નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ભારત સરકારને ઈરાન યુદ્ધ અને અયાતુલ્લાહ અલી ખમેનેઈની હત્યાના મામલે પોતાનું વલણ નૈતિક રીતે સ્પષ્ટ કરવાની અપીલ કરી અને સવાલ કર્યો કે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ રાષ્ટ્રાધ્યક્ષની હત્યાનું સમર્થન કરે છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ આ દાવો પણ કર્યો કે પ્રધાનમંત્રીની ‘ચુપ્પી’થી વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠા ઘટી રહી છે.તેમનું એમ પણ કહેવું છે કે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ કેટલાક ખાડી દેશો પર ઈરાની હુમલા, બંનેની નિંદા કરવી જોઈએ.
રાહુલ ગાંધીએ ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યુ કે, “અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મની એક સંવેદનશીલ વિસ્તારને વ્યાપક સંઘર્ષ તરફ ધકેલી રહી છે. લગભગ એક કરોડ ભારતીય નાગરિકો સહિત કરોડો લોકોને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે.”
તેમણે કહ્યું કે, “સુરક્ષા સંબંધિત ચિંતાઓ વાસ્તવિક છે અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરતા હુમલા સંકટને વધુ વધારશે. ઈરાન પર એકતરફી હુમલાઓ સાથે સાથે અન્ય પશ્ચિમ એશિયાઈ દેશો પર ઈરાનના હુમલાઓની નિંદા કરવી જોઈએ. હિંસા હિંસા જન્માવે છે, સંવાદ અને સંયમ જ શાંતિનો એકમાત્ર માર્ગ છે.”
તેમણે આ વાત પર ભાર મૂક્યો કે ભારતનું નૈતિક વલણ સ્પષ્ટ હોવું જોઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, “આપણે આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવ જીવનની રક્ષા માટે સ્પષ્ટ રીતે બોલવાની હિંમત રાખવી જોઈએ. આપણી વિદેશ નીતિ સાર્વભૌમત્વ અને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ પર આધારિત છે અને તેને સુસંગત રાખવી જોઈએ.”
રાહુલ ગાંધીએ કહ્યું, “પ્રધાનમંત્રી મોદીએ બોલવું જોઈએ. શું તેઓ વિશ્વ વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરવાના રીતે કોઈ રાષ્ટ્રાધ્યક્ષની હત્યાનું સમર્થન કરે છે?”
તેમણે દાવો કર્યો કે હવે આ મૌનના કારણે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઘટી રહી છે.
આ પણ વાંચો- ઉત્તર પ્રદેશ : હોળીમાં અવ્યવસ્થા દેખાડતો જૂનો ‘વીડિયો’ શેર કરતા એક પત્રકાર સહિત નવ લોકો પર FIR
