અભિષેક પાંડેય, ભાવનગર : ભાવનગર જિલ્લામાં નકલી દારૂના સેવનથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે બે મોતના કારણ અકબંધ છે. 20થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભાવનગરની આ ઘટનાએ હવે માત્ર ભાવનગર પૂરતી સીમિત રહેલી નથી, પરંતુ ગુજરાતથી મધ્ય પ્રદેશ સુધી પોલિટિકલ બ્લન્ડર સર્જ્યો છે. નકલી દારૂની સપ્લાય ચેઇનના તાર મધ્ય પ્રદેશના ઉજ્જૈન સુધી પહોંચ્યા છે અને રાજનીતિના વિશ્વસનીય જાણકારો મુજબ મધ્ય પ્રદેશનો એક શક્તિશાળી રાજકીય પરિવાર આ લઠ્ઠાકાંડમાં જોડાયેલો છે.
ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં પહોંચેલો નકલી દારૂ મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ગુજરાતમાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે બૂટલેગરો મારફતે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. નકલી દારૂના મામલે મધ્ય પ્રદેશના એક શક્તિશાળી નેતાના ભાઈ સાથે નજીકના સંબંધો ધરાવતા લોકોની ભૂમિકા સંદિગ્ધ છે.
મધ્ય પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવાના નેટવર્કમાં એક કદ્દાવર રાજકીય નેતાના સગા ભાઈના નજીકના વ્યક્તિની ભૂમિકાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ રાજકીય પરિવાર અગાઉ મોટા જમીન વિવાદને કારણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યો હતો.
આ સમગ્ર મામલામાં સુરતનું રાજકીય કનેક્શન પણ મહત્વપૂર્ણ બની રહ્યું છે. મધ્ય પ્રદેશના આ રાજકીય નેતાના સુરતના એક ટોચના રાજકીય નેતા સાથે નજીકના સંબંધો છે. લઠ્ઠાકાંડની ગંભીરતા સામે આવ્યા બાદ સુરતથી મળેલી સૂચનાઓ પછી તંત્રમાં તાબડતોબ હલચલ શરૂ થઈ હતી અને રાતોરાત પોલીસની ટીમો બનાવીને નકલી દારૂના સપ્લાયર સહિતના સિન્ડિકેટને ઉપાડી લેવામાં આવ્યું છે.
ઘટના બાદ પોલીસ દ્વારા મુખ્ય સપ્લાયર સહિત અનેક બૂટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે. નકલી દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, તંત્રના સૂત્રો મુજબ આ કાર્યવાહી માત્ર સપ્લાયર સુધી સીમિત રાખવાને બદલે ઉજ્જૈનના એ રાજકીય પરિવાર સુધી લઈ જવાની જરૂર છે, પરંતુ તે રાજકીય બ્લન્ડર સર્જી શકે છે.
નકલી દારૂ પાછળનું ’10 ટકા’નું ગણિત
મધ્ય પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવાના સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક પાછળ નફાનું ગણિત પણ મહત્વનું છે. મધ્ય પ્રદેશમાં દારૂના વેપારમાં ‘બિલ પ્લસ 10 ટકા’ની અનધિકૃત સિસ્ટમની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. આ વધારાના ખર્ચને કારણે ગુજરાત સુધી પહોંચતી દારૂની કિંમત વધુ વધી જાય છે.
તેના ઉપર ગુજરાતમાં દારૂબંધીના કારણે દારૂની હેરફેર, છુપાવટ અને ગેરકાયદેસર વેચાણનો ખર્ચ ઉમેરાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં નફો જાળવી રાખવા માટે બૂટલેગરો દ્વારા દારૂમાં ભેળસેળ કરવામાં આવે છે. ઓછા ખર્ચમાં વધુ જથ્થો તૈયાર કરવાનો પ્રયાસ જીવલેણ સાબિત થયો અને ભાવનગરમાં નકલી દારૂના સેવનથી લોકોના જીવ ગયા.
આ કેસમાં દારૂમાં મિથેનોલ અથવા અન્ય કોઈ ઝેરી રસાયણની ભેળસેળ હતી કે નહીં, તે અંગેના સેમ્પલ FSL અને વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટથી નકલી દારૂમાં રહેલા ઝેરી તત્ત્વો અને મૃત્યુનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે.
SP નીતેશ પાંડેયને શોકોઝ, સવાલો ઊભા
લઠ્ઠાકાંડ બાદ ભાવનગરના SP નીતેશ પાંડેયને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. SP નીતેશ પાંડેયની છબી કડક અને ઈમાનદાર પોલીસ અધિકારી તરીકેની રહી છે. આ શોકોઝ નોટિસ બાદ પોલીસ વિભાગની આંતરિક પ્રક્રિયા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
IPS નીતેશ પાંડેય ગુજરાત પોલીસના એવા ગણતરીના અધિકારીઓમાં સામેલ છે, જેમની ઈમાનદારી (Integrity) પર કોઈ આંગળી ઉઠતી નથી. જ્યાર સુધી આ સમગ્ર મામલામાં મધ્ય પ્રદેશ અને ગુજરાતના રાજનેતાઓનો એંગલ સામે આવ્યો નહોતો, ત્યાં સુધી વહીવટી અને રાજકીય સ્તરે તેને દબાવવા અને છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી. પરંતુ જેમ જેમ મામલાની આંચ સત્તાના ગલિયારા સુધી પહોંચવા લાગી, તેમ સમગ્ર મામલાનો ઠીકરો ફોડવા માટે એક અધિકારીને ‘બલિનો બકરો’ બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.
જ્યારે ગુજરાતની દારૂબંધીની હકીકત બધાને માલૂમ છે કે આ માત્ર સરકારી ફાઇલોમાં છે. દરેક ઈમાનદાર અધિકારી દારૂ સામે કડક કાર્યવાહી કરતા પહેલાં એક બાબતથી ડરે છે કે લઠ્ઠાકાંડ થઈ શકે છે.
પોલીસ બેડામાં ચર્ચા મુજબ, નીતેશ જેવા અધિકારીને આ રીતે કટઘરામાં ઊભા કરવા એ પોલીસ વિભાગનું મનોબળ (Moral) તોડવાનું કામ કરશે.
લઠ્ઠાકાંડમાં ત્રણ મોત અને 20થી વધુ લોકો હોસ્પિટલમાં પહોંચ્યા બાદ જવાબદારી નક્કી કરવી જરૂરી છે. પરંતુ જવાબદારી માત્ર જિલ્લા પોલીસ વડા સુધી સીમિત રાખવાને બદલે સમગ્ર સપ્લાય ચેઇન, સ્થાનિક બૂટલેગરો, પરિવહનકારો, મધ્ય પ્રદેશના સપ્લાયર્સ અને તેમને મળતા સંરક્ષણ સુધી તપાસ થશે?
ભાવનગર લઠ્ઠાકાંડ હવે માત્ર ત્રણ અથવા પાંચ મોત અને 20થી વધુ દર્દીઓનો કેસ રહ્યો નથી. આ ઘટના ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના સમગ્ર અર્થતંત્ર, મધ્ય પ્રદેશથી આવતી સપ્લાય ચેઇન, રાજકીય સંપર્કો અને પોલીસની જવાબદારીને એકસાથે કટઘરામાં ઊભી કરે છે.
