અમદાવાદ શહેરમાં આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની પરિસ્થિતિઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા મહત્વનું પગલું લેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ હેઠળ કાર્યરત સિવિલ ડિફેન્સ વિભાગે નવી સાયરન સિસ્ટમના પ્રોક્યોરમેન્ટ પ્રોસેસના ભાગરૂપે ટેસ્ટિંગનું આયોજન કર્યું છે. આ ટેસ્ટિંગ શનિવારે (માર્ચ 7, 2026) સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં હોમ ગાર્ડ્સ ભવન ખાતે કરવામાં આવશે. આ દરમિયાન સાયરન અવારનવાર વગાડવામાં આવશે, જે માત્ર ટેક્નિકલ ઇવેલ્યુએશન માટે છે અને તેમાં કોઈ વાસ્તવિક કટોકટી નથી.
સિવિલ ડિફેન્સના કમાન્ડન્ટ અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ.એ. શેખના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણ સાયરનની કાર્યક્ષમતા, અવાજની રેન્જ અને અન્ય તકનીકી પાસાઓ તપાસવા માટે કરવામાં આવે છે. આ પ્રકારની કવાયતો નિયમિત છે અને તેનો હેતુ આપત્તિ સમયે નાગરિકોને તાત્કાલિક ચેતવણી આપવાની વ્યવસ્થાને મજબૂત કરવાનો છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન સાયરન સાંભળીને ગભરાશો નહીં અને કોઈ અફવાઓ પર વિશ્વાસ ન કરો. આ ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ સાયરન સિસ્ટમને અંતિમ સ્વીકૃતિ આપવામાં આવશે, જે ભવિષ્યમાં આપત્તિ વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પગલું અમદાવાદ જેવા મોટા શહેરમાં સુરક્ષા તંત્રને વધુ તાકાતવાન બનાવવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવે છે. તાજેતરમાં શહેરમાં ક્રાઈમ રેટ અને આપત્તિ તૈયારીઓને ધ્યાનમાં રાખીને પોલીસ અને સિવિલ ડિફેન્સ વિભાગ વધુ સક્રિય થયા છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે આવા ટેસ્ટિંગ દરમિયાન તેઓ પોતાના રોજિંદા કામકાજમાં વિક્ષેપ ન આવવા દે અને સરકારી સૂચનાઓનું પાલન કરે. આ પ્રકારની કવાયતો આગળ જતા અન્ય વિસ્તારોમાં પણ વિસ્તરી શકે છે, જેથી શહેરની તમામ વસ્તીને આપત્તિમાં ચેતવણી મળી શકે.
આ પણ વાંચો- અમદાવાદ ક્રાઈમ સ્ટેટિસ્ટિક્સ ; દર 3 દિવસે મર્ડર, દર 30 કલાકે બળાત્કાર
