Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
BABA (90)

‘આ બાળકોના ભવિષ્યની બરબાદીની ઉજવણી છે’: ધર્મેન્દ્ર પ્રધાનના ભવ્ય સ્વાગત પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન

‘ધર્મેન્દ્ર પ્રધાન, ઝિંદાબાદ’, ‘ભારત માતા કી જય’

આ નારા અને સ્લોગન ત્યારે લાગ્યા, જ્યારે પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ચોમાસું સત્રમાં ભાગ લેવા માટે સંસદ પહોંચ્યા.

Join Our WhatsApp Group

જેવા તેઓ પોતાની કારમાંથી ઉતરીને સંસદ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે જ ભારતીય જનતા પાર્ટી (BJP) અને NDA ના સાંસદોએ તેમને ઘેરી લીધા. તેમને મળવાની અને તેમની સાથે હાથ મિલાવવાની જાણે હોડ જામી ગઈ. આ દ્રશ્ય કંઈક એવું હતું, જાણે કોઈ એવી વ્યક્તિનું સ્વાગત કરવામાં આવી રહ્યું હોય, જેણે તાજેતરમાં કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય.

જોકે, ત્યાં જ હાજર વિપક્ષી સાંસદોનું ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યેનું વલણ બિલકુલ અલગ હતું. તેમણે પ્રધાનની હૂટિંગ કરી અને તેમના વિરોધમાં નારા લગાવ્યા.

NEET પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગંભીર ગેરરીતિઓના આક્ષેપો બાદ દેશભરના યુવાનોએ પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર આંદોલન છેડી દીધું હતું, જેના પગલે ગયા સપ્તાહે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. પરંતુ સંસદ પહોંચવા પર તેમનું જે પ્રકારે સ્વાગત થયું, તેવું તાજેતરમાં પોતાના પદ પરથી રાજીનામું આપનાર કોઈ મંત્રીનું જોવા મળ્યું નથી. આ અંગે વિપક્ષે ભારે નારાજગી વ્યક્ત કરી અને સોશિયલ મીડિયા યુઝર્સે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેને ‘લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની બરબાદીની ઉજવણી’ ગણાવી.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ધર્મેન્દ્ર પ્રધાન ભ્રષ્ટાચાર અને ભારતના બરબાદ એજ્યુકેશન સિસ્ટમના પ્રતીક છે અને હંમેશા રહેશે. એ જ સિસ્ટમે 26 બાળકોનો જીવ લીધો અને લાખો યુવાનોને રસ્તા પર ઉતરવા મજબૂર કર્યા. રાજીનામું પણ નૈતિકતાથી નહીં, યુવાનોના આક્રોશથી ડરીને આપવું પડ્યું. અને આજે એ જ વ્યક્તિને સંસદમાં બીજેપી માળા પહેરાવી રહી છે. આ કોઈ સન્માન નથી, લાખો બાળકોના ભવિષ્યની બરબાદીની ઉજવણી છે. દેશનો દરેક વિદ્યાર્થી આ જોઈ રહ્યો છે અને તેમાં સામેલ દરેક ચહેરો યાદ રાખશે.”

બીજી તરફ સંસદમાં પ્રધાનના સ્વાગત પર પ્રતિક્રિયા આપતા ઓડિશાની બીજેપી સરકારના મંત્રી બિભૂતિ જેનાએ કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાન જેવા મંત્રી ઓડિશાની શાન છે. શિક્ષણ મંત્રી બન્યા પછી તેમણે અનેક કલ્યાણકારી કાર્યો કર્યા. પેપર લીક જેવી ખામીઓ સુધારવા માટે અનેક પગલાં લીધા, ફરીથી પરીક્ષા કરાવી.”

જોકે, વિપક્ષની સાથે સાથે સોશિયલ મીડિયા યુઝર્સનો અભિપ્રાય પણ બીજેપીના આ વલણ સાથે મેળ ખાતો નથી.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે લખ્યું, “આજે બીજેપી સાંસદો પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું સ્વાગત એવી રીતે કરી રહ્યા છે, જાણે તેમણે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય. દેશે પહેલા પણ જોયું કે પ્રધાને પોતાના રાજીનામામાં પેપર લીક માટે માફી માંગવાને બદલે વિદ્યાર્થીઓને જ ગેરમાર્ગે દોરવાયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને ત્યારબાદ તમામ કેન્દ્રીય મંત્રીઓએ સોશિયલ મીડિયા પર પ્રધાન માટે વાહવાહી કરી. અમારું માનવું છે કે આ સમગ્ર ઘટનાક્રમ અત્યંત શરમજનક છે અને દેશના યુવાનોનું ઘોર અપમાન છે.”

જયરામ રમેશે વધુમાં કહ્યું કે પ્રધાનનું આવું સ્વાગત કરીને બીજેપી દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને શું એવો સંદેશ આપવા માંગે છે કે બાળકો પર લાઠીચાર્જ કરાવવા અને પેલેટ ગન ચલાવવા છતાં પ્રધાનનું કામ પ્રશંસનીય હતું?

કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર શમા મોહમ્મદે લખ્યું, “બીજેપી સાંસદોએ ધર્મેન્દ્ર પ્રધાનનું ‘ઝિંદાબાદ’ ના નારા સાથે સ્વાગત કર્યું, જાણે તેઓ જ આ સમગ્ર મામલાના પીડિત હોય. અસલી પીડિત એ 20 થી વધુ વિદ્યાર્થીઓના પરિવારો છે, જેમણે નીટ પેપર લીક બાદ પોતાના બાળકોને ગુમાવ્યા, અને એ વિદ્યાર્થીઓ છે જેમની પર પેલેટ ગન ચલાવવામાં આવી. બીજેપીનું આ વલણ અત્યંત સંવેદનહીન અને શરમજનક છે. દેશનો યુવાન આ બધું જોઈ રહ્યો છે.”

પત્રકાર પીયૂષ રાયે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે પ્રધાનનું સ્વાગત એવી રીતે થઈ રહ્યું હતું, જાણે તેઓ પોતે જ પેપર લીકના વિક્ટિમ (પીડિત) હોય.

પત્રકાર દિનેશ પુરોહિતે લખ્યું, “રાજીનામું આપ્યા પછી આજે પહેલીવાર સંસદ પહોંચ્યા. બીજેપી નેતાઓએ ‘ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા. સાથે જ શાલ અને ટોપી પહેરાવીને સ્વાગત કર્યું. સ્વાગત તો એવું કર્યું, જાણે આ મહાશય કોઈ જંગ જીતીને આવ્યા હોય.”

પ્રધાનના રાજીનામા પર બીજેપી નેતાઓએ શું કહ્યું હતું?

જ્યારે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીની આગેવાનીમાં યોજાયેલા લગભગ એક મહિનાના પ્રદર્શન બાદ ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈએ શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારે પણ મોદી કેબિનેટના અનેક મંત્રીઓએ તેમના કામ અને શિક્ષણ વ્યવસ્થામાં તેમના યોગદાનના ભારે વખાણ કર્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે ત્યારે લખ્યું હતું, “ધર્મેન્દ્ર પ્રધાન જીએ પોતાના કાર્યકાળમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ, માતૃભાષાઓમાં પરીક્ષાઓની વ્યવસ્થા, પીએમ શ્રી શાળાઓના વિસ્તરણ, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-શૈક્ષણિક સંકલનને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. પરીક્ષા પ્રણાલીને વધુ સર્વસમાવેશક અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવાની દિશામાં પણ તેમના પ્રયાસો નોંધપાત્ર રહ્યા છે. તેમનો કાર્યકાળ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પ્રત્યેના તેમના સમર્પણનું પ્રતીક છે.”

સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ પણ તેમના વખાણ કરતા કહ્યું હતું, “ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે અને તેમનું જાહેર જીવન સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.”

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને વરિષ્ઠ નેતા તથા મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિત અનેક નેતાઓએ પ્રધાનના રાજીનામા બાદ તેમની પ્રશંસા કરી હતી.

નોંધનીય છે કે, દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ એક મહિનાથી તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. દિલ્હી ઉપરાંત મુંબઈ, પટના સહિત ભારતના અનેક શહેરોમાં તેમના રાજીનામાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શનો થયા હતા. ત્યારબાદ જ તેમણે રાજીનામું આપ્યું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોતાની પ્રતિક્રિયામાં તેને ‘પ્રધાનનું બલિદાન’ ગણાવ્યું હતું.

આ પણ વાંચો – આંદોલન સામે AK-47 : સત્તાની સૌથી ખતરનાક ભાષા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: આંદોલન સામે AK-47 : સત્તાની સૌથી ખતરનાક ભાષા
Next: શિક્ષણનું વ્યાપારીકરણ કે મોતનો વેપાર? ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના હચમચાવનારા આંકડા

Related News

BABA (84)

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર, CJI સૂર્યકાંતે કહ્યું- ‘અમારો સમય ન બગાડો’

gujaratex@gmail.com July 22, 2026
BABA (79)

ત્રિપુરા પોલીસમાં ખળભળાટ: DGP અનુરાગ ધનખડનું ઓફિસમાં જ શંકાસ્પદ મોત

gujaratex@gmail.com July 21, 2026
BABA (78)

NEET પેપર લીક સામે ‘Gen Z’ નો આક્રોશ: દિલ્હીમાં સંસદ કૂચ રોકવા પોલીસના ધમપછાડા, પથ્થર ભરેલા ટ્રક અને CCTV બંધ થતાં CJPનો ગંભીર આક્ષેપ

gujaratex@gmail.com July 20, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • જ્યુબિલી ગંજપુરાનો દંભી પરિવારનો થશે પર્દાફાશ : કરોડપતિ હોવા છતાં પૌત્રોને RTE માં એડમિશન, અય્યાશ દીકરાના હવસકાંડનો થશે મોટો ધડાકો
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ યથાવત : એક જ દિવસમાં વધુ ૩ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યુઆંક ૧૨ પર પહોંચ્યો
  • પાલનપુરના બાલારામના જંગલમાં મજબૂર માતાને પીંખી નાખનાર એ ‘બળાત્કારી શિક્ષક’ કોણ? કાળા ચિઠ્ઠા ખુલવાની તૈયારી
  • ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?
  • મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.