નવી દિલ્હી/હૈદરાબાદ : તાજેતરમાં હૈદરાબાદમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આર્થિક સંયમ જાળવવા અને વિદેશી હુંડિયામણ બચાવવા માટે કરેલી અપીલ અત્યારે રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. એક તરફ પીએમ મોદી જનતાને એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ અને સોનું ખરીદવાનું ટાળવા કહી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેઓ પોતે આ જ અઠવાડિયે ૭ દેશોના પ્રવાસે જઈ રહ્યા હોવાથી વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે.
પીએમ મોદીની જનતાને અપીલ: ‘વોકલ ફોર લોકલ’નો નવો મંત્ર
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને દેશવાસીઓ સમક્ષ કેટલાક આકરા સૂચનો મૂક્યા છે:
સોનું અને વિદેશ પ્રવાસ: મધ્યમ વર્ગને અપીલ કરી છે કે ઓછામાં ઓછું એક વર્ષ સુધી સોનાની ખરીદી અને વિદેશમાં વેકેશન કે લગ્ન જેવા પ્રસંગો ટાળવા જોઈએ.
ઈંધણની બચત: પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા મેટ્રોનો ઉપયોગ, કારપૂલિંગ અને ફરીથી ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) જેવી પદ્ધતિઓ અપનાવવાની સલાહ આપી છે.
ખાદ્ય તેલ અને ખાતર: રસોઈમાં વપરાતા તેલમાં 10% કાપ મૂકવા અને ખેતીમાં રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો છે.
રાહુલ ગાંધીનો પલટવાર: “આ માર્ગદર્શન નહીં, નાકામીના પુરાવા છે”
લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીના આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડ્યું છે. તેમણે ‘X’ પર લખ્યું કે, “મોદીજીએ જનતા પાસે ત્યાગ માંગ્યો છે – સોનું ન ખરીદો, વિદેશ ન જાવ, પેટ્રોલ ઓછું બાળો. આ ઉપદેશ નથી, પણ 12 વર્ષની આર્થિક નાકામીના પુરાવા છે. જનતાને હવે એ જણાવવું પડે છે કે શું ખરીદવું અને ક્યાં જવું? દરેક વખતે જવાબદારી જનતા પર નાખી દેવી એ એક ‘Compromised PM’ ની નિશાની છે.”
પીએમનો 7 દેશોનો પ્રવાસ અને રાજકીય ટકોર
ચૂંટણી પ્રચાર બાદ પીએમ મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત (UAE), સ્વીડન, નેધરલેન્ડ, નોર્વે અને ઇટાલી સહિતના સાત દેશોની મુલાકાતે જઈ રહ્યા છે. વિપક્ષ આ બાબતને પીએમની કથની અને કરની વચ્ચેના અંતર તરીકે જોઈ રહ્યો છે.
દરમિયાન, પીએમએ બંગાળમાં ભાજપની જીત અને અસમની હેટ્રિકનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસને ‘MMC’ (મુસ્લિમ લીગ, માઓઈસ્ટ કોંગ્રેસ) ગણાવીને તીખા પ્રહારો કર્યા હતા. પીએમનું માનવું છે કે વ્યક્તિગત સ્તરે કરાયેલા નાના ફેરફારો ભારતને વૈશ્વિક આર્થિક સંકટ સામે રક્ષણ આપશે.
આ પણ વાંચો – મોદીજીના ‘ત્યાગ’ના ઉપદેશ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર: “આ માર્ગદર્શન નથી, સરકારની નિષ્ફળતાના પુરાવા છે”
