સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બઢતી (એલિવેશન) માટે જે પાંચ નામોની ભલામણ કરી હતી, તેનું નોટિફિકેશન સરકારે સોમવાર, ૧ જૂનના રોજ જારી કરી દીધું છે. ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળા આ કોલેજિયમમાં જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ જે.કે. મહેશ્વરી, જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશ સામેલ છે. સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામેલા આ પાંચ નામોમાંથી કેટલાક તેમના અલગ-અલગ ચુકાદાઓને કારણે ખૂબ ચર્ચામાં રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત જજોની સંખ્યા હવે ૩૭ થઈ ગઈ છે. પાંચ નવા નામોમાં ચાર વિવિધ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે અને એક સિનિયર એડવોકેટ (વરિષ્ઠ વકીલ) છે. ખાસ વાત એ છે કે, આમાંથી કોઈ પણ ભવિષ્યમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બનવાની લાઈનમાં નહીં હોય.
નવા જજો અને તેમના કેટલાક મહત્વપૂર્ણ તથા ચર્ચિત ચુકાદાઓ વિશે જાણો:
૧. જસ્ટિસ શીલ નાગુ (રામ રહીમને નિર્દોષ છોડી ચૂક્યા છે)
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે મે ૨૦૧૧માં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં વધારાના જજ અને બાદમાં સ્થાયી જજ તરીકે સેવા આપી હતી. ૯ જુલાઈ ૨૦૨૪ના રોજ તેમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ૩૬મા મુખ્ય જજ તરીકે શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૯ સુધી રહેશે.
કેદીઓના અધિકાર: મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં તેમણે જેલ પરિસરમાં હૃદય, કિડની અને લિવર જેવી ગંભીર બીમારીઓની સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સ્થાપવાનો આદેશ આપ્યો હતો.
વૈવાહિક વિવાદ: એક ચુકાદામાં તેમણે માન્યું હતું કે પત્ની દ્વારા શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરવો એ ક્રૂરતાના દાયરામાં આવી શકે છે, અને પતિ કે તેના પરિવારનું સન્માન ન કરવું એ પણ માનસિક ક્રૂરતા છે, જે છૂટાછેડાનો આધાર બની શકે છે.
રામ રહીમ કેસ: તેમની બેન્ચે ૨૦૦૨ના ચર્ચિત પત્રકાર હત્યાકાંડમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કર્યા હતા.
૨. જસ્ટિસ શ્રીચંદ્રશેખર
રાંચીમાં જન્મેલા જસ્ટિસ શ્રીચંદ્રશેખરે અંદાજે ૧૯ વર્ષ સુધી વકીલ તરીકે ૩૫૦૦ જેટલા કેસો લડ્યા હતા. તેઓ ઝારખંડ હાઈકોર્ટમાં સેવા આપ્યા બાદ સપ્ટેમ્બર ૨૦૨૫માં બોમ્બે હાઈકોર્ટના ૪૯મા ચીફ જસ્ટિસ બન્યા હતા. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ મે ૨૦૩૦ સુધી રહેશે.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને અમિત શાહ કેસ: તેમની બેન્ચે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ૨૨ આરોપી પોલીસકર્મીઓને નિર્દોષ છોડવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ જ કેસમાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આરોપમુક્ત કરવા સામેની અરજી એવું કહીને ફગાવી દીધી હતી કે આ રાજકીય હરીફ દ્વારા કરવામાં આવી હોઈ શકે છે.
અન્ય કેસો: માલેગાંવ બ્લાસ્ટના બાકીના ચાર આરોપીઓ સામેના આરોપો ફગાવ્યા, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની Z+ સુરક્ષા સામેની PIL ફગાવી અને વર્સોવા-ભાયંદર રોડ પ્રોજેક્ટ માટે ૪૫,૦૦૦ જેટલા મેન્ગ્રોવ્સ કાપવાની મંજૂરી આપી હતી.
૩. જસ્ટિસ સંજીવ સચદેવા
દિલ્હી બાર કાઉન્સિલથી કારકિર્દી શરૂ કરનાર જસ્ટિસ સચદેવા દિલ્હી હાઈકોર્ટમાં જજ રહ્યા બાદ જુલાઈ ૨૦૨૫માં મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૯ સુધી રહેશે.
