ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે એક એવું બિલ રજૂ થયું છે જે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને વડગામના ધારાસભ્ય અમિત ચાવડાએ “ગુજરાત રાજમાતા (ગૌમાતા દરજ્જો, રક્ષણ અને કલ્યાણ) બિલ, 2025” નામનું ખાનગી સભ્ય બિલ રજૂ કર્યું છે. આ બિલ દ્વારા ગૌમાતાને પ્રતીકાત્મક રીતે “રાજમાતા”નો સન્માનીય દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે.
બિલમાં શું કરવામાં આવી મુખ્ય દરખાસ્તો
1. રાજ્યના દરેક જિલ્લામાં ગૌમાતા કલ્યાણ અધિકારીની નિમણૂક
2. ગૌમાતાના ખોરાક, આરોગ્ય, રહેઠાણ અને સુરક્ષાનું નિયમિત નિરીક્ષણ
3. બીમાર/અશક્ત ગૌમાતાને કતલખાનામાં જતા અટકાવવા માટે કડક વ્યવસ્થા
4. રાજ્ય બજેટમાંથી ગૌકલ્યાણ માટે વાર્ષિક ₹100 કરોડની ફાળવણી
અમિત ચાવડાએ આ બિલ રજૂ કરતાં કહ્યું કે, “ગૌમાતા અમારી સંસ્કૃતિ અને ધર્મનું અભિન્ન અંગ છે. ગત ત્રણ વર્ષમાં અમદાવાદમાં શંકરાચાર્યજીની સભામાં આપણે વચન આપ્યું હતું કે વિધાનસભામાં આ મુદ્દે અવાજ ઉઠાવીશું. આજે તે વચન પૂરું કરી રહ્યા છીએ.”
આ બિલને લઈને હવે સૌની નજર ભાજપ સરકાર અને તેના ધારાસભ્યો પર છે. ભાજપ ગૌરક્ષા અને ગૌમાતાને માતા તરીકે પ્રસ્તુત કરીને ચૂંટણીમાં મત મેળવે છે, પરંતુ રાજ્યમાં ગૌવંશની કતલ અને ગૌમાંસ નિકાસના આંકડા ચિંતાજનક છે. અમિત ચાવડાએ કહ્યું, “જો ભાજપ ગૌમાતા પ્રત્યે સાચી નિષ્ઠા ધરાવે છે તો આ બિલને સર્વાનુમતે પસાર કરાવવું જોઈએ. આ તેમની કથની અને કરણી વચ્ચેનો તફાવત સાબિત કરવાની તક છે.”
આ બિલ હવે વિધાનસભાની કાર્યવાહીમાં ચર્ચા માટે મૂકાશે. જો પસાર થશે તો ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બની શકે છે જ્યાં ગૌમાતાને કાયદાકીય રીતે “રાજમાતા”નો દરજ્જો મળે.
આ પણ વાંચો – પાલિતાણા કોર્ટમાં બે ચેક બાઉન્સ કેસમાં મોટા ચુકાદા : આરોપીઓને 2 વર્ષની સજા અને વળતરના હુકમ
