- શું CBSEની નવી OSM સિસ્ટમ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી રહી છે?
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની નવી ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ પર વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિપક્ષી દળો સવાલો ઉઠાવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ સિસ્ટમ પરીક્ષાના મૂલ્યાંકનને સચોટ અને ઝડપી બનાવવા માટે લાવવામાં આવી છે, પરંતુ હવે તે જ સવાલોના ઘેરામાં આવી ગઈ છે.
12મા ધોરણના ઘણા વિદ્યાર્થીઓ ધૂંધળી આન્સર શીટ, પોર્ટલ ક્રેશ અને આન્સર શીટ બદલાઈ જવા સુધીની ફરિયાદો કરી રહ્યા છે. આ મુદ્દો એટલો વેગ પકડી ચૂક્યો છે કે CBSE ની 12મા ધોરણની બોર્ડ પરીક્ષામાં બેઠેલા દર ચારમાંથી લગભગ એક વિદ્યાર્થીએ પોતાની ચેક કરેલી આન્સર શીટની સ્કેન કોપી માંગી છે.
CBSE ના 26 મે 2026 સુધીના આંકડા મુજબ, પરીક્ષામાં સામેલ 17 લાખ 68 હજાર 968 વિદ્યાર્થીઓમાંથી 4 લાખ 4 હજાર 319 વિદ્યાર્થીઓએ સ્કેન કોપી માટે અરજી કરી છે, જે કુલ સંખ્યાના લગભગ 23 ટકા છે.
વિદ્યાર્થીઓ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ, વકીલો અને CBSE સાથે જોડાયેલા શિક્ષકો સાથેની વાતચીતમાં 5 મુખ્ય સવાલો સામે આવ્યા, જેના જવાબો લાખો વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઈચ્છે છે.
શું છે સમગ્ર મામલો?
13 મેના રોજ CBSE ના 12મા ધોરણના પરિણામો જાહેર થયા. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ 3 ટકા ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા. પરિણામ જાહેર થતાં જ CBSE ની નવી મૂલ્યાંકન સિસ્ટમ OSM (ઓન-સ્ક્રીન માર્કિંગ) પર સવાલો ઉઠવા લાગ્યા, જેના અંતર્ગત ડિજિટલ રીતે મૂલ્યાંકનકારોએ આન્સર કોપી ચેક કરી હતી.
પહેલાંની રીત એ હતી કે પરીક્ષા પછી વિદ્યાર્થીઓની આન્સર કોપીના બંડલ શિક્ષકો પાસે મોકલવામાં આવતા હતા. શિક્ષકો તેને હાથમાં લઈને લાલ પેનથી તપાસતા, માર્ક્સ ઉમેરતા અને સહી કરતા હતા. હવે CBSE એ નવી રીત અપનાવી છે. પહેલા બધી કોપીઓ સ્કેન થાય છે, એટલે કે તેમનો ડિજિટલ ફોટો લેવાય છે. પછી આ ફોટો ઓનલાઈન સિસ્ટમ પર અપલોડ થઈ જાય છે. શિક્ષકો હવે અસલી કોપીની જગ્યાએ કમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન પર તે જ કોપી જોઈને માર્ક્સ આપે છે, બિલકુલ તેવી જ રીતે જેમ આપણે ફોન પર કોઈ ડોક્યુમેન્ટની PDF વાંચીએ છીએ.
વિવાદ વધતાં 15 મેના રોજ CBSE એ પ્રેસ કોન્ફરન્સ કરીને આ નવી OSM સિસ્ટમનો બચાવ કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે બોર્ડે મોટા પાયે આ સિસ્ટમ માટે તૈયારીઓ કરી હતી અને જ્યાં જરૂર લાગી ત્યાં કોપીઓનું રિ-સ્કેનિંગ અને મેન્યુઅલ ચેકિંગ પણ કરાવ્યું હતું. CBSE નું કહેવું હતું કે તેણે 100 શિક્ષકો પાસે કોપી ચેક કરાવીને ડ્રાય રન પણ કરાવ્યો હતો. બોર્ડના દાવા મુજબ, બધી ખામીઓ સુધાર્યા પછી જ OSM સિસ્ટમથી કોપી તપાસવામાં આવી.
પરંતુ ત્યારબાદના ઘટનાક્રમોએ સતત વિવાદ વધાર્યો. આ દરમિયાન વેદાંત શ્રીવાસ્તવ નામના એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે બોર્ડે તેને એક વિષયની ખોટી આન્સર શીટ મોકલી છે. મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે તેને અન્ય દેશનો ગણાવીને ટ્રોલ કરવામાં આવ્યો. CBSE એ વેદાંતના કેસમાં આવેલી તકનીકી ખામી દૂર કરી, પરંતુ નવી સિસ્ટમ પર સવાલો ચાલુ રહ્યા. 24 મેના રોજ CBSE એ તકનીકી ખામીઓ સ્વીકારી અને કોઈપણ સંભવિત સમસ્યાની નિષ્ણાતો પાસે તપાસ કરાવવાની વાત કહી. હાલ સ્થિતિ એ છે કે 18 લાખમાંથી 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સ્કેન કોપી માંગી છે. નોંધનીય છે કે જૂની વ્યવસ્થામાં મેન્યુઅલ ચેકિંગ થતું હતું.
1 . શું નવા સિસ્ટમમાં કોપી તપાસવાની ટ્રેનિંગ પૂરતી હતી?
CBSE એ OSM સિસ્ટમ અંગે કહ્યું હતું કે તેનાથી તપાસ પ્રક્રિયા વધુ ઝડપી અને સચોટ બનશે, અને મેન્યુઅલ ભૂલો નહિવત્ રહેશે. પરંતુ હવે આ દાવા પર જ સવાલો ઉઠી રહ્યા છે.
નામ ન આપવાની શરતે CBSE બોર્ડ સાથે જોડાયેલી એક શાળાના શિક્ષિકા કહે છે, “પહેલા શિક્ષકો ઓફલાઇનમાં પણ ગરબડ કરતા હતા. ક્યારેક ટોટલિંગમાં માર્ક્સ રહી જતા, તો ક્યારેક સાચા જવાબને ખોટો માર્ક કરી દેવાતો. આનાથી બચવા જ ઓન-સ્ક્રીનનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો.” તેઓ વધુમાં કહે છે, “પરીક્ષા ઓફલાઇન લેવાઈ રહી છે અને તપાસ ઓનલાઈન થઈ રહી છે. આ પ્રક્રિયા માટે પરીક્ષકોને લાંબી ટ્રેનિંગ મળવી જોઈતી હતી, પરંતુ બોર્ડે માની લીધું કે શિક્ષકો ટેક્નોલોજી સમજતા જ હશે. તદ્દન પ્રાથમિક તાલીમ પછી સિસ્ટમ લાગુ કરી દેવાઈ.”
શિક્ષણવિદ ડૉ. એસ.કે. દત્તાએ પણ સૂચન કર્યું છે કે હાલ પૂરતા ઓનલાઈન અને ઓફલાઇન બંને વિકલ્પો એકસાથે લગભગ એક વર્ષ સુધી ચલાવવા જોઈએ અને વિદ્યાર્થીઓને પસંદગીની આઝાદી આપવી જોઈએ.
2. શું OSM લાગુ કરતા પહેલા તેની સ્વતંત્ર ટેક્નિકલ તપાસ થઈ હતી?
12મા ધોરણની કોપી તપાસવા માટે OSM સિસ્ટમનો કોન્ટ્રાક્ટ હૈદરાબાદની કંપની ‘કોએમ્પ્ટ એડ્યુટેક’ (Coempt Edutech) ને આપવામાં આવ્યો હતો. પરંતુ તેના ઓડિટ અને ટેસ્ટિંગ અંગે પબ્લિક ડોમેનમાં બહુ મર્યાદિત માહિતી છે.
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આ કંપની પહેલા અલગ નામથી તેલંગાણામાં કામ કરતી હતી અને વર્ષ 2019 તથા 2023 માં બોર્ડ પરીક્ષાના વિવાદોમાં તેનું નામ ઉછળી ચૂક્યું છે.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ આરોપોનો જવાબ આપતા કહ્યું, “તેલંગાણા અને કર્ણાટકની સરકારોએ પણ આ જ કંપનીને કામ સોંપ્યું હતું. કંપનીની પસંદગી ભારત સરકારના નીતિ-નિયમો હેઠળ સેન્ટ્રલાઈઝ્ડ પ્રોક્યોરમેન્ટ પોર્ટલ દ્વારા થઈ છે. જોકે ક્ષમતા પર સવાલો આવતા અમે એક સમિતિ બનાવી છે જે ટેક્નોલોજી અને પ્રક્રિયાનું મૂલ્યાંકન કરશે.”
3. શું વિદ્યાર્થીઓનો ભરોસો હવે રિઝલ્ટ કરતા વેરિફિકેશન પર વધુ છે?
NEET થી લઈને અન્ય પરીક્ષાઓમાં પેપર લીક અને ગરબડીના આરોપોએ વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ ડગમાગ્યો છે.
