ઈરાનના એક સાંસદે પાકિસ્તાનને ચાલી રહેલી પ્રાદેશિક વાટાઘાટોમાં મધ્યસ્થની ભૂમિકા માટે અયોગ્ય ગણાવ્યું છે. આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ઓમાન બાદ ઈસ્લામાબાદ પહોંચીને કૂટનીતિક પ્રયાસો વધારી રહ્યા છે. જોકે હવે તેઓ ત્યાંથી પણ નીકળીને રશિયા પહોંચી ગયા છે.
ઈરાનની નેશનલ સિક્યુરિટી એન્ડ ફોરેન પોલિસી કમિશનના પ્રવક્તા અને દશ્તેસ્તાનના સાંસદ ઈબ્રાહિમ રઝાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે પાકિસ્તાન “સારો પડોશી અને મિત્ર” તો છે, પરંતુ મધ્યસ્થ તરીકે યોગ્ય નથી. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન અમેરિકી હિતો સાથે જોડાયેલું રહે છે અને વોશિંગ્ટનની ટીકા કરવાથી બચે છે.
રઝાઈએ વધુમાં કહ્યું, “મધ્યસ્થ નિષ્પક્ષ હોવો જોઈએ, હંમેશા એક તરફ ઝૂકેલો નહીં.” તેમણે એ પણ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન એ મામલોમાં અમેરિકાની ટીકા કરતું નથી જ્યાં અમેરિકાએ પોતાની પ્રતિબદ્ધતા પૂરી નથી કરી, જેમ કે લેબનાન અને અટકાવેલી સંપત્તિઓના મામલામાં.
અરાઘચીની ઈસ્લામાબાદ મુલાકાત
આ દરમિયાન ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ત્રણ દિવસમાં બીજી વખત પાકિસ્તાન પહોંચ્યા. તેમણે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીર સાથે મુલાકાત કરી અને સંઘર્ષ તથા આગળના માર્ગો અંગે ચર્ચા કરી. આ પહેલાં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મળી ચૂક્યા છે.
અરાઘચી ઓમાનથી ઈસ્લામાબાદ પહોંચ્યા, જ્યાં તેમણે સુલ્તાન હૈથમ બિન તારિક અલ સઈદ સાથે મુલાકાત કરી હતી. ત્યાંની ચર્ચા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા અને વ્યાપક કૂટનીતિક પ્રયાસો પર કેન્દ્રિત રહી.
ઈરાની મીડિયા અહેવાલો અનુસાર, વાટાઘાટો માત્ર પરમાણુ મુદ્દા પૂરતી મર્યાદિત નથી. તેમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે નવી કાનૂની વ્યવસ્થા, વળતરની માંગ, આગળની લશ્કરી કાર્યવાહી સામે ગેરંટી અને અમેરિકી દરિયાઈ પ્રતિબંધો હટાવવા જેવા મુદ્દા સામેલ છે. ઈસ્લામાબાદથી નીકળ્યા બાદ અરાઘચી મૉસ્કો પહોંચી ગયા છે, જ્યાં તેઓ તેહરાન વાટાઘાટોની ગતિ જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા છે.
આ ઘટનાક્રમ ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલી પરોક્ષ વાટાઘાટો વચ્ચે આવ્યો છે, જેમાં પાકિસ્તાન મધ્યસ્થની ભૂમિકા ભજવવાની કોશિશ કરી રહ્યું હતું. ઈરાની સાંસદના નિવેદનથી પાકિસ્તાનની નિષ્પક્ષતા પર સવાલ ઉઠી ગયા છે.
આ પણ વાંચો – વિનાશને આવકારતો વિકાસ! હસદેવથી અરાવલી સુધી ‘કોર્પોરેટ નફા’ માટે પર્યાવરણની બલિ ચઢાવાઈ
