- જોબ માર્કેટની વરવી વાસ્તવિકતા: ફ્રેશર્સ માટે પહેલી નોકરી મેળવવી મુશ્કેલ, 72% કંપનીઓ એન્ટ્રી-લેવલ પર પણ માંગે છે અનુભવ
- ઇન્ડિડ (Indeed) નો ચિંતાજનક રિપોર્ટ: 5 વર્ષ પહેલાની સરખામણીમાં યુવાનો માટે નોકરી શોધવી વધુ કઠિન, વારંવારના રિજેક્શનથી 64% નો આત્મવિશ્વાસ તૂટ્યો
- યુવાનોની મજબૂરી: 61% ફ્રેશર્સને એપ્લાય કર્યા પછી નથી મળતો જવાબ, આર્થિક દબાણમાં પસંદગી વગરની નોકરી સ્વીકારવા મજબૂર
નવી દિલ્હી: કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને કારકિર્દીની શરૂઆત કરવા માંગતા યુવાનો એટલે કે ફ્રેશર્સ (Freshers) માટે વર્તમાન સમયમાં નોકરી શોધવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ઓનલાઈન જોબ સર્ચ પોર્ટલ ‘ઈન્ડિડ’ (Indeed) ના ‘ફ્રેશર હાયરિંગ રિપોર્ટ’ નો હવાલો આપતા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાંચ વર્ષ પહેલાંની સરખામણીમાં અત્યારે ફ્રેશર્સ માટે કોર્પોરેટ જગતમાં કે કામની દુનિયામાં પ્રવેશ કરવો વધુ કઠિન બન્યો છે.
એન્ટ્રી લેવલની નોકરી માટે પણ અનુભવની માંગ
રિપોર્ટના ચોંકાવનારા આંકડા મુજબ, જોબ શોધી રહેલા દર 10માંથી 7 યુવાનોને તેમની પહેલી નોકરી મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. 3 થી 5 વર્ષ પહેલાંની સ્થિતિની સરખામણી કરીએ તો અત્યારે ફ્રેશર્સ માટે ઇન્ટર્નશિપની તકો પણ ઘટી ગઈ છે.
સર્વેમાં સામેલ 72% લોકોનું કહેવું છે કે કંપનીઓ એન્ટ્રી લેવલની નોકરીઓ માટે પણ અગાઉના અનુભવની માંગ કરે છે.
61% યુવાનોની ફરિયાદ છે કે નોકરી માટે એપ્લાય કર્યા પછી તેમને કંપની તરફથી ભાગ્યે જ કોઈ જવાબ (Response) મળે છે.
આર્થિક દબાણ અને તકોનો અભાવ
આ અભ્યાસનું એક મહત્વનું તારણ એ છે કે શીખવાની અને લાંબા ગાળાના કરિયરના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા હોવા છતાં, યુવાનોએ પોતાના આદર્શ રોલના બદલે આર્થિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી પડે છે.
સર્વેમાં સામેલ 43% લોકોએ સ્વીકાર્યું કે આર્થિક દબાણ અને યોગ્ય તકોના અભાવની સીધી અસર તેમના કરિયરના નિર્ણયો પર પડે છે.
માત્ર 14% યુવાનોને જ એવી આશા હતી કે તેમની પહેલી નોકરી તેમની પસંદગી, કંપની અને લોકેશન મુજબની હશે.
ઇન્ટર્નશિપ અને અનુભવનો અભાવ
આ રિપોર્ટ એ વાત પર વિશેષ ભાર મૂકે છે કે હાલમાં જોબ માર્કેટમાં પ્રવેશતા પહેલા ઉમેદવારોને પ્રેક્ટિકલ અનુભવ મેળવવાની તકોનો ભારે અભાવ છે.
માત્ર 20% લોકોએ કહ્યું કે તેમને અભ્યાસ દરમિયાન પેઇડ (પગારવાળી) ઇન્ટર્નશિપની તક મળી.
જ્યારે 18% યુવાનોને ઇન્ટર્નશિપ, પ્રોજેક્ટ, પ્લેસમેન્ટ કે ફ્રીલાન્સ કામની કોઈ જ તક મળી ન હતી.
લગભગ અડધા (49%) લોકોએ કહ્યું કે માર્કેટમાં પોતાની ઓળખ ઉભી કરવી એ તેમના માટે સૌથી મોટો પડકાર હતો.
રિજેક્શનથી તૂટતો આત્મવિશ્વાસ
સતત સંઘર્ષની અસર યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. આ સ્ટડીમાં એક ચિંતાજનક બાબત એ સામે આવી છે કે લગભગ 64% લોકોએ જણાવ્યું કે વારંવાર એપ્લાય કરવા છતાં રિજેક્ટ થવાથી તેમના આત્મવિશ્વાસ અને મનોબળ પર નકારાત્મક અસર પડી છે. માત્ર 20% લોકો જ માને છે કે તેઓ પસંદ કરેલા કરિયરના માર્ગ પર સાચી દિશામાં જઈ રહ્યા છે.
નિષ્ણાતોનો મત
ઇન્ડિડ (Indeed) ના ટેલેન્ટ સ્ટ્રેટેજી એડવાઈઝર રોહન સિલ્વેસ્ટરે જણાવ્યું હતું કે, “આ એક લાંબો અને અનિશ્ચિત સમયગાળો બની રહ્યો છે જેમાં સતત નોકરી માટે અરજી કરવી, મોડો જવાબ મળવો અને સમાધાન કરવાનું દબાણ સામેલ છે. જે કંપનીઓ શરૂઆત માટે રસ્તાઓ બનાવે છે, યુવા કૌશલ્યમાં રોકાણ કરે છે અને ઉમેદવારોને નોકરી દરમિયાન શીખવાની તક આપે છે, તેઓ લાંબા ગાળે બહેતર અને કુશળ ટેલેન્ટ તૈયાર કરવામાં સફળ રહેશે.”
આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટની સમિતિનો મોટો પ્રસ્તાવ: ન્યાયિક ચુકાદાઓમાં AI ના ઉપયોગ પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ
