નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે રણનીતિક ભાગીદારી, વેપાર, ઊર્જા સુરક્ષા અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર રવિવારે ઉચ્ચસ્તરીય મંત્રણા યોજાઈ હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ દરમિયાન વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ભારતનો 5-સૂત્રીય દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત સંઘર્ષોના ઉકેલ માટે સંવાદ અને કૂટનીતિનું સમર્થક છે, સમુદ્રી વેપારમાં કોઈપણ પ્રકારના અવરોધનો વિરોધ કરે છે, અને વેપાર તેમજ સંસાધનોને હથિયાર તરીકે વાપરવા સામે સખત વિરોધ નોંધાવે છે.
‘ધ હિન્દુ’ના રિપોર્ટ અનુસાર, હૈદરાબાદ હાઉસમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે અનેક સ્તરે સતત સંપર્ક જળવાઈ રહ્યો છે.
જયશંકરે કહ્યું, “રુબિયોની આ પ્રથમ ભારત મુલાકાત છે, પરંતુ હોદ્દો સંભાળ્યા પછીથી અમારી વચ્ચે નિયમિત સંવાદ થતો રહ્યો છે. વોશિંગ્ટન, ન્યૂયોર્ક અને વિવિધ આંતરરાષ્ટ્રીય બેઠકો દરમિયાન પણ અમારી વાતચીત થઈ છે. તેનાથી બંને દેશો વચ્ચે વધતા સહયોગને આગળ ધપાવવામાં મદદ મળી છે.” તેમણે ઉમેર્યું કે, ભારત-અમેરિકા સંબંધો સમાન રાષ્ટ્રીય હિતો પર આધારિત છે અને ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં બંને દેશોના વિચારો એકબીજાની ખૂબ જ નજીક છે.
ભારતનો 5-સૂત્રીય પક્ષ
જયશંકરે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતા પાંચ મુખ્ય મુદ્દાઓ ગણાવ્યા
- સંઘર્ષોના ઉકેલ માટે સંવાદ અને કૂટનીતિને પ્રાથમિકતા.
- સુરક્ષિત અને નિર્બાધ (અવરોધ વિનાના) સમુદ્રી વેપારનું સમર્થન.
- આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ચુસ્તપણે પાલન.
- બજારના હિસ્સા અને સંસાધનોના રાજકીય હથિયાર તરીકે થતા ઉપયોગનો વિરોધ.
- વિશ્વસનીય ભાગીદારી અને મજબૂત સપ્લાય ચેઇન દ્વારા વૈશ્વિક અર્થવ્યવસ્થાને જોખમોથી સુરક્ષિત કરવી.
તેમણે જણાવ્યું કે રુબિયોએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં વૈશ્વિક અને પ્રાદેશિક ઘટનાક્રમ પર સઘન ચર્ચા થઈ હતી. જયશંકરે કહ્યું કે તેમની બેઠકમાં પશ્ચિમ એશિયા, ભારતીય ઉપખંડ, પૂર્વ એશિયા અને તાજેતરની કેરેબિયન મુલાકાત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
“આજની વાતચીતમાં અખાતી ક્ષેત્રના તાજા ઘટનાક્રમ, યુક્રેન યુદ્ધ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. 26 મેના રોજ ક્વોડ (Quad) બેઠક પણ પ્રસ્તાવિત છે,” તેમ તેમણે ઉમેર્યું.
સંરક્ષણ, વેપાર અને ઊર્જા પર ચર્ચા
વિદેશ મંત્રીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં 10-વર્ષીય સંરક્ષણ ભાગીદારી માળખાનું નવીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમુદ્રી ક્ષેત્રની દેખરેખ સાથે જોડાયેલી વ્યાપક રૂપરેખા પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સંરક્ષણ ક્ષેત્રે આગળ વધતી વખતે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અને તાજેતરના સંઘર્ષોમાંથી મળેલા અનુભવોને ધ્યાનમાં રાખવા પર પણ ચર્ચા થઈ હતી.
આર્થિક સહયોગ અંગે જયશંકરે કહ્યું કે બંને દેશોએ ‘ભારત-અમેરિકા વચગાળાના વેપાર કરાર’ને જલ્દી આખરી ઓપ આપવાની જરૂરિયાત પર સહમતિ દર્શાવી છે. “આ વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરારની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે, જેની પરિકલ્પના ફેબ્રુઆરી 2025માં પીએમ મોદીની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.”
ઊર્જા સુરક્ષા પર બોલતા જયશંકરે કહ્યું કે ભારતની પ્રથમ જવાબદારી તેના 140 કરોડ લોકોની જરૂરિયાતો પૂરી કરવાની છે. “અમારું મુખ્ય લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે લોકોને ઊર્જા સુલભ અને સસ્તા દરે મળી રહે. અમે તાજેતરના મહિનાઓમાં ઊર્જા વેપારના વિસ્તરણને આવકારીએ છીએ. ભારત માટે વિવિધ સ્ત્રોતોમાંથી પુરવઠો એ ઊર્જા સુરક્ષાનો પાયો છે.” તેમણે એમ પણ કહ્યું કે શાંતિ અધિનિયમ પસાર થવાથી ભારત-યુએસ પરમાણુ સહયોગની નવી તકો ઊભી થઈ છે.
આતંકવાદ પર ભારતનું વલણ
જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા સામે ઘણા સમાન પડકારો છે, જેમાં આતંકવાદ મુખ્ય છે. “આ મુદ્દે અમારું વલણ એકદમ સ્પષ્ટ છે – ઝીરો ટોલરન્સ. અમે બંને દેશોની એજન્સીઓ વચ્ચેના સહયોગની પ્રશંસા કરીએ છીએ.” તેમણે ગયા વર્ષે 26/11ના મુંબઈ હુમલાના એક મુખ્ય કાવતરાખોરને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બંને દેશો આતંકવાદ અને ડ્રગ્સની ગેરકાયદેસર હેરાફેરી સામે સહયોગ વધુ વધારશે.
રુબિયો બોલ્યા – ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત થશે
માર્કો રુબિયોએ કહ્યું કે ભારત-અમેરિકા સંબંધોની ગતિ ધીમી પડી નથી અને આવનારા વર્ષોમાં આ ભાગીદારી વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે પડતર વેપાર કરારને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે અને વૈશ્વિક મુદ્દાઓ પર બંને દેશો લગભગ સંપૂર્ણપણે વ્યૂહાત્મક રીતે સહમત છે.
ઈરાન કરાર અંગે સંકેત
રુબિયોએ એમ પણ કહ્યું કે આગામી થોડા કલાકોમાં ઈરાન સાથે સંભવિત કરારની જાહેરાત થઈ શકે છે, જેનાથી પશ્ચિમ એશિયામાં યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં પ્રગતિ થઈ શકે છે. “શક્ય છે કે આગામી થોડા કલાકોમાં દુનિયાને કોઈ સારા સમાચાર મળે.” રુબિયોએ કહ્યું કે આ કરાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સાથે જોડાયેલા અમેરિકી હિતો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગેની ચિંતાઓને દૂર કરી શકે છે. તેમણે આ ટિપ્પણી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન બાદ કરી છે, જેમાં તેમણે કહ્યું હતું કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલવા સંબંધિત પ્રસ્તાવ મોટાભાગે તૈયાર થઈ ચૂક્યો છે.
આ પણ વાંચો – ઇબોલા સંકટ વચ્ચે ભારતે જારી કરી એડવાઇઝરી, કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ
