અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે 14 વર્ષની દુષ્કર્મ પીડિતા કિશોરીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. કોર્ટે આ નિર્ણયમાં મેડિકલ રિપોર્ટ અને નિષ્ણાત તબીબોના અભિપ્રાયને મહત્ત્વ આપ્યું છે.
હાઈકોર્ટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજના ત્રણ વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ અને એક મનોચિકિત્સકની ટીમ પાસે પીડિતાની વિગતવાર તપાસ કરાવી હતી. આ રિપોર્ટના આધારે કોર્ટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલને તાત્કાલિક ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપ્યો છે. સર્જરી દરમિયાન નિષ્ણાત ચિકિત્સકો અને એનેસ્થેટિસ્ટની ટીમ હાજર રહે તેની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
અદાલતે બાળકના કલ્યાણ પર વિશેષ ભાર મૂકતા કહ્યું છે કે, જો પીડિત પરિવાર બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય તો રાજ્ય સરકાર અને સંબંધિત એજન્સીઓએ કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 2005 હેઠળ બાળકની તમામ જવાબદારી સંભાળવી પડશે. આમાં તબીબી સહાય, પોષણ અને અન્ય તમામ જરૂરી સુવિધાઓનો સમાવેશ થાય છે.
13 માર્ચ 2026ના રોજ સુરેન્દ્રનગરના મૂળી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 61(2)(i), 64(1) તેમજ POCSO એક્ટની વિવિધ કલમો હેઠળ ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. પીડિતાના પરિવારે ગર્ભપાતની મંજૂરી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.કોર્ટે પીડિતા કિશોરીના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને આ માનવીય નિર્ણય લીધો છે.
આ પણ વાંચો- ગુજરાતમાં UCC બિલ 2026: આજે વિધાનસભામાં ચર્ચા, લગ્ન-લિવઇનમાં સમાન કાયદો આવવાની તૈયારી
