અમદાવાદ : સરદારનગરમાં ગેરકાયદેસર જુગાર અને દારૂના વ્યાપક નેટવર્ક પાછળ એક નવું નામ સામે આવી રહ્યું છે. અત્યાર સુધી જયપાલને સમગ્ર વહિવટનો મુખ્ય ચહેરો માનવામાં આવતો હતો, પરંતુ સૂત્રો મુજબ આ ગોઠવણનો વાસ્તવિક સંચાલક ભગીરથ સિંહ છે, જ્યારે જયપાલ માત્ર આગળ મૂકાયેલો ચહેરો છે.
માહિતી મુજબ, ભગીરથ પણ એક કૉન્સ્ટેબલ છે અને જયપાલ સાથે તેનો સંબંધ ત્યારે શરૂ થયો હતો જ્યારે જયપાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વહિવટ કરતો હતો. તે સમયથી જયપાલ ભગીરથનો નજીકનો વ્યક્તિ બની ગયો અને આજે તેને ‘મોટા ભાઈ’ અને ‘ગુરુ’ તરીકે ઓળખવામાં આવે છે.
હાલ સરદારનગરનો વાસ્તવિક વહિવટ ભગીરથના હાથમાં હોવાનું કહેવાય છે, પરંતુ બહારની દુનિયા સામે જયપાલને વહિવટદાર તરીકે રજૂ કરવામાં આવે છે. આ ગોઠવણમાં વિસ્તારમાં દેખાતો ચહેરો જયપાલ રહે છે, જ્યારે પાછળથી સમગ્ર સિસ્ટમ ભગીરથ સંચાલિત કરે છે.
સૂત્રો મુજબ, સરદારનગરમાં મુંગડાનું જુગારધામ અને સાવન દ્વારા ચાલતો અંગ્રેજી દારૂનો ગેરકાયદેસર વેપાર આ નેટવર્કના મુખ્ય સ્ત્રોત છે. મોચીપાડા વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામમાં દિવસે ભાડા આધારિત રમતો ચાલે છે અને રાત્રે કરોડોના ખેલ થાય છે. આમાંથી થતી આવક ગોઠવણબદ્ધ રીતે વહેંચાય છે અને ઉપર સુધી પહોંચે છે.
જયપાલના નીચે સંદીપ, લગધીર અને સ્થાનિક સિદ્ધરાજ જેવા લોકો મેદાનમાં સક્રિય રહી આ નેટવર્ક સંભાળે છે, પરંતુ આખી ગોઠવણમાં પાછળથી ભગીરથ દિશા આપે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક કૉન્સ્ટેબલની વ્યક્તિગત પ્રવૃત્તિ નથી, પરંતુ ગોઠવણબદ્ધ આપરાધિક તંત્ર છે.
મૂળ પ્રશ્ન એ છે કે એક-બે કૉન્સ્ટેબલ સ્તરના લોકો આટલા મોટા પાયે ગેરકાયદેસર નેટવર્ક ચલાવે અને શહેરનું તંત્ર કેવી રીતે અજાણ રહી શકે? સ્થાનિક પી.આઈ.થી લઈને પીસીબી સુધી કોઈને ખબર ન હોય? જાણકારો મુજબ આવી પરિસ્થિતિ ઊંચા સ્તરના સહકાર વિના શક્ય નથી.
આ પણ વાંચો – મુંગડાના જુગાર અને સાવનના અંગ્રેજી દારૂના પાયા પર ઊભું જયપાલનું સરદારનગર સામ્રાજ્ય
