પાલનપુર : બનાસકાંઠાના પાલનપુરમાં માનવતાને લજવતી અને કાળજું ધ્રુજાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. ધર્મના ભાઈ બનાવી વર્ષો સુધી વિશ્વાસ કેળવ્યા બાદ, એક મહિલાએ તેના સાગરિતો સાથે મળીને પોતાના જ ‘ભાઈ’ની પત્નીની હત્યા કરી હતી. આ હત્યા પાછળનું મુખ્ય કારણ 79 તોલા સોનું અને 2 લાખ રૂપિયા પરત ન આપવાનું હતું.
પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા વસંત આકેડીવાલાની પત્ની શાંતિબેન આકેડીવાલા ગત 22 માર્ચની સાંજે દૂધ લેવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થયા હતા. પરિવારે ઘણી શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. છેવટે 26 માર્ચની વહેલી સવારે આબુ હાઈવે પર ઇન્કમ ટેક્સ ઓફિસ સામે આવેલા એક બંધ શોરૂમના ભોંયરામાંથી શાંતિબેનનો મૃતદેહ કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવતા આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે. મુખ્ય આરોપી રેખા તેજા રાઠોડ છેલ્લા 15 વર્ષથી વસંતભાઈના પરિવાર સાથે જોડાયેલી હતી અને વસંતભાઈને ધર્મના ભાઈ માની રાખડી બાંધતી હતી. એક વર્ષ અગાઉ રેખાએ પશુપાલનનો ધંધો કરવા માટે વસંતભાઈ પાસેથી તબક્કાવાર 79 તોલા સોનાના દાગીના અને 2 લાખ રોકડા લીધા હતા. શાંતિબેન અવારનવાર દાગીનાની ઉઘરાણી કરતા હોવાથી રેખાએ તેમને રસ્તેથી હટાવવાનું નક્કી કર્યું.
22 માર્ચની રાત્રે રેખાએ શાંતિબેનને પોતાની ફર્નિચરની દુકાને દાગીના અને રોકડ લેવા બોલાવ્યા હતા. ત્યાં પહેલેથી હાજર રેખા તેજા રાઠોડ, તેજા દેવા રાઠોડ, રોહિત મકવાણા અને વિષ્ણુ વાલ્મિકીએ શાંતિબેનને પ્રસાદમાં ઘેનની ગોળીઓ આપી. ત્યારબાદ કલચ વાયરથી ગળે ટૂંપો આપીને તેમની હત્યા કરી નાખી. મૃતદેહનો નિકાલ કરવા તેઓ દેલવાડા લઈ ગયા, પરંતુ ત્યાં લોકોની અવરજવર હોવાથી અંતે આબુ હાઈવે પર અવાવરૂ શોરૂમના ભોંયરામાં લાશ ફેંકી દીધી.
શાંતિબેન ગુમ થયા ત્યારે આરોપી રેખા પણ પરિવાર સાથે તેમને શોધવાનો ઢોંગ કરતી હતી. પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા જોયું કે શાંતિબેન રેખાની દુકાને જતા દેખાયા હતા, પરંતુ ત્યાંથી બહાર નીકળતા જોવા મળ્યા નહોતા. આ શંકા પરથી પોલીસે કડક પૂછપરછ કરી અને રેખા ભાંગી પડી. તેણે સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી દીધી.
પોલીસે આ હત્યામાં સંડોવાયેલા રેખા તેજા રાઠોડ (મુખ્ય સૂત્રધાર), તેજા દેવા રાઠોડ, રોહિત મકવાણા અને વિષ્ણુ વાલ્મિકી સામે ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી છે.આ ઘટનાએ આખા વિસ્તારમાં ભારે આક્રોશ જગાડ્યો છે અને લોકોમાં વિશ્વાસના અભાવની લાગણી વધી છે.
આ પણ વાંચો – RTE હેઠળ ધોરણ-1માં નિઃશુલ્ક પ્રવેશ માટે 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે શરૂ
