- સુરતમાં જળપ્રલય! કરંટ-ડૂબવા સહિતની દુર્ઘટનામાં ૧૩ના મોત, ૩૪૧૬નું રેસ્ક્યૂ, ૩૮૬૨ લોકોનું સ્થળાંતર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૫ દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત, જૂનાગઢના માંગરોળ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના કામરેજ અને પલસાણા સહિતના તાલુકાઓમાં ૧૭ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, જ્યારે સુરત શહેરમાં છેલ્લા ૩૮ કલાકમાં ૧૯ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
કુદરતી આફતમાં ૧૩ જિંદગીઓ હોમાઈ
અતિભારે વરસાદના કારણે સુરત શહેરમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. પૂર અને વરસાદી માહોલ વચ્ચે અલગ-અલગ વિસ્તારોમાં બનેલી દુર્ઘટનાઓમાં કુલ ૧૩ લોકોના મોત નીપજ્યા છે, જેમાં ૧૧ લોકોના ડૂબી જવાથી અને ૧ વ્યક્તિનું કરંટ લાગવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ કરુણ ઘટનાઓ મુખ્યત્વે ડિંડોલી, પુણાગામ, પાંડેસરા અને રાંદેર સહિતના વિસ્તારોમાં બની છે.
તંત્ર, NDRF અને SDRF દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
આફતની આ ઘડીમાં સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, NDRF અને SDRFની ટીમોએ મોરચો સંભાળી લીધો છે. ૮ જુલાઈના સાંજના ૫ વાગ્યા સુધીમાં તંત્ર દ્વારા ૩,૪૧૬ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે પૂરના જોખમી વિસ્તારમાં રહેતા ૩,૮૬૨ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. પલસાણા, કામરેજ, બારડોલી અને અંબિકા જેવા વિસ્તારોમાં ૧૦-૧૦ ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે.
સ્થાનિક વિસ્તારોમાં ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાના કારણે લોકો અગાસીઓ પર આશ્રય લેવા મજબૂર બન્યા હતા. મીઠી ખાડી અને ગોડાદરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતા સ્થિતિ વધુ ગંભીર બની હતી, પરંતુ સંયુક્ત ટીમોના સમયસરના આયોજનથી હજારો લોકોના જીવ બચાવી તેમને આશ્રયસ્થાનોમાં ફૂડ પેકેટ અને તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો – મુસ્લિમોમાં પણ સગીરા સાથે નિકાહ ગેરકાયદેસર, લાગુ પડશે પોક્સો કાયદો