આન્સર શીટમાં ગરબડીનો મુદ્દો ઉઠાવનાર વેદાંતના મોટા ભાઈ સિદ્ધાંત કહે છે, “અમે ભાઈની સ્કેન કોપી મંગાવી જે એકદમ ધૂંધળી હતી. ધ્યાનથી જોતા સમજાયું કે હેન્ડરાઈટિંગ વેદાંતની છે જ નહીં. હાલ વિદ્યાર્થીઓ કોલેજ એડમિશનની તૈયારીમાં હોય છે, ત્યારે આ ડર સતાવે છે કે તેમને યોગ્ય માર્ક્સ મળ્યા છે કે નહીં.”
દિલ્હીની વિદ્યાર્થિની ધૃતિ અગ્રવાલે જણાવ્યું કે, “મેં સ્કેન કોપી મંગાવી તો ખબર પડી કે મલ્ટીપલ ચોઈસ સવાલો સિવાય દરેક સાચા જવાબ પર અડધો-અડધો માર્ક કાપવામાં આવ્યો છે. આનાથી કટ-ઓફ પર મોટો ફરક પડશે.” નોંધનીય છે કે CBSE એ પ્રત્યેક સવાલના પુનર્મૂલ્યાંકન માટે ફી 100 રૂપિયાથી ઘટાડીને 25 રૂપિયા કરી દીધી છે.
4. શું વધુ કોપીઓ મેન્યુઅલ ચેક કરાવવી જોઈતી હતી?
CBSE ના જણાવ્યા મુજબ રિઝલ્ટ પહેલા લગભગ 13 હજાર કોપીઓનું મેન્યુઅલ ચેકિંગ કરાયું હતું કારણ કે તે સ્કેનિંગ દરમિયાન ધૂંધળી જોવા મળી હતી. પરંતુ હવે વિદ્યાર્થીઓને જે સ્કેન કોપી મળી રહી છે તેમાં પણ મોટા પાયે બ્લેન્ક કે બ્લર પેજની સમસ્યા છે.
વિદ્યાર્થીઓને ચિંતા છે કે જો પુનર્મૂલ્યાંકન પણ OSM દ્વારા જ થશે, તો ફરીથી એ જ સમસ્યા નહીં સર્જાય તેની શું ખાતરી? માત્ર એક યા બે માર્ક્સથી ભવિષ્ય અને કોલેજ એડમિશન પર સીધી અસર પડી શકે છે.
વિવાદ પર બોલવામાં શું શિક્ષણ મંત્રાલયે મોડું કર્યું? અને દૂરોગામી અસરો શું હશે?
શિક્ષણ મંત્રાલયે શરૂઆતમાં આ વિવાદ પર મૌન સેવ્યું હતું. પરંતુ 28 મેના રોજ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નિવેદન આપીને કહ્યું કે, “પરિણામોમાં કેટલીક ત્રુટિઓ સામે આવી છે, હું તેની જવાબદારી લઉં છું અને ખાતરી આપું છું કે તેનું નિરાકરણ લાવવામાં આવશે.” રી-ઈવેલ્યુએશન પોર્ટલ ક્રેશ થવા પર IIT કાનપુર અને મદ્રાસના નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે.
બીજી તરફ કોલેજ કાઉન્સેલિંગ શરૂ થવા જઈ રહી છે અને વિદ્યાર્થીઓને હજુ સ્કેન કોપી મળી નથી, જેનાથી તેમના એડમિશન પર ગંભીર અસર પડી શકે છે.
સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના વકીલ વિનીત જિંદલ, જેઓ વિદ્યાર્થીઓને કાનૂની મદદ કરી રહ્યા છે, તેમના મતે વિદ્યાર્થીઓની 5 મુખ્ય ફરિયાદો છે:
સ્કેન કોપીમાં દેખાતી આન્સર શીટ તેમની છે જ નહીં.
સપ્લીમેન્ટરી શીટ ગાયબ છે, માત્ર મુખ્ય શીટ દેખાય છે.
જવાબો પર કોઈ જ માર્કિંગ કરાયું નથી (ન સાચું, ન ખોટું).
જ્યાં જવાબો લખેલા છે, તેને પણ ‘બ્લેન્ક’ ગણીને છોડી દેવાયા છે.
સ્ટેપ માર્કિંગ સિસ્ટમને નજરઅંદાજ કરવામાં આવી છે.
વકીલના જણાવ્યા મુજબ, તેઓ CBSE ને લીગલ નોટિસ મોકલી ચૂક્યા છે જેથી વિદ્યાર્થીઓને વહેલી તકે તેમની સાચી આન્સર શીટ મળી શકે.
આ પણ વાંચો – NEET ના પેપર વાયુસેના દ્વારા મોકલવાની તૈયારી, વિપક્ષના સવાલ- આ સરકારની નિષ્ફળતા નહીં તો શું છે?
