હિંમતનગર : સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૪ દિવસની અંદર ચાંદીપુરા વાયરસના ૭ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ ગંભીર બીમારીના કારણે અત્યાર સુધીમાં પાંચ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં એક કેસ પોઝિટિવ અને ચાર શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે તાત્કાલિક ધોરણે એક અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, ૨૬ જૂનથી ૯ જુલાઈ દરમિયાન આ કેસો નોંધાયા છે. મૃત્યુ પામેલા બાળકોમાંથી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના (ખેરવાડા તાલુકાના બાબારી ગામના) ૬ વર્ષીય બાળકનો રિપોર્ટ મૃત્યુના ત્રણ દિવસ બાદ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બનાસકાંઠાના બનોદરા ગામના ૩ વર્ષીય બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઉપરાંત, પંચમહાલના વેજલપુર વ્યાસડા ગામની ૧૧ વર્ષીય બાળકીનું પણ મોત નિપજ્યું છે, જેના સેમ્પલનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. અન્ય અસરગ્રસ્ત દર્દીઓ હાલ હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ છે.
જિલ્લાના આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાલીના રહેડા ગામના એક બાળકનું પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે મોત થયું છે. અન્ય એક ચોંકાવનારા કિસ્સામાં, પોશીના તાલુકાના દેમતી ગામના એક બાળકને હિંમતનગર સિવિલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેના વાલીઓ યોગ્ય સારવાર કરાવવાને બદલે હોસ્પિટલમાંથી પલાયન થઈ ગયા હતા. ત્યારબાદ આ શંકાસ્પદ સંક્રમિત બાળકનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વાયરસનો વ્યાપ વધુ ન ફેલાય તે માટે તંત્ર સફાળું જાગ્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં જિલ્લાના ફિચોડ અને નાનાચેખલા ગામમાં પણ શંકાસ્પદ કેસો જોવા મળ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત તમામ ૪ ગામોમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરેક શંકાસ્પદ કેસની સંપૂર્ણ વિગતો જિલ્લા આરોગ્ય વિભાગને મોકલીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
