- ધાણધા કૌભાંડનો ખુલાસો : કામ રાખનાર કોન્ટ્રાક્ટર જ ‘અનમોલ’ નો માલિક નીકળ્યો! પોતાના જ કામના બોગસ બિલો બનાવી લાખો રૂપિયા ચાંઉ કર્યા
- સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટરની ત્રિપુટીનો ખેલ ! માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ કાગળ પર GST નંબર લેવાયો, પંચાયતે ચકાસ્યા વિના જ બિલો પાસ કર્યા
- ધાણધા પંચાયતમાં મસમોટો ગોટાળો: કોન્ટ્રાક્ટરે ડુપ્લીકેટ પેઢી બનાવી લાખોના બિલો પધરાવ્યા
પાલનપુર : બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ધાણધા ગ્રામ પંચાયતના ગટર લાઈન પ્રોજેક્ટમાં આચરવામાં આવેલા લાખો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં હવે ભ્રષ્ટાચારીઓનો અસલી ચહેરો અને તેમની ‘મોડસ ઓપરેન્ડી’ સંપૂર્ણપણે બેનકાબ થઈ ચૂકી છે. ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ નામે રજૂ કરાયેલા લાખો રૂપિયાના બિલો પાછળ કોઈ અસલી વેપારી નથી, પરંતુ પંચાયતનું કામ કરનાર કોન્ટ્રાક્ટરે જ ભ્રષ્ટાચાર કરવા માટે ઊભી કરેલી આ એક માત્ર ‘ફેક પેઢી’ (Shell Company) હોવાનો ધડાકો થયો છે. આ બિલો રજૂ કરવામાં આવ્યા છે, તે તમામ વસ્તુઓ બીજી પેઢી ઉપરથી લેવામાં આવી છે. કેમ કે અનમોલ રેતી, કપચી કે સિમેન્ટ વેચતી જ નથી. ના તેની કોઈ ઓફિસ છે કે ન કોઈ ગોડાઉન. આ માત્ર એક શેલ કંપની છે. આ શેલ કંપનીનો માલિક પણ કોન્ટ્રાક્ટર પોતે છે.
કોન્ટ્રાક્ટર જ માલિક: વાડ જ ચીભડાં ગળી ગઈ!
આ કૌભાંડમાં સૌથી મોટો વળાંક એ છે કે, જે વ્યક્તિ (કોન્ટ્રાક્ટર) ધાણધા પંચાયતમાં ગટર લાઈન અને રોડનું કામ કરી રહ્યો હતો, એ જ કોન્ટ્રાક્ટરના નામે ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ નો GST નંબર લેવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. એટલે કે, કામ પણ પોતે કરવાનું અને તેમાં વપરાતા માલસામાન (પાઈપ, સિમેન્ટ, રેતી વગેરે) ના લાખો રૂપિયાના બિલો પણ પોતાની જ ડુપ્લીકેટ પેઢીના નામે બનાવીને પંચાયતમાં મનફાવે તેમ રજૂ કરી દેવાના! આ ‘કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ (હિતોનો ટકરાવ) અને ખુલ્લી લૂંટ છે.
સરપંચ અને તલાટીની ભૂમિકા અત્યંત શંકાસ્પદ
આટલું મોટું કૌભાંડ પંચાયતના જવાબદાર હોદ્દેદારોની રહેમનજર વિના શક્ય જ નથી.
૧. શું સરપંચ અને તલાટીને ખબર ન હતી કે કામ કરનાર કોન્ટ્રાક્ટર જ આ બિલો આપી રહ્યો છે?
૨. લાખો રૂપિયાના બિલો પાસ કરતા પહેલા તલાટીએ પેઢીનું સરનામું કે GST રિટર્ન સ્ટેટસ કેમ ચેક ન કર્યું?
કોઈપણ જાતની ચકાસણી કર્યા વિના આ બોગસ બિલો પાસ કરીને સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયા એક્સિસ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી દેવા, એ સ્પષ્ટપણે સાબિત કરે છે કે સરપંચ અને તલાટી આ ભ્રષ્ટાચારમાં સીધા ભાગીદાર છે.
આ પણ વાંચો – ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ નું મોટું કૌભાંડ : સ્થળ પર દુકાન નથી, છતાંય પંચાયતોમાં ધૂમ મચાવતા ‘ટેક્સ ઈનવોઈસ’!
ઉચ્ચ સ્તરીય તપાસની તાતી જરૂરિયાત
આ મામલે જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને વિજિલન્સ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ સમિતિની રચના થવી જોઈએ. જો આ કોન્ટ્રાક્ટર, સરપંચ અને તલાટીની ત્રિપુટીના બેન્ક ખાતાઓની તપાસ કરવામાં આવે તો કમિશનની મોટી લેવડદેવડ બહાર આવે તેવી પૂરી શક્યતા છે.