પીએમ મોદીની ડિગ્રીનો કેસ: દિલ્હી હાઈકોર્ટમાં તેમણે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) ના એ આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેમાં દિલ્હી યુનિવર્સિટીને ૧૯૭૮ના બી.એ. પરીક્ષા રેકોર્ડ (જે વર્ષે પીએમ મોદી ગ્રેજ્યુએટ થયા હતા) ના નિરીક્ષણની મંજૂરી આપવામાં આવી હતી.
તિબેટીયન નાગરિકોનો અધિકાર: તેમણે ચુકાદો આપ્યો હતો કે ૧૯૫૦ થી ૧૯૮૭ વચ્ચે ભારતમાં જન્મેલા તિબેટીયન મૂળના લોકો ભારતીય નાગરિક છે.
લાઈવ-સ્ટ્રીમિંગ પર રોક: સપ્ટેમ્બર ૨૦૨૫માં તેમણે વીડિયોના દુરુપયોગને ટાંકીને તમામ ફોજદારી કેસોના લાઈવ-સ્ટ્રીમિંગ (જીવંત પ્રસારણ) પર રોક લગાવી દીધી હતી.
૪. જસ્ટિસ અરુણ પલ્લી
પોતાના પરિવારમાં ચોથી પેઢીના વકીલ એવા જસ્ટિસ પલ્લી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સેવા આપ્યા બાદ એપ્રિલ ૨૦૨૫માં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૨૯ સુધી રહેશે.
મહેબૂબા મુફ્તીની અરજી ફગાવી: તેમણે પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની જમ્મુ-કાશ્મીર બહારની જેલોમાં બંધ કેદીઓને પરત લાવવાની PIL એવું કહીને ફગાવી હતી કે અદાલતોને રાજકીય ઝુંબેશનો મંચ ન બનાવી શકાય.
UAPA પર ચુકાદો: તેમની બેન્ચે વ્યવસ્થા આપી હતી કે માત્ર કોઈ સહ-આરોપીની કબૂલાત, અન્ય કોઈ નક્કર પુરાવા વિના, UAPA હેઠળ આરોપીને જામીન આપતા રોકવાનો એકમાત્ર આધાર ન હોઈ શકે.
૫. સિનિયર એડવોકેટ વી. મોહના
જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા બાદ બાર (વકીલાત) માંથી સીધી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ભલામણ પામનાર વી. મોહના દેશના બીજા મહિલા વકીલ છે. તેઓ સુપ્રીમ કોર્ટના ૭૬ વર્ષના ઈતિહાસમાં ૧૨મા મહિલા જજ બનશે. તેમનો કાર્યકાળ જૂન ૨૦૩૧ સુધી (આશરે ૫ વર્ષ) રહેશે.
સેનામાં મહિલાઓને કમિશન: તેમણે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાના ઐતિહાસિક કેસમાં દલીલો કરી હતી, જેના પગલે સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો.
NJAC કેસ: ૨૦૧૫ના NJAC કેસમાં તેમણે કેન્દ્ર સરકાર તરફથી પેરવી કરી હતી, જેમાં કોર્ટે કોલેજિયમ સિસ્ટમ બદલતા ૯૯મા બંધારણીય સુધારાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો.
કોલેજિયમ પર ઉઠતા રહ્યા છે સવાલો
જજોની ભલામણ પાછળ કયા માપદંડો (Criteria) કામ કરે છે, તે અંગે જાહેરમાં બહુ ઓછી સ્પષ્ટતા હોય છે. વરિષ્ઠતા વિરુદ્ધ લાયકાત, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને ચુકાદાઓની રાજકીય અસર જેવા પ્રશ્નો સતત ઉભા થતા રહે છે. ઘણીવાર એવા આક્ષેપો પણ થયા છે કે જજો પારિવારિક સંબંધોના આધારે પસંદગી કરે છે. જોકે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હંમેશા આ આરોપોને ફગાવી દીધા છે.
આ પણ વાંચો – ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
