ભાવનગર/સુરત : ભાવનગરમાં નકલી ‘ઈંગ્લિશ’ દારૂ (લઠ્ઠાકાંડ) પીવાના કારણે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં મોતનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. આજે ૨૨મી ઓગસ્ટે વધુ ત્રણ દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડતાં આ લઠ્ઠાકાંડમાં કુલ મૃત્યુઆંક વધીને ૧૨ પર પહોંચી ગયો છે. એક જ દિવસમાં ત્રણ લોકોના મોતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
સર ટી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અત્યંત ક્રિટિકલ હાલતમાં સારવાર લઈ રહેલા અવિનાશ પરમાર નામના દર્દીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અગાઉ, આજે સવારે જ ૩૫ વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું પણ ઝેરી દારૂ પીધાના પાંચમા દિવસે સારવાર દરમિયાન નિધન થયું હતું.
મૃતક હાર્દિકભાઈ શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા વર્ધમાનનગરમાં રહેતા હતા. દારૂ પીધા બાદ તેમની તબિયત લથડતા તેમને પહેલા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સ્થિતિ વધુ નાજુક બનતા તેમને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સુરતમાં પણ એકનું મોત: બ્રેઈનડેડ સંજયસિંહનું નિધન
બીજી તરફ, આ નકલી દારૂકાંડની ગંભીર અસરોનો વ્યાપ સુરત સુધી પહોંચ્યો છે. નકલી દારૂ પીધા બાદ ગંભીર રીતે અસરગ્રસ્ત થયેલા સંજયસિંહ ડોડિયા નામના દર્દીને વધુ સારવાર માટે ભાવનગરથી સુરત રિફર કરવામાં આવ્યા હતા. બ્રેઈનડેડ થઈ ગયેલા સંજયસિંહને આજે (૨૨ ઓગસ્ટ) અચાનક હૃદય બંધ પડી જતાં (કાર્ડિયાક અરેસ્ટ) સારવાર કરી રહેલા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે.
મૃત્યુઆંક ૧૨ પર પહોંચતા સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ વધુ તેજ બની છે.
આ પણ વાંચો – ભાવનગર લઠ્ઠાકાંડ: ભડલીની દારૂ ફેક્ટરીથી ખરકડીના મોત સુધી પોલીસ પાસે ઇનપુટ્સ હોવા છતા લઠ્ઠાકાંડ સર્જાયો?