માત્ર GST નંબર હોવો એ વેપારી હોવાનો પુરાવો નથી!
કોઈપણ વ્યક્તિ ઓનલાઈન અરજી કરીને GST નંબર મેળવી શકે છે, પરંતુ કાયદા મુજબ જ્યાંનું સરનામું આપ્યું હોય ત્યાં પેઢી અસ્તિત્વમાં હોવી જોઈએ અને નિયમિત ટેક્સ રિટર્ન ભરાવા જોઈએ. પરંતુ ‘અનમોલ એન્ટરપ્રાઈઝ’ ના કિસ્સામાં ગોપાલ પ્લાઝા ખાતે કોઈ જ દુકાન અસ્તિત્વમાં નથી અને છેલ્લા ચાર વર્ષથી GST રિટર્ન પણ ભરાયું નથી. આ દર્શાવે છે કે આ GST નંબરનો ઉપયોગ કોઈ કાયદેસરના વેપાર માટે નહીં, પરંતુ માત્ર ને માત્ર ગ્રામ પંચાયતમાં બોગસ બિલો પધરાવીને સરકારી નાણાં હડપ કરવા માટે જ કરવામાં આવ્યો છે.
કાયદાકીય સકંજો: શું થઈ શકે છે સજા?
આ કૌભાંડ હવે માત્ર વહીવટી ભૂલ નથી રહ્યું, પરંતુ એક ગંભીર ફોજદારી ગુનો બની ગયું છે. કાનૂની નિષ્ણાતોના મતે, જો તટસ્થ તપાસ થાય તો આરોપીઓના બીજા પણ મસમોટા કાંડ સામે આવી શકે છે. કેમ કે કોન્ટ્રાક્ટરના અન્ય પણ અનેક સરકારી કામ ચાલી રહ્યાં છે, જેમાં પણ તે પોતાની જ નકલી પેઢીના બિલો રજૂ કરતો હોઈ શકે છે. આમ કોન્ટ્રાક્ટરના અન્ય કામોની તપાસ થવી પણ જરૂરી છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર, સરપંચ અને તલાટી ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
છેતરપિંડી અને કાવતરું
નકલી દસ્તાવેજો (બિલો) ઊભા કરવા, ખોટા સરનામાનો ઉપયોગ કરવો અને સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS / અગાઉની IPC) ની કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૧૨૦(B) હેઠળ તમામ સામે સીધી FIR થઈ શકે છે, જેમાં ૭ થી ૧૦ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PCA)
સરપંચ અને તલાટી ‘પબ્લિક સર્વન્ટ’ (જાહેર સેવક) ગણાય છે. હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવા બદલ તેમની સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) પણ સીધો ગુનો દાખલ કરી શકે છે.
હોદ્દા પરથી સસ્પેન્શન અને નાણાની રિક્વરી
ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૭ હેઠળ ડીડીઓ (DDO) ધાણધાના સરપંચને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી શકે છે. સૌથી મોટો ફટકો એ પડશે કે, કૌભાંડમાં ઉચાપત થયેલી તમામ રકમ સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટરની અંગત મિલકતો જપ્ત કરીને વસૂલ કરવામાં આવશે.
આ સજ્જડ પુરાવાઓ બાદ હવે પાલનપુર તાલુકા પંચાયત, DDO અને GST વિભાગ ક્યારે આ ત્રિપુટી સામે પોલીસ ફરિયાદ નોંધાવે છે, તેના પર સૌની નજર ટકેલી છે. આ ભ્રષ્ટાચાર બાબતે જિલ્લાના ક્લેક્ટર, ડીડીઓ, જીએસટી અધિકારી સરપંચ અને તલાટીના નિવેદન લઈને આગામી અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે. જણાવી દઈએ કે, આગામી સમયમાં ધાણધા સરપંચ દ્વારા કરવામાં આવેલા અન્ય એક મોટા ભ્રષ્ટાચારનો પુરાવા સાથે મસમોટો ખુલાસો કરીશું.. તો કોન્ટ્રાક્ટરે પોતાના અન્ય કેટલા કામોમાં આવા બિલો પધરાવીને ભ્રષ્ટાચાર આચર્યો છે, તે અંગે વિસ્તારપૂર્વક અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે.
આ પણ વાંચો – મંજૂરીની શરતો માત્ર કાગળ પર! ધાણધામાં ગટર માટે રસ્તો તોડ્યો પણ રિપેર ન કર્યો, ને બોગસ બીલો ખવાયા!
