધરપકડ
લાંચના સોદા મુજબ, પીઆઈ ગોસાઈએ ટ્રેપના દિવસે સવારે 2 લાખ રૂપિયા સ્વીકારી લીધા હતા. બાકીના 1.50 લાખ રૂપિયા આપતા પહેલા રમેશ રાણાએ એસીબી (ACB) નો સંપર્ક કર્યો હતો. એસીબીના તત્કાલીન પીઆઈ કે.બી. ઝાલાએ છટકું ગોઠવીને પીઆઈ ગોસાઈને તેમની જ ચેમ્બરમાં 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પીઆઈએ લાંચની રકમ સ્વીકારીને પોતાના ટેબલ પર રાખી હતી ત્યારે જ ટીમ તૂટી પડી હતી.
કોર્ટનો ચુકાદો
આ કેસ રાજકોટની ખાસ અદાલતમાં ચાલતા, ન્યાયાધીશ વી.એ. રાણાએ પુરાવા અને સરકારી વકીલ સંજયભાઈ વોરાની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે આરોપી સી.પી. ગોસાઈને ભ્રષ્ટાચારના ગુનામાં તકસીરવાન ઠરાવ્યા હતા. જોકે, આરોપીની 72 વર્ષની વયને ધ્યાનમાં રાખીને અદાલતે બે વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાના દંડનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી 2013માં પોલીસ સેવામાંથી નિવૃત્ત થઈ ગયા હતા.
આ પણ વાંચો – મુંગડાના જુગાર અને સાવનના અંગ્રેજી દારૂના પાયા પર ઊભું જયપાલનું સરદારનગર સામ્રાજ્ય
