ગુજરાતમાં ૭૩૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા, હવે બાકીની બેઠકો પર કેસરિયો લહેરાશે કે પંજો જોર બતાવશે?
ગાંધીનગર: ગુજરાતમાં મિની વિધાનસભા ગણાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યની ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની કુલ ૨૬,૧૯૬ બેઠકો પર આજે સવારે ૯ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક રુઝાનમાં ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ અને વડોદરા જેવી મોટી મહાનગરપાલિકાઓમાં જીત સાથે ખાતું ખોલાવી દીધું છે.
મતદાનની વિગત અને મહત્વ
ગત ૨૬ એપ્રિલે આ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ ૫૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટેનો લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યો છે. એકમો પ્રમાણે મતદાનની વિગત જોઈએ તો, ૧૫ મહાનગરપાલિકાઓમાં ૪૯% અને ૮૪ નગરપાલિકાઓમાં ૫૯% મતદાન થયું હતું. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોમાં સરેરાશ ૬૧ ટકા મતદાન થયું હતું.
૭૩૨ બેઠકો પર ભાજપની પહેલેથી જ જીત
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, મતગણતરી પહેલા જ રાજ્યમાં કુલ ૭૩૨ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં:
૧૫ મહાનગરપાલિકામાં ૪૩ ઉમેદવાર
૮૪ નગરપાલિકામાં ૩૮૫ ઉમેદવાર
૩૪ જિલ્લા પંચાયતમાં ૫૨ ઉમેદવાર
૨૬૦ તાલુકા પંચાયતમાં ૨૫૨ ઉમેદવાર
આ આંકડા સૂચવે છે કે મતગણતરી પૂર્વે જ અનેક બેઠકો પર પક્ષોએ પોતાની પકડ મજબૂત કરી લીધી હતી.
રાજકીય જંગ અને વર્તમાન સ્થિતિ
વર્તમાન ટ્રેન્ડ મુજબ, ભાજપ અનેક બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને અમદાવાદ-વડોદરામાં જીતનો સિલસિલો શરૂ થઈ ગયો છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પણ આ વખતે ઉલટફેરની આશા રાખી રહ્યા છે. જોકે, હજુ સુધી વિરોધ પક્ષોએ જીતનો આંકડો નોંધાવ્યો નથી, પરંતુ મતગણતરીના અંતિમ તબક્કા સુધીમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
સમગ્ર રાજ્યમાં મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સાંજ સુધીમાં તમામ બેઠકોના સત્તાવાર પરિણામો જાહેર થઈ જશે.
આ પણ વાંચો – હૃદયદ્રાવક: જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જવાથી 4 બાળકોના મોત
