અમેરિકા-ઈરાન વિવાદની હોળીમાં હોમાયું ગુજરાતનું જહાજ; સમુદ્રમાં પીવીસી ટાંકીના સહારે નાવિકોએ ૧૦ કલાક કાઢ્યા
ખંભાળિયા/સલાયા: પર્સિયન કન્ટ્રીઝ (અખાતી દેશો)માં ચાલતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની ખાડી)માં ગુજરાતના એક માલવાહક જહાજ પર થયેલા કથિત હુમલામાં સલાયાના એક નાવિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર નાવિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ જહાજ ગણતરીની મિનિટોમાં જ દરિયામાં ડૂબી ગયું હતું.
યુદ્ધવિરામ છતાં કેમ ખેડ્યું જોખમ?
આ જહાજના માલિક સુલેમાનભાઈ ભાયાના જણાવ્યા અનુસાર, જહાજ ‘અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-૧’ ગત ૭ મેના રોજ દુબઈ બંદરથી યમનના અલ મક્કા બંદર જવા રવાના થયું હતું. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થઈ હોવાથી સમુદ્રી માર્ગ સલામત લાગતો હતો, જેના કારણે આ રૂટ પર જવાનું જોખમ લેવાયું હતું.
જહાજ પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ (ત્રિરંગો) લહેરાતો હતો અને તેની ઓળખ આપતું ટ્રાન્સપોન્ડર પણ ચાલુ હતું. તેમ છતાં, ૮ મેના રોજ ઓમાનના દરિયા કિનારા તરફથી આ જહાજ પર કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના શક્તિશાળી હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.
પીવીસી ટાંકીના સહારે ૧૦ કલાક મોત સામે જંગ
હુમલો એટલો ભીષણ હતો કે જહાજ મિનિટોમાં જ ડૂબવા લાગ્યું. જહાજ પર સવાર તમામ ૧૮ નાવિકોએ દરિયામાં કૂદકો મારવો પડ્યો હતો. જહાજ પર પાણી સંગ્રહ કરવા માટે રાખેલી ૧,૦૦૦ લીટરની પીવીસી (PVC) ટાંકીના સહારે નાવિકોએ દરિયાના મોજાં વચ્ચે ૧૦ કલાક સુધી મોત સામે સંઘર્ષ કર્યો હતો.
આ હુમલામાં ૪૨ વર્ષીય મિકેનિક અલ્તાફ કેર ગંભીર રીતે ઘાયલ થયા હતા. કપ્તાન અમીન સુંભાણિયાએ અલ્તાફને ટાંકી પર સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મદદ પહોંચવામાં ઘણો વિલંબ થતાં અલ્તાફે દરિયામાં જ દમ તોડી દીધો હતો. બાદમાં સલાયાના જ અન્ય એક જહાજ ‘પ્રેમસાગર’ દ્વારા તમામ નાવિકોનો બચાવ કરી દુબઈ પહોંચાડાયા હતા. દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી નાવિકોને તમામ સંભવિત મદદ પૂરી પાડી છે.
અંતિમ સંસ્કાર દુબઈમાં જ કેમ?
મૃતક નાવિક અલ્તાફ કેરના પરિવારે ભારે હૈયે તેમનો પાર્થિવ દેહ ભારત લાવવાને બદલે દુબઈની ધરતી પર જ દફનાવવાનો નિર્ણય કર્યો છે. અલ્તાફના કાકા ગફ્ફાર કેરે જણાવ્યું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓમાં મૃતદેહને ભારત લાવવામાં ૮ થી ૧૫ દિવસનો સમય લાગી શકે તેમ છે, જેથી પરિવારે આ નિર્ણય લીધો છે. અલ્તાફ છેલ્લા ૨૦ વર્ષથી નાવિક તરીકે કામ કરતા હતા અને તેઓ પોતાના પાછળ એક પુત્ર અને પુત્રી મુકતા ગયા છે.
આ પણ વાંચો – મોંઘવારીનો ડામ : પેટ્રોલ-ડીઝલમાં ₹3 અને CNGમાં ₹2નો ભાવવધારો, દિલ્હીમાં પેટ્રોલ ₹100ની નજીક
