અમદાવાદ શહેરની વધતી વસ્તી, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીમાં વધારો અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટમાં 7 ઝોન હતા, પરંતુ હવે નવો ઝોન-8 રચાશે. આ ફેરફાર 37 IPS અધિકારીઓની તાજેતરની સામૂહિક બદલીઓના ભાગરૂપે થયો છે, જેમાં મયૂર પાટીલ (2014 બેચ)ને ઝોન-8ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ નવા ઝોનનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાનો છે, જ્યાં તાજેતરમાં ક્રાઇમના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ઝોન-8 હેઠળ 5થી 6 પોલીસ સ્ટેશનો ફાળવવામાં આવશે, જેમાં ઝોન-5 અને ઝોન-6ના કેટલાક વિસ્તારોને સમાવેશ કરવામાં આવશે. આ સાથે જ પોલીસ સ્ટેશનોની હદમાં ફેરફાર થશે, જેથી વહીવટ વધુ અસરકારક બને અને પેટ્રોલિંગ તેમજ તપાસ કાર્યવાહી ઝડપી થાય.
વસ્ત્રાલમાં નવું પોલીસ સ્ટેશન અને અન્ય ફેરફારો
હાલમાં વસ્ત્રાલ વિસ્તાર રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, પરંતુ નવા ઝોન સાથે વસ્ત્રાલમાં અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત, ઝોન-5 અને ઝોન-6ના કેટલાક પોલીસ સ્ટેશનોની હદમાં વધારો-ઘટાડો કરવામાં આવશે.
ઝોન-5 હેઠળના મુખ્ય પોલીસ સ્ટેશનો: બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, રખિયાલ, ગોમતીપુર, ઓઢવ, રામોલ.
ઝોન-6 હેઠળના મુખ્ય પોલીસ સ્ટેશનો: મણીનગર, ઇસનપુર, કાગડાપીઠ, નારોલ, વટવા, વટવા GIDC, દાણીલીમડા.
નવા ઝોન-8માં આમાંથી કેટલાકને ફાળવીને હદ વિસ્તારને રીઓર્ગેનાઇઝ કરવામાં આવશે. આ પ્રપોઝલ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગૃહ વિભાગને મોકલવામાં આવ્યું છે, જેમાં નવા સ્ટેશન માટે ACP, PI અને અન્ય સ્ટાફની જરૂરિયાત પણ દર્શાવવામાં આવી છે.
આગામી પગલાં અને અસર
આગામી એક મહિનામાં ઝોન-8ને અધિકૃત રીતે ફાળવી દેવામાં આવશે અને જાહેરનામું જારી થશે. આ ફેરફારથી સેક્ટર-2માં ઝોનની સંખ્યા 3થી વધીને 4 થશે (ઝોન-4, 5, 6 અને 8). પરિણામે પૂર્વ અમદાવાદમાં પોલીસની હાજરી વધશે, ઝડપી પ્રતિસાદ મળશે અને ગુના નિયંત્રણમાં સુધારો થશે.
મયૂર પાટીલની નિમણૂક આ વિસ્તારની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેથી તેઓ તેમના અનુભવનો ઉપયોગ કરીને નવા ઝોનને સફળતાપૂર્વક સ્થાપિત કરી શકે. આ પગલું અમદાવાદની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને આધુનિક બનાવશે.
આ પણ વાંચો- ડેડિયાપાડા તાલુકામાં સગીરા સાથે બળાત્કાર ગુજારનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી
