ગાંધીનગર : રાજ્યમાં તબીબી સેવાઓની ગુણવત્તા સુધારવા અને લાયકાત વગરના ડોક્ટરો તથા નકલી ક્લિનિકો સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વનું પગલું ભર્યું છે. વિધાનસભામાં ‘ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-2026’ વિના વિરોધે પસાર થઈ ગયું છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે, વર્ષ 2021માં આ કાયદો લાવવાનો મુખ્ય હેતુ લાયકાત વગરના ‘લેભાગુ’ તત્ત્વો દ્વારા થતી તબીબી પ્રેક્ટિસને રોકવાનો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 41,000 કામચલાઉ (પ્રોવિઝનલ) રજિસ્ટ્રેશન થયા છે અને 2,000 કાયમી રજિસ્ટ્રેશન પૂર્ણ થયા છે.
પરંતુ અત્યાર સુધીની વહીવટી પ્રક્રિયા અને કાયદાકીય મર્યાદાઓને કારણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જટિલ અને સમયમર્યાદિત બની ગઈ હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે કલમ-9 અને કલમ-18માં મહત્ત્વના સુધારા કર્યા છે.
મુખ્ય સુધારાઓ
રજિસ્ટ્રેશન માટેની મુદત (હાલ 30 એપ્રિલ 2026 સુધી મર્યાદિત) હવે સરકાર જાહેરનામા દ્વારા ગમે ત્યારે નક્કી કરી શકશે.
પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન જે 12 સપ્ટેમ્બર 2026 પછી બંધ થવાનું હતું, તેને પણ સરકાર જાહેરનામા દ્વારા વધારી શકશે.
વહીવટી પ્રક્રિયામાં જટિલતા ઘટાડવા માટે ગેઝેટ નોટિફિકેશન દ્વારા ફેરફાર કરવાની સુવિધા આપવામાં આવી છે, જેથી પ્રક્રિયા વધુ ઝડપી અને લવચીક બને.
આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સુધારાનો અંતિમ હેતુ નાગરિકોને છેતરપિંડીથી બચાવવાનો છે. હવે હોસ્પિટલ, ક્લિનિક અને લેબોરેટરીઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન થવાથી દર્દીઓને ખાતરી થશે કે તેઓ જ્યાં સારવાર લઈ રહ્યા છે તે સંસ્થા સરકારના માપદંડો અનુસાર ચાલે છે અને ત્યાં કામ કરતા તબીબો યોગ્ય લાયકાત ધરાવે છે.
આ સુધારા પછી રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ સરળ અને સમયસર થઈ શકશે. આનાથી લાયકાત વગરના વ્યક્તિઓ દ્વારા તબીબી પ્રેક્ટિસ પર અંકુશ આવશે અને દર્દીઓની સુરક્ષા વધશે. આ બિલ વિના વિરોધે પસાર થવાથી સરકારે તબીબી ક્ષેત્રે સુધારાની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું છે. હવે આ બિલને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ તે અમલમાં આવશે.
આ પણ વાંચો – મુનીરે ટ્રમ્પ સાથે વાત કરી : પાકિસ્તાન અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીની તીવ્ર કોશિશમાં- FT રિપોર્ટ
