- 1994ના સનસનાટીભર્યા અરવિંદ શાહ હત્યા કેસમાં દાયકાથી વધુ સમયથી ફરાર હતો આરોપી
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2013થી પેરોલ જમ્પ કરીને ફરાર રહેલા અને ફાંસીની સજા પામેલા હાઈ-પ્રોફાઈલ ગુનેગાર સતીષ હિંમતલાલ રૂપા રેલિયા ઉર્ફે ભીખુ ઉર્ફે સંજય ઠક્કરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી 1994માં અમદાવાદની નીલમ હોટેલમાં થયેલા અરવિંદ શાહ હત્યા કેસમાં દોષિત જાહેર થયો હતો અને છેલ્લા 13 વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાંખીને ફરાર હતો.
માહિતી મુજબ, સેશન્સ કેસ નંબર 56/1995 હેઠળ સતીષ રેલિયાને એપ્રિલ 2000માં અમદાવાદની એડિશનલ સિટી સેશન્સ કોર્ટે ભારતીય દંડ સંહિતા તથા બોમ્બે પોલીસ એક્ટ હેઠળ હત્યા, લૂંટ અને ગુનાહિત કાવતરા જેવા ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારી હતી.
કેસની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે 22 ઓક્ટોબર, 1994ના રોજ કાપડના વેપારી અરવિંદ શાહને ડિસ્કાઉન્ટ ભાવે કાપડના સોદાના બહાને અમદાવાદની નીલમ હોટેલમાં બોલાવવામાં આવ્યા હતા. અહીં આરોપીઓએ તેમની પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ ઓળખ છુપાવવા માટે તેમની નિર્દયતાથી હત્યા કરીને માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. હત્યા બાદ કાપેલું માથું થેલામાં ભરીને અડાલજ વિસ્તાર સુધી લઈ જવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
દોષિત ઠર્યા બાદ જેલમાં સજા ભોગવી રહેલા સતીષ રેલિયાને બાદમાં પેરોલ પર કામચલાઉ મુક્તિ આપવામાં આવી હતી. જોકે વર્ષ 2013માં તેણે પેરોલની શરતોનો ભંગ કરીને જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું નહોતું અને ફરાર થઈ ગયો હતો. છેલ્લા એક દાયકાથી વધુ સમય દરમિયાન આરોપીએ અલગ-અલગ સ્થળોએ રહેતાં અને નકલી ઓળખ અપનાવી કાયદા અમલીકરણ એજન્સીઓને ચકમો આપ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીદારોની મદદ, ટેક્નિકલ સર્વેલન્સ અને લાંબા સમયથી ચાલી રહેલા ગ્રાઉન્ડવર્કના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન શોધી કાઢ્યું હતું. બાદમાં ખાસ ઓપરેશન હાથ ધરી તેને કોઈ અનિચ્છનીય બનાવ વિના ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપી વિરુદ્ધ જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને ફરીથી ન્યાયિક કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે, જ્યાં અદાલત દ્વારા ફટકારાયેલી મૂળ સજાના અમલીકરણની પ્રક્રિયા આગળ વધશે.
આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટમાં ‘કૉકરોચ જનતા પાર્ટી’ની ગુંજ : CJI સૂર્યકાન્તે અરજદારને કહ્યું- “આ મુદ્દાને આટલો ભાવનાત્મક રીતે ન લો”
