ગાંધીનગર: ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ૨૬,૧૯૬ બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ૨૬ એપ્રિલે સરેરાશ ૫૭% મતદાન બાદ આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં કેસરિયો લહેરાવ્યો છે, જોકે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ અને અપક્ષોએ મજબૂત ટક્કર આપીને ચોંકાવનારા પરિણામો આપ્યા છે.
મહાનગરપાલિકાઓની સ્થિતિ: ક્યાંક ક્લીન સ્વીપ તો ક્યાંક ઉલટફેર
મહાનગરપાલિકાઓમાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મોરબીમાં ભાજપે તમામ ૫૨ બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું છે. નવસારીમાં નવી બનેલી મનપામાં ૫૨માંથી ૫૦ બેઠકો જીતીને ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. સુરતમાં ભાજપનો દબદબો યથાવત છે, પરંતુ ૫ વર્ષ બાદ વૉર્ડ નં. ૧૨ માં અરશદ ઝરીવાલાની જીત સાથે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં ચમત્કાર કરનાર આમ આદમી પાર્ટી (AAP) સુરતમાં હજુ સુધી એક પણ બેઠક મેળવી શકી નથી.
અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ૭૦ વર્ષમાં પહેલીવાર ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં ભાજપની પેનલ હારી છે અને કોંગ્રેસે વિજય મેળવ્યો છે. જોકે, બાપુનગર વૉર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોની જીત સાથે પેનલ તૂટી છે. વડોદરામાં વૉર્ડ નં. ૧ માં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબેન રાવતનો પરાજય થયો છે, જ્યારે કોંગ્રેસના બળવાખોર હરીશ પટેલ અપક્ષ તરીકે જંગી લીડથી જીત્યા છે.
નગરપાલિકાઓમાં જંગ: ભાજપનો ભગવો અને કોંગ્રેસની લડત
નગરપાલિકાઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ખંભાળિયામાં ભાજપે ૩૬માંથી ૩૦ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે અહીં ‘આપ’ ૫ બેઠકો સાથે ખાતું ખોલાવવામાં સફળ રહ્યું છે. વિરમગામમાં ભાજપની રણનીતિ સફળ રહી છે અને ૧૯ બેઠકો સાથે સત્તામાં વાપસી કરી છે.
સામે પક્ષે, સાબરકાંઠાની વડાલી નગરપાલિકામાં કોંગ્રેસે ૨૪માંથી ૨૦ બેઠકો જીતીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. વડોદરાની ડભોઈ નગરપાલિકા પણ કોંગ્રેસે ૨૫ બેઠકો સાથે કબજે કરી છે. વાપીમાં કોંગ્રેસ અને આપને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે ત્યાં એક અપક્ષની પેનલ વિજેતા બની છે.
વ્યક્તિગત વિજય અને વિશેષ નોંધ
મહેસાણા: કમલમ (ભાજપ કાર્યાલય) માં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશ ભીલ વૉર્ડ નં. ૧૩ માંથી ભાજપની ટિકિટ પર વિજેતા બન્યા છે.
ઉના: જાણીતી ગાયિકા રાજલ બારોટ ઉના નગરપાલિકાની બેઠક પરથી વિજયી થયા છે.
સુરત: પાસ નેતા અલ્પેશ કથિરીયાની પત્ની કાવ્યા કથિરીયા વૉર્ડ નં. ૩ માંથી વિજેતા બન્યા છે.
હિંસાની છૂટીછવાઈ ઘટના
સુરતના વૉર્ડ નં. ૧૯ માં પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. હાર-જીતની મજાક ઉડાવવા બાબતે મામલો બિચક્યો હતો અને પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી.
આ પણ વાંચો – ઈરાનની નવી ઓફર: ‘પરમાણુ કરાર વગર પણ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તૈયાર’, શું અમેરિકા નૌકાદળની નાકાબંધી હટાવશે?
