નવી દિલ્હી: તાજેતરમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક આર્થિક અસ્થિરતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરેલી ‘આર્થિક ત્યાગ’ની અપીલે દેશમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. પીએમ મોદીએ દેશવાસીઓને સોનું ન ખરીદવા, વિદેશ પ્રવાસ ટાળવા અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાની જે અપીલ કરી છે, તેના પર લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે.
શું છે પીએમ મોદીની અપીલ?
તેલંગાણાના સિકંદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશની વિદેશી મુદ્રા (Forex Reserve) બચાવવા માટે લોકોને કેટલાક આકરા પગલાં લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે દેશહિતમાં જરૂરી છે કે આપણે સોનાની ખરીદી અટકાવીએ, ખાવાનું તેલ અને ખાતરનો ઓછો ઉપયોગ કરીએ તેમજ પેટ્રોલ બચાવવા માટે મેટ્રોનો ઉપયોગ અને ‘વર્ક ફ્રોમ હોમ’ જેવી પદ્ધતિઓ અપનાવીએ.
રાહુલ ગાંધીનો વળતો પ્રહાર
પીએમ મોદીના આ નિવેદન બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સરકારની આર્થિક નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ૧૨ વર્ષના શાસન બાદ દેશને એવી સ્થિતિમાં લાવી દેવામાં આવ્યો છે કે હવે જનતાએ શું ખરીદવું અને શું ન ખરીદવું તેની સલાહ લેવી પડે છે.
રાહુલ ગાંધીએ લખ્યું કે, “મોદીજીએ જનતા પાસે ત્યાગ માંગ્યો છે- સોનું ન ખરીદો, વિદેશ ન જાવ, પેટ્રોલ ઓછું બાળો, ખાતર અને તેલનો ઉપયોગ ઓછો કરો. આ ઉપદેશ નથી, આ સરકારની નિષ્ફળતાના પુરાવા છે. વડાપ્રધાન પોતાની જવાબદારી જનતા પર ઢોળીને જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશ ચલાવવો હવે આ ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ પીએમના બસની વાત નથી.”
આર્થિક પડકારો અને રાજનીતિ
રાજકીય વિશ્લેષકો માને છે કે ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ સરકાર હવે દેશ સામે રહેલા વાસ્તવિક આર્થિક પડકારોને સ્વીકારી રહી છે. જોકે, વિપક્ષનો આરોપ છે કે મોંઘવારી અને બેરોજગારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેલી સરકાર હવે જનતાને ‘ત્યાગ’ના નામે સંયમ રાખવા મજબૂર કરી રહી છે.
આ પણ વાંચો – વડાપ્રધાનની ‘ગોલ્ડ અને ફ્યુઅલ’ બચાવવાની અપીલ: આર્થિક શિસ્તનો આગ્રહ કે આગામી મોટા સંકટના સંકેત?
