- પર્સનલ લો કરતાં પોક્સો કાયદો સર્વોપરી: મુસ્લિમ સમાજમાં સગીરા સાથે નિકાહ ગેરકાયદેસર ગણાશે – અલ્હાબાદ હાઇકોર્ટ
નવી દિલ્હી: દેશમાં બાળ લગ્ન અને સગીરોના યૌન શોષણને લઈને અલ્હાબાદ હાઇકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પોક્સો (POCSO) કાયદો તમામ ધર્મના નાગરિકોને સમાન ધોરણે લાગુ પડે છે. કોર્ટના મતે, કોઈપણ ધર્મનો પર્સનલ લો દેશના પોક્સો કાયદા કરતાં મોટો ન હોઈ શકે. આ ચુકાદા અનુસાર, મુસ્લિમ સમાજમાં પણ ૧૮ વર્ષથી ઓછી વયની સગીરા સાથે નિકાહ ગેરકાયદેસર છે અને શરિયા કાયદા હેઠળ સગીર વયે નિકાહ કરાવવા એ પોક્સો કાયદાનું સીધું ઉલ્લંઘન છે.
શરિયા કાયદો અને પોક્સો વચ્ચેનો ટકરાવ
ન્યાયાધીશ જે.જે. મુનીર અને અચલ સચદેવની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે દેશમાં બાળ લગ્ન પર પ્રતિબંધ મુકતો કાયદો અને સગીરો સાથે થતા યૌન શોષણને રોકવા માટે પોક્સો કાયદો અમલમાં છે. શરિયા કાયદો ભલે પ્યુબર્ટી (સામાન્ય રીતે ૧૫ વર્ષની ઉંમર) ને નિકાહ માટે યોગ્ય માનતો હોય, પરંતુ તેનાથી દેશના બાળ લગ્ન વિરોધી કાયદા અને પોક્સો બન્નેનો ભંગ થાય છે. ન્યાયાધીશોએ સ્પષ્ટ કર્યું કે દેશના તમામ નાગરિકો માટે લગ્નની ઉંમર એક સમાન છે અને તેમાં નાગરિકનો ધર્મ વચ્ચે ન આવી શકે.
શું હતો સમગ્ર મામલો?
આ મામલો ઉત્તર પ્રદેશના બુલંદશહેર સાથે જોડાયેલો છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પોલીસે એક ૧૬ વર્ષની મુસ્લિમ સગીરાના નિકાહ અટકાવ્યા હતા અને ૧૯ લોકો સામે એફઆઈઆર (FIR) દાખલ કરી હતી. આરોપીઓએ આ FIR રદ કરાવવા હાઇકોર્ટમાં અપીલ કરી હતી. અરજદારોની દલીલ હતી કે શરિયા કાયદો ૧૫ વર્ષની ઉંમર આસપાસ નિકાહની છૂટ આપે છે, તેથી પર્સનલ લો પર બાળ લગ્ન વિરોધી કાયદો લાગુ ન થઈ શકે. જોકે, હાઇકોર્ટે તેમની આ તમામ દલીલોને ફગાવી દીધી હતી.
લગ્નનો અર્થ શારીરિક સંબંધ, તેથી લાગશે પોક્સો
હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ પર્સનલ લો દેશના પોક્સો કાયદાની કાનૂની અસરને ખતમ ન કરી શકે. જો ૧૮ વર્ષથી ઓછી વયે લગ્નની છૂટ આપવામાં આવે તો તે પોક્સો કાયદાનું ઉલ્લંઘન છે, કારણ કે લગ્ન અને શારીરિક સંબંધો એકબીજા સાથે જોડાયેલા છે. પોક્સો કાયદા મુજબ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવો એ બળાત્કાર (રેપ) ગણાય છે.
નોંધનીય છે કે, અગાઉ કેરળ હાઇકોર્ટે પણ આ જ પ્રકારનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે પર્સનલ લો બાળ લગ્ન વિરોધી કાયદાથી ઉપર ન હોઈ શકે. બાળ લગ્ન વિરોધી કાયદા મુજબ દોષિતોને બે વર્ષની કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા થઈ શકે છે. આ ગુનામાં સામેલ માતા-પિતા અને પરિવારજનો સામે પણ કડક કાર્યવાહીની જોગવાઈ છે. એટલું જ નહીં, આવા લગ્નને કાયદેસર રીતે શૂન્ય (રદબાતલ) ગણવામાં આવે છે, એટલે કે તેનું કોઈ કાનૂની અસ્તિત્વ રહેતું નથી.
આ પણ વાંચો – અમદાવાદ એરપોર્ટ લૂંટકેસમાં શહેરના ‘Kલાકાર કંપની’ના મહીપાલ અને સાથીઓ?
