- ગુનાની દુનિયા વચ્ચે ખાખીની સંવેદના: નડિયાદ જેલમાં બાળકને જન્મ આપનાર માતાને પોલીસે વિશેષ વાહન દ્વારા વતન પહોંચાડી
- પરિવારમાંથી કોઈ લેવા ન આવતા આણંદ કાનૂની સેવા સત્તા મંડળ અને નડિયાદ જેલ પ્રશાસન વહારે આવ્યું, પોલીસ વડા કે.એલ.એન. રાવના માર્ગદર્શનમાં વિશેષ વાહનની વ્યવસ્થા કરાઈ.
નડિયાદ : વહીવટીતંત્ર જ્યારે માનવીય સંવેદનાને ઉજાગર કરે છે, ત્યારે વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના નડિયાદ જિલ્લા જેલમાં જોવા મળી છે. જેલમાં રહેલી એક શ્રમિક પરિવારની મહિલા આરોપીએ બાળકને જન્મ આપ્યા બાદ અદાલતમાંથી જામીન મળ્યા હોવા છતાં, ગરીબીના કારણે તેને લેવા પરિવારમાંથી કોઈ આવી શક્યું નહોતું. આ સમયે ગુજરાત પોલીસે વાલી બનીને ખાખીમાં ધબકતા હૃદયનો પરિચય કરાવ્યો અને આ મહિલાને તેના બાળકો સાથે છેક મધ્યપ્રદેશ સુરક્ષિત પહોંચાડી.
શું હતો સમગ્ર મામલો?
થોડા સમય પહેલા આણંદ જિલ્લાના ખંભાત ખાતે પોક્સો (POCSO) એક્ટ હેઠળ એક ગુનો નોંધાયો હતો. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો એક પરિવાર મજૂરી અર્થે આણંદ આવ્યો હતો. આ પરિવારના એક યુવાને સગીર વયની છોકરીને ભગાડી જતા યુવાન અને તેના મોટા ભાઈ (મહિલાના પતિ) સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં યુવાનની ભાભીને પણ સહ-આરોપી બનાવવામાં આવી હતી.
ધરપકડ બાદ આ સગર્ભા મહિલાને નડિયાદ જિલ્લા જેલમાં મોકલવામાં આવી હતી, જ્યાં તેની સાથે તેનું બે વર્ષનું બાળક પણ હતું.
જેલવાસ દરમિયાન જ બાળકને આપ્યો જન્મ
નડિયાદ જેલમાં બંધ આ મહિલાને ૨૧ મેના રોજ પ્રસૂતિની પીડા ઉપડતા તેને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અમદાવાદ સિવિલમાં તેણે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો. સારવાર પૂરી થયા બાદ આ કાચા કામની મહિલા કેદી પોતાના ચાર દિવસના નવજાત શિશુ અને બે વર્ષના બાળક સાથે પરત નડિયાદ જેલમાં આવી હતી.
જામીન મળ્યા પણ નિરાધાર બની
દરમિયાન, આ મહિલાને સ્થાનિક અદાલતમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ મહિલા માટે મુશ્કેલી એ હતી કે તેને મુક્ત કરાવવા અને ઘરે લઈ જવા માટે કોઈ સગું-સંબંધી આવ્યું નહોતું. પતિ અને દિયર પહેલેથી જ જેલમાં હતા અને પરિવાર અત્યંત ગરીબ હતો. આવી સ્થિતિમાં એક બે વર્ષના બાળક અને નવજાત શિશુ સાથે આ સ્થળાંતરિત મહિલા જાય તો ક્યાં જાય?
પોલીસ અને કાનૂની સેવા સત્તા મંડળ બન્યા સહારો
આ સંવેદનશીલ પરિસ્થિતિમાં આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને નડિયાદ જિલ્લા જેલના અધિકારીઓ આ ગરીબ મહિલાની વહારે આવ્યા. કાનૂની સેવા સત્તા મંડળે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરી અને મહિલાની સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સુરક્ષિત વતન પહોંચાડવા સૂચન કર્યું.
ગુજરાત પોલીસ વડા કે.એલ.એન. રાવના સીધા માર્ગદર્શન હેઠળ નડિયાદ જેલ પોલીસે એક વિશેષ વાહનની વ્યવસ્થા કરી. પોલીસે આ મહિલા અને તેના બંને બાળકોને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં પહોંચાડીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
ગુજરાત પોલીસ અને જેલ પ્રશાસનની આ કામગીરી દર્શાવે છે કે કાયદાના કડક પાલનની સાથે પોલીસ તંત્ર માનવીય અભિગમ અપનાવવામાં પણ હંમેશાં અગ્રેસર રહે છે.
આ પણ વાંચો – ડિજિટલ ચેકિંગનો ફિયાસ્કો: CBSEની 12માની બોર્ડ પરીક્ષામાં છબરડા, 4 લાખ વિદ્યાર્થીઓએ માંગી આન્સર શીટ
