CBSE ની પુનર્મૂલ્યાંકન (Re-evaluation) પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓ અને વિસંગતતાઓને લઈને વિદ્યાર્થીઓનો રોષ સતત વધી રહ્યો છે. ધોરણ ૧૨ ના ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદો સોશિયલ મીડિયા પર સામે આવી છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે બોર્ડ દ્વારા પુનર્મૂલ્યાંકન હેઠળ અપલોડ કરવામાં આવેલી તેમની ઉત્તરવહીઓ (Answer Sheets) ના અક્ષરો (Handwriting) તેમના મૂળ અક્ષરો કરતા બિલકુલ અલગ છે. આ ખુલાસા બાદ CBSE ની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા થયા છે અને બીજી તરફ તંત્ર દ્વારા લીંપાપોતી પણ શરૂ થઈ ગઈ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને CBSE પાસે રિપોર્ટ માંગ્યો છે, અને જાણે આટલું કરવાથી મંત્રાલયની ફરજ પૂરી થઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.
ડિજિટલ મૂલ્યાંકન (OSM) સિસ્ટમ વિવાદોના ઘેરામાં
CBSE એ આ વર્ષે ધોરણ ૧૨ ની પરીક્ષાઓ માટે ડિજિટલ મૂલ્યાંકન સિસ્ટમ શરૂ કરી હતી. આ નવી ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમનો મુખ્ય હેતુ દેશભરમાં પરીક્ષાની સુરક્ષામાં સુધારો લાવવાનો અને મેન્યુઅલ ચેકિંગમાં થતી ભૂલો ઘટાડવાનો હતો. જોકે, ટેકનિકલ ખામીઓ અને વિદ્યાર્થીઓની વધતી જતી ફરિયાદોને કારણે હવે આ સિસ્ટમ જ વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે.
વેદાંત અને સંજનાની ચોંકાવનારી ફરિયાદો
આ સમગ્ર વિવાદ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે દિલ્હીના ધોરણ ૧૨ ના વિદ્યાર્થી વેદાંતની સોશિયલ મીડિયા (X) પરની એક પોસ્ટ વાયરલ થઈ, જેને લગભગ ૨૯ લાખ લોકોએ જોઈ.
I applied for CBSE revaluation. The scanned copy of my chemistry sheet I received does not match my handwriting or written responses.
For reference, I am attaching my English answer sheet, which clearly reflects my actual handwriting. pic.twitter.com/laINaEMAP3— Sanjana (@Sanjanaopxe) May 25, 2026
વેદાંત (ફિઝિક્સ પેપર): વેદાંતે પોતાની પોસ્ટમાં લખ્યું, “ફિઝિક્સમાં અપેક્ષા કરતા ખૂબ જ ઓછા માર્ક્સ મળ્યા બાદ, મેં પુનર્મૂલ્યાંકન પ્રક્રિયા હેઠળ મારી ઉત્તરવહીની ફોટોકોપી માટે અરજી કરી હતી. આજે જ્યારે મને કોપી મળી, ત્યારે હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું કારણ કે CBSE દ્વારા અપલોડ કરાયેલી ફિઝિક્સની ઉત્તરવહી મારી છે જ નહીં.”
સંજના (કેમેસ્ટ્રી પેપર): સંજના નામની અન્ય એક વિદ્યાર્થિનીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની કેમેસ્ટ્રીની ઉત્તરવહી અંગે આવી જ ફરિયાદ કરી. સંજનાને થિયરીમાં ૭૦ માંથી માત્ર ૧૧ ગુણ મળ્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે, પહેલું પેજ કે જેના પર તેની અંગત માહિતી છે તે જ માત્ર તેનું છે, અંદરનું એક પણ પેજ તેના અક્ષરો સાથે મેળ ખાતું નથી. પુરાવા તરીકે તેણે પોતાની અંગ્રેજીની કોપી પણ શેર કરી.
આ બંને પછી અન્ય ઘણા વિદ્યાર્થીઓએ પણ ધૂંધળું સ્કેનિંગ, ગાયબ થયેલા પેજ અને માર્ક્સમાં ગરબડી જેવી ફરિયાદો નોંધાવી છે. વિદ્યાર્થીઓનો એક જ સવાલ છે કે: જો આ કોપી તેમની નથી, તો તેમના રોલ નંબર હેઠળ કયા વિદ્યાર્થીની કોપી ચેક કરવામાં આવી?
