પાટણ-બનાસકાંઠા : ઉત્તર ગુજરાતમાં પ્રેમલગ્નના મામલે ફરી એક વખત તણાવ વધી ગયો છે. રાધનપુરના સિનાડ ગામની ગાયક કિંજલ રબારીના પ્રેમલગ્ન બાદ ચૌધરી સમાજમાં ઊભો થયેલો વિવાદ હજુ ઠંડો પડ્યો નથી ત્યાં જ ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીના પ્રેમલગ્નના કેસે નવી આગ ભડકાવી દીધી છે. આ મામલે આજે ભાભરના રુણી ગામે ચૌધરી સમાજનું મોટું મહાસંમેલન યોજાયું હતું, જેમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના આંજણા ચૌધરી સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા.
સંમેલનમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે કંકુ ચૌધરીને તેના માતૃસમાજમાં પરત લાવવી જરૂરી છે. આ પછી ચૌધરી સમાજના મોટા હિસ્સા લોકો ઉણ ગામ પહોંચ્યા, જ્યાં મહાદેવ રબારી સાથે કંકુના લગ્ન થયા હતા અને તેમનું એક બાળક પણ છે. ગામ પહોંચતાની સાથે જ ટોળાએ જોરદાર બબાલ કરી નાખી. ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી, કાચ તોડી નાખવામાં આવ્યા અને અંદાજે 3 કિમી સુધીનો હાઈવે સંપૂર્ણ બ્લોક કરી દેવામાં આવ્યો. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ટોળાની હિંસા અને અફરાતફરી સ્પષ્ટ દેખાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું. ડી.વાય.એસ.પી. અને પી.આઈ. સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉણ ગામે પહોંચી ગયો અને ટોળાને વિખેરવાના પ્રયાસો શરૂ કર્યા. પી.આઈ. કે.બી. દેસાઈએ જણાવ્યું કે ભાભરમાં મીટિંગ બાદ મોટા ભાગના લોકો વિખેરાઈ ગયા હતા, પરંતુ 30 ટકા લોકો (જેમના કોઈ આગેવાન નહોતા) ગાડીઓ લઈને સીધા ઉણ ગામ પહોંચી ગયા. તેમણે કહ્યું કે ગામમાં છોકરો કે છોકરી કોઈ રહેતું નથી, માત્ર અંપગ માતા રહે છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં દીકરીને પરત લાવવાની જવાબદારી લેવામાં આવી છે. આ પાંચ દિવસમાં રબારી સમાજના આગેવાનો સાથે વાતચીત કરવામાં આવશે. જો દીકરી પરત નહીં આવે તો પાંચ દિવસ બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
રાધનપુરના સિનાડ ગામની ગાયક કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ વિવાદ થયો હતો, જેમાં બંને સમાજના આગેવાનોએ દીકરી પરત અપાવી હતી. ત્યારબાદ ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો કેસ સામે આવ્યો. કંકુએ દોઢ-બે વર્ષ પહેલાં ઉણ ગામના મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા અને તેમનું એક બાળક પણ છે. હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવા માગે છે અને તેના માટે મહાસંમેલન યોજીને રણનીતિ ઘડી રહ્યું છે.
કંકુ ચૌધરીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર વીડિયો રિલીઝ કરીને પોતાના પરિવારમાં કોઈ વિખવાદ ન થાય તેવી અપીલ કરી હતી. સ્થિતિ હાલ નિયંત્રણમાં છે, પરંતુ બંને સમાજ વચ્ચે તણાવ યથાવત છે. આગામી પાંચ દિવસમાં વાતચીતની શક્યતા છે, નહીં તો આગળની રણનીતિ નક્કી થશે.
આ પણ વાંચો – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સજ્જ : ‘CEIR’ પોર્ટલ અપગ્રેડ અંગે વિશેષ અવેરનેશ પ્રોગ્રામ યોજાયો
