- હુક્કા બાર પર દરોડા તો પડ્યા પણ કાયમી ઉકેલ ક્યારે? પોલીસની રહેમનજર હેઠળ ચાલતા નેટવર્ક પર ઉઠ્યા ગંભીર સવાલો
અમદાવાદ: ગુજરાત એક્સક્લૂસિવ દ્વારા અમદાવાદના પશ્ચિમ વિસ્તાર અને ખાસ કરીને ચાંદખેડા, થલતેજ સહિતના વિસ્તારોમાં બેફામ ચાલતા હુક્કા બાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને અહેવાલ પ્રકાશિત કર્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) એક્શનમાં આવ્યું છે. એસએમસીની 6 અલગ-અલગ ટીમોએ શહેરના અનેક હુક્કા બાર પર એકસાથે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની કાર્યવાહી ચાંદખેડા વિસ્તારમાં ચાલતા વાઇકિંગ્સ કાફે, કર્ણાવતી શીશા કાફે સહિતના સ્થળો પર થઈ હોવાનું જાણવા મળ્યું છે.
લાંબા સમયથી સ્થાનિક સ્તરે આ સ્થળોએ હુક્કા પીરસાતા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. એસએમસીની કાર્યવાહી બાદ ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે જે પ્રવૃત્તિઓ મહિનાઓથી ચાલી રહી હતી, તે સ્થાનિક સ્તરે કેમ અટકાવવામાં આવી નહોતી?
હકીકતમાં સમસ્યા માત્ર હુક્કા બારના સંચાલકો પૂરતી મર્યાદિત નથી. સ્થાનિક સ્તરે વર્ષોથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આવા ગેરકાયદેસર ધંધાઓને ટકાવી રાખવામાં કેટલાક વહીવટદારોની ભૂમિકા વધુ મહત્વની છે. ચાંદખેડા વિસ્તારમાં વિશાલ વાઘેલા અને ડીડી સોલંકી જેવા નામો સતત ચર્ચામાં રહ્યા છે. સ્થાનિક સૂત્રોનો દાવો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરવા માટે ગોઠવણો કરવામાં આવે છે અને ત્યારબાદ દારૂ, હુક્કા તથા અન્ય ગેરકાયદેસર ધંધાઓને પ્રોત્સાહન મળતું રહે છે.
એસએમસી દ્વારા દરોડા પાડીને હાલ પૂરતો હુક્કા બાર પર અંકુશ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ મૂળ પ્રશ્ન યથાવત છે. શું માત્ર સંચાલકો સામે કાર્યવાહીથી સમસ્યાનો અંત આવશે? કે પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોટેક્શન આપતા અને કથિત રીતે “સેટિંગ” સંભાળતા તત્વો સામે પણ તપાસ થશે?
સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે દરોડા બાદ થોડા દિવસો માટે શાંતિ જોવા મળે છે, પરંતુ ત્યારબાદ ફરીથી નવા દર, નવી ગોઠવણો અને ‘નવી પરમિશન’ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય છે. આ જ કારણ છે કે અનેક લોકો એસએમસીની કાર્યવાહીને આવકારતા હોવા છતાં તેને કાયમી ઉકેલ માનવા તૈયાર નથી.
હવે એ જોવાનું રહે છે કે એસએમસી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ માત્ર હુક્કા બારના સંચાલકો સુધી જ કાર્યવાહી મર્યાદિત રાખે છે કે પછી આ સમગ્ર નેટવર્કને ચલાવવાના આરોપોનો સામનો કરતા વહીવટદારો અને તેમના કથિત પ્રોટેક્શન મિકેનિઝમની પણ તપાસ કરે છે. કારણ કે જ્યાં સુધી ગેરકાયદેસર ધંધાઓને આશ્રય આપતી વ્યવસ્થા સામે કડક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી હુક્કા બાર, દારૂ અને જુગારના અડ્ડાઓ સામેની કાર્યવાહી માત્ર સમયાંતરે ચાલતું અભિયાન બની રહેશે.
આ પણ વાંચો – ખાખીમાં ધબકતું માનવતાનું હૃદય: જામીનમુક્ત નિરાધાર મહિલા અને નવજાત શિશુને ગુજરાત પોલીસે છેક મધ્યપ્રદેશ પહોંચાડ્યાલ