ફરિયાદ કરનાર વેદાંતને ટ્રોલર્સે ‘પાકિસ્તાની’ કહ્યો
એક તરફ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓની ફરિયાદો વધી રહી હતી, તો બીજી તરફ આ મુદ્દો ઉઠાવનાર વેદાંતને ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. તેને ‘એન્ટી-નેશનલ’ અને ‘પાકિસ્તાની’ સુધી કહી દેવામાં આવ્યો. આ અંગે વેદાંતના ભાઈ સિદ્ધાંત શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરતા કહ્યું કે, વેદાંત ભણતરમાં વ્યસ્ત હોવાથી અગાઉ ટ્વિટર (X) પર ન હતો, પરંતુ પોતાની વ્યાજબી સમસ્યા ઉઠાવવા માટે પરિવારે આ નવું એકાઉન્ટ બનાવ્યું છે.
I had hacked CBSE’s OSM (On-Screen Marking Portal) in February and had reported the vulnerabilities to CERT-In, but they were unable to patch most of them.
I’ve written a detailed blog post about it here: https://t.co/qyT23GkTEJ
— nisarga (@ni5arga) May 22, 2026
આજકાલ સોશિયલ મીડિયા પર સરકાર કે સિસ્ટમ સામે સવાલ ઉઠાવનારાઓને તરત જ દેશદ્રોહી કે પાકિસ્તાની જાહેર કરી દેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેનો શિકાર વેદાંત બન્યો. અમુક ટ્રોલર્સે તો આને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નું નકલી અભિયાન કહીને તેને પાકિસ્તાન સાથે જોડી દીધું.
હેકરે કર્યો OSM પોર્ટલની ખામીઓનો પર્દાફાશ
આ ફરિયાદોથી સાબિત થયું કે CBSE ની કામગીરીમાં ગંભીર ખામીઓ છે. ૧૯ વર્ષના યુવાન નિસર્ગા અધિકારીએ ૨૨ મેના રોજ એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવ્યો. તેણે લખ્યું: “મેં ફેબ્રુઆરીમાં જ CBSE ના OSM પોર્ટલને હેક કરી લીધું હતું અને CERT-In ને તેની ખામીઓ વિશે જાણ કરી હતી, પરંતુ તેઓ મોટાભાગની ખામીઓ સુધારી શક્યા નથી.”
નિસર્ગાએ પોતાના બ્લોગમાં રિવર્સ એન્જિનિયરિંગ દ્વારા શોધેલી સુરક્ષા ખામીઓનું વર્ણન કર્યું છે:
માસ્ટર પાસવર્ડ લીક થવાની શક્યતા.
ક્લાયન્ટ-સાઇડ 2FA/OTP વેરિફિકેશનને બાયપાસ કરી શકાય છે.
ડમી બ્રાઉઝર સેટ કરીને ટોકન વગર સમગ્ર આંતરિક એપ (ડેશબોર્ડ, મૂલ્યાંકનકર્તાની વિગતો વગેરે) સુધી પહોંચ.
જૂનો પાસવર્ડ જાણ્યા વિના જ પાસવર્ડ બદલી શકવાની ખામી.
સૌથી મોટી ખામી: કોઈપણ યુઝરને પરીક્ષાના માર્ક્સ એડિટ (ફેરફાર) કરવાની મંજૂરી મળવી.
સોશિયલ મીડિયા યુઝર્સ આના પર તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સુરક્ષા આ રીતે નસીબ પર છોડી શકાય નહીં. એજન્સીઓની (NTA અને CBSE) અસમર્થતાનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી થતી નથી.
સરકાર અને CBSE નો બચાવ
વિવાદ વધતો જોઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નિવેદન આપ્યું છે કે, આ વર્ષે શરૂ કરાયેલી પુનર્મૂલ્યાંકન સેવાઓમાં આવતી તમામ ટેકનિકલ સમસ્યાઓની તપાસ IIT-Madras અને IIT-Kanpur ના ટેકનિકલ નિષ્ણાતો કરશે અને ભૂલરહિત પ્રક્રિયા સુનિશ્ચિત કરશે.
બીજી તરફ, CBSE સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડ ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમોથી આવતી ફરિયાદો પર સક્રિયતાથી કામ કરી રહ્યું છે અને કેટલાક કિસ્સાઓમાં સમસ્યાઓનો ઉકેલ લાવી દેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ગીરનું રુદન: ૮ સિંહોના ભેદી મોત, શું માત્ર કાગળ પર જ ચાલી રહી છે સિંહ સંરક્ષણની કામગીરી?
